Surendranagar News : લખતર-લીલાપુર વચ્ચે રેલવે અંડર પાસમાં સ્કૂલ બસ ફસાઈ

By

Published : Jul 7, 2023, 5:52 PM IST

thumbnail

સુરેન્દ્રનગર : ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદના કારણે નદી-તળાવ પણ છલકાયા છે. ત્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ થયા છે. ત્યારે લખતરથી લીલાપુર તરફ જતા રસ્તા પર આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાય ગયા હતા. તેમાંથી પસાર થવા જતા એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી.

રેલવે અંડર બ્રીજ બંધ થયો : જિલ્લામાં ચોમાસાની શરુઆતથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગતરાત્રે ભારે વરસાદના પગલે લખતરથી લીલાપુર તરફ જતા રસ્તા પર આવેલા રેલવે અંડર બ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા એક સ્કૂલ બસ પણ ફસાઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. ખાનગી સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લેવા જઈ રહી હતી. તે દરમિયાન બસ અંડર બ્રિજમાં બંધ પડી જતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી. ઉલ્લેખનીય છે કે, બસમાં રહેલા વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

સ્કૂલ બસ ફસાઈ : ગઈ કાલે રાત્રે લખતર તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. લખતર તાલુકાના શેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના પરિણામે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. લખતર પંથકમાં રાત્રે ખાબકેલા ચાર ઇંચ વરસાદના કારણે લખતરથી લીલાપુર તરફ જતા માર્ગમાં રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા.

વાહનચાલકો પરેશાન : રેલવે અન્ડર બ્રિજ લખતરથી લીલાપુર સહિતના ગામોને જોડે છે. આ રેલવે અન્ડર બ્રિજમાં પાણી ભરાઈ જતાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી. આ રસ્તો બંધ થતા વાહનચાલકોને ગંતવ્ય સ્થાન પર જવા માટે 8 થી 10 કિલોમીટરનો ચકરાવો લેવો પડ્યો હતો.

  1. Surendranagar News : સુરેન્દ્રનગરના ખાટડી પાસે ટ્રેનની અડફેટે 8 પશુઓના મોત, 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત
  2. Surendranagar Crime : ધ્રાંગધ્રામાં પીએસઆઈ દારુના નશામાં ધૂત પકડાયાં, પ્રોહિબિશનનો ગુનો નોંધાયો

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.