માતાના દૂધને વધુ પૌષ્ટિક બનાવવા માટે વધુ મહેનતની જરૂર નથી

author img

By

Published : Aug 9, 2021, 5:32 PM IST

માતાના દૂધને વધુ પૌષ્ટિક બનાવવા માટે વધુ મહેનતની જરૂર નથી
માતાના દૂધને વધુ પૌષ્ટિક બનાવવા માટે વધુ મહેનતની જરૂર નથી ()

નવજાત શિશુનું સ્વાસ્થ્ય અને જીવન સુનિશ્ચિત કરવા માટે માતાનું દૂધ સૌથી અસરકારક છે. ડબ્લ્યુએચઓ અનુસાર માતાનું દૂધ બાળકમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે જે બાળપણના ઘણાં રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.ડૉક્ટરો ઓછામાં ઓછા 6 મહિના સુધી બાળકને માત્ર માતાનું દૂધ આપવાની ભલામણ કરે છે કારણ કે તે બાળકના શરીરના જરૂરી પોષણને જાતે જ પૂર્ણ કરવામાં સક્ષમ છે.આ સમયગાળા દરમિયાન બાળકનું શરીર અન્ય કોઇ પૌષ્ટિક ખોરાક લેવા માટે પણ સક્ષમ નથી. પરંતુ શું માતાના દૂધને વધુ પૌષ્ટિક બનાવવા માટે વધારાનો પ્રયાસ જરુરી છે?

  • પ્રસૂતિ બાદ માતાના ખાનપાનની બાળકના પોષણમાં અસર
  • માતાના દૂધને વધુ પૌષ્ટિક બનાવવા વધારાના પ્રયાસની જરુર નથી
  • પ્રસૂતાઓ માટે યોગ્ય આહાર વિશે જાણો ETV Bharat Sukhibhav માં

મોટાભાગના ભારતીય ઘરોમાં બાળકના જન્મ પછી માતાને એવો આહાર આપવામાં આવે છે જે તેના શરીરને પોષણ આપે છે એટલું જ નહીં તેના શરીરમાં દૂધનું ઉત્પાદન પણ વધારે છે.આ કારણે તે પોતાના ભોજનમાં સ્વદેશી મસાલા અને પરંપરાગત ઘરેલુ ઉપચારથી તૈયાર કરેલા ખોરાકનું પ્રમાણ વધારે છે. સરળ શબ્દોમાં કહીએ તો માતાના દૂધને વધુ પૌષ્ટિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.જો કે, ડોકટરોનું કહેવું છે કે જો માતા બાળકને જન્મ આપ્યા પછી તંદુરસ્ત અને સંપૂર્ણ આહાર લેતી હોય તો તેને તેના દૂધમાં વધારાના પોષણની ચિંતા કરવાની જરૂર નથી.

દહેરાદૂન ઉત્તરાખંડના વરિષ્ઠ બાળરોગ ચિકિત્સક લતિકા જોષી જણાવે છે કે બાળકને જન્મ આપ્યા બાદ માતાનો ખોરાક હલકો અને સુપાચ્ય હોવો જોઈએ કારણ કે તેનો ભારે ખોરાક બાળકને પણ સમસ્યાઓ આપી શકે છે. એવામાં માતાને તમામ પ્રકારનો ખોરાક આપી શકાય છે, જો કે તેમાં તેલ અથવા મરચાંના મસાલા વધુ પડતાં ન હોય. કારણ કે માતાને આહારને કારણે જે સમસ્યાનો સામનો કરવો પડે છે તે તેના દૂધ પર આધારિત બાળકના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. ઉપરાંત, માતાના દૂધને વધુ પૌષ્ટિક બનાવવા માટે વધારાના પ્રયત્નોની જરૂર નથી કારણ કે માતા દ્વારા લેવાયેલ સંતુલિત આહાર તેના દૂધને તમામ જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.

