ETV Bharat / state

કોવિડ પિરિયડમાં ઉદ્યોગકારોને આશા સારા સમયે સારા દિવસો હતા, કઠિન સમયના આ દિવસો પણ નીકળી જશે

author img

By

Published : May 8, 2021, 10:51 AM IST

ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ છે
ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ છે

વલસાડ જિલ્લામાં અને કેન્દ્રશાસિત દમણમાં અનેક નાના-મોટાં ઉદ્યોગો ધમધમે છે. ગયા લોકડાઉન વખતે આ તમામ ઉદ્યોગો બંધ રહ્યા હતાં. જેની અસર ઉત્પાદન પર પડી હતી પરંતુ આ વખતે કોવિડ પિરિયડમાં ઉદ્યોગો શરૂ રહ્યા છે. કામદારોનું મોટાપાયે સ્થળાંતર પણ અટક્યું છે એટલે કોઈ મોટું નુકસાન થયું નથી. એવું વાપી, સરીગામ, ઉમરગામ અને દમણના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું. સાથે આશા વ્યક્ત કરી હતી કે જેમ સારા દિવસો હતા ત્યારે, બધું સારું હતું તો આ કઠિન સમય પણ પસાર થઈ જશે અને ફરી સારા દિવસો આવશે.

  • ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ છે
  • કામદારો વતન પરત ફર્યા નથી
  • મોટા નુકસાનનો ડર ઉદ્યોગકારોને નથી

વલસાડ: જિલ્લામાં કોરોનાની બીજી લહેરે લાખો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. ત્યારે આ કપરો સમય ઉદ્યોગકારો માટે પણ કઠિન સમય છે. જો કે તેમ છતાં ગયા વર્ષના લોકડાઉનની સરખામણીએ આ વખતે ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ છે. કામદારો વતન પરત ફર્યા નથી એટલે કોઈ મોટા નુકસાનનો ડર ઉદ્યોગકારોને નથી તેવું દક્ષિણ ગુજરાતના વલસાડ અને સંઘપ્રદેશ દમણના ઉદ્યોગકારો માની રહ્યા છે.

કામદારો વતન પરત ફર્યા નથી
કામદારો વતન પરત ફર્યા નથી

તમામ ઉદ્યોગોની માઠી દશા બેઠી હતી

વલસાડ જિલ્લામાં વાપી GIDC, સરીગામ GIDC, ઉમરગામ GIDC અને દમણમાં અનેક નાના-મોટાં ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગોમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય કામદારો કામ કરી રોજીરોટી મેળવી રહ્યા છે. જો કે ગયા લોકડાઉનમાં આ તમામ ઉદ્યોગોની માઠી દશા બેઠી હતી. જ્યારે આ વખતે કોરોનાની બીજી લહેરમાં હજુ સુધી ઉદ્યોગો માટે કોઈ મોટું નુકસાન થયું નથી. હા, આ સમય કઠિન જરૂર છે. એટલે એને લઈને નાના-મોટાં ઇસ્યુ જરૂર ઉભા થયા છે અને એ માટે સરકાર પ્રેક્ટિકલ બનશે તો તે પણ દૂર થઈ જશે તેવી આશા ઉદ્યોગકારોએ સેવી છે.

કામદારો વતન પરત ફર્યા નથી
કામદારો વતન પરત ફર્યા નથી

રો-મટિરિયલ્સ કે તૈયાર ઉત્પાદન પ્રોડક્ટને લાવવા-મૂકવામાં કોઈ જ તકલીફ

હાલની મહામારી દરમિયાન ઉદ્યોગોમાં કેવી તકલીફ છે. તે અંગે ETV Bharat વાપી, ઉમરગામ, સરીગામ અને દમણના ઉદ્યોગકારો સાથે ટેલિફોનિક વાત કરી હતી. જેમાં ઉમરગામના ઉદ્યોગકાર તાહિર વ્હોરાએ જણાવ્યું હતું કે, ઉમરગામ GIDCમાં રો-મટિરિયલ્સ કે તૈયાર ઉત્પાદન પ્રોડક્ટને લાવવા મૂકવામાં કોઈ જ તકલીફ નથી. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહી છે. જો કે કેટલાક ઉદ્યોગોમાં પરપ્રાંતીય કામદારો વતન જતા રહ્યા છે. કેટલાક ઉદ્યોગોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવું પડી રહ્યું છે એટલે ઉત્પાદનમાં થોડી ઘણી ઘટ વર્તાઈ રહી છે પરંતુ તેનાથી ઉદ્યોગોને કોઈ મોટું નુકસાન થયું નથી.

ઉદ્યોગો માટે કોઈ જ તકલીફ ઊભી થઈ નથી

એ જ રીતે વાપી GIDCમાં આરતી કેમિકલના હેમાંગ નાયક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ઉદ્યોગો માટે ખૂબ જ રાહત રહી છે. ગયા વર્ષે લોકડાઉનમાં ઉદ્યોગોને પણ બંધ કરવામાં આવ્યા હતાં. મટિરિયલ્સ પણ અટક્યું હતું. કામદારો પણ પોતાના વતન જતા રહ્યા હતા. આ વખતે ઉદ્યોગો ચાલુ રહ્યા છે. કામદારોનું પણ સ્થળાંતર થયું નથી એટલે ઉદ્યોગો માટે કોઈ જ તકલીફ ઊભી થઈ નથી.

મોટા નુકસાનનો ડર ઉદ્યોગકારોને નથી

આ દિવસો પણ નીકળી જશે તે આશા સાથે બધા કામ કરી રહ્યા છે

વધુમાં આ વખતે મોટા ઉદ્યોગોમાં જે કામદારો કામ કરે છે. તેને એક દિવસ કામ પર બોલાવે બીજે દિવસે તેની રજા હોય અને જે કામદારોને રજા આપી હોય તેવા કામદારોને બીજે દિવસે એમ ઑલ્ટરનેટ ડે બોલાવવામાં આવે છે. એટલે કામદારોમાં સંક્રમણ અટક્યું છે. ડરનો માહોલ જોવા મળતો નથી. દરેક નાના-મોટાં ઉદ્યોગોમાં જરૂરી ઉત્પાદન પણ ચાલુ રહ્યું છે. નાઈટ કરફ્યૂ દરમિયાન પણ કામદારોની કનડગત કરવામાં આવતી નથી. કંપનીના આઈકાર્ડ અને જરૂરી પુરાવા સાથે ઉદ્યોગોમાં કામદારો આવાગમન કરી શકે છે. પેમેન્ટ અને