ડૉ. લતિકા જોષી જણાવે છે કે માતાના દૂધમાં બાળકોની પોષણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે યોગ્ય માત્રામાં સૂક્ષ્મ પોષકતત્ત્વો હોય છે. જે માત્ર પચવામાં સરળ નથી પણ તેમના દ્વારા માતાની રોગપ્રતિકારક શક્તિ બાળક સુધી પહોંચે છે.પરંતુ જો માતા કોઈ પણ પ્રકારની સમસ્યા કે રોગનો સામનો કરી રહી હોય, જેના કારણે ડૉક્ટરને લાગે છે કે બાળકને તમામ પોષક તત્વો સંપૂર્ણ માત્રામાં મળતાં નથી અથવા માતાની શરીરમાં તેની જરૂરિયાત મુજબ દૂધ ઉત્પન્ન થતું નથી. તો માતાને કોઈ ખાસ પ્રકારનો પૂરક આહાર લેવાનો નિર્દેશ આપે છે.

પ્રસૂતાઓ માટે પારંપરિક ભારતીય ખોરાક

પોષણ વિશેષજ્ઞ કવિતા સિંહ કહે છે કે આપણા દેશમાં બાળકના જન્મ પછી માતાને ઘણો સૂકો મેવો, ઘી અને ખાંડની ચાસણીથી બનેલા વિવિધ પ્રકારના લાડુ આપવાની પરંપરા રહી છે. જે ઉચ્ચ પોષણ ધરાવે છે. બાળકના જન્મ પછી માતાને ખૂબ કેલરીવાળા ખોરાકની જરૂર હોતી નથી. વધુ પડતું ઘી અને ગળપણ માત્ર માતાના જ નહીં બાળકના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. તે જણાવે છે કે જન્મ પછી લાડુ અથવા પંજીરીનું સેવન માત્ર થોડી માત્રામાં કરવું જોઈએ. જો શક્ય હોય તો આ પ્રકારનો આહાર તૈયાર કરવામાં ઘી અને ગળપણનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. સંતુલિત જથ્થામાં ખવાયેલા એ જ સૂકામેવા નિશંકપણે શરીરને પોષણ આપે છે. માતા હળવા નાસ્તાના રૂપમાં દરરોજ મુઠ્ઠીભર સૂકામેવા લઈ શકે છે.

તે કહે છે કે સ્તનપાન કરાવતી માતાએ હંમેશા તેની ભૂખ પ્રમાણે જ ખાવું જોઈએ. સ્તનપાન સામાન્ય રીતે માતાઓની ભૂખમાં વધારો કરે છે, પરંતુ જો કોઈ કારણસર માતાને લાગે કે તેને ભૂખ નથી લાગતી તો તેણે તેના ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.

માતાનો ખોરાક કેવો હોવો જોઇએ

કવિતા સિંહ કહે છે કે પ્રથમવાર માતા બની હોય તેવી મહિલા માટે સંતુલિત આહાર યોજના હંમેશા અનુસરવી જોઈએ. આમાં ચોખા, આખા અનાજની રોટલી, બટાકા અને સોજી જેવા ખાદ્ય પદાર્થો, દૂધના ગ્લાસ, દહીં, કઠોળ, ઇંડા, ઓટ્સ અને ફળો અને શાકભાજીનો પૂરતા પ્રમાણમાં ખોરાકનો સમાવેશ થવો જોઈએ. જેથી તેમના શરીરને તમામ પોષણ મળી શકે. તે કહે છે કે સામાન્ય રીતે માતાએ પ્રથમ 6 મહિના સુધી માંસાહારી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ કારણ કે જો તેનું પાચન યોગ્ય રીતે થતું નથી તો બાળકને ગેસ જેવી સમસ્યા થઈ શકે છે.

છ માસ પહેલાં ઉપરના આહારની જરુર નથી

ડૉ.લતિકા જોશી કહે છે કે બાળકના જન્મ પછી 6 મહિના સુધી તેને કોઈપણ પ્રકારનો ઉપરનો ખોરાક અથવા પાણી અને દૂધ જેવા પ્રવાહી ન આપવા જોઈએ. માતાનું દૂધ આ સમયે બાળકને આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન ડી અને અન્ય જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. પરંતુ કોઈપણ સમસ્યાના કારણે જો માતાના શરીરમાં દૂધના ઉત્પાદનમાં કોઈ સમસ્યા હોય અથવા બાળક દૂધ પીધા પછી પણ રડતું રહે તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી બની જાય છે.

આ પણ વાંચોઃ Healthy Dessert: ચોંકશો નહીં, હંમેશા નુકસાનકારક જ નથી હોતી મીઠાઈ

આ પણ વાંચોઃ સ્તનપાનને સરળ બનાવી શકે છે આ સાધનો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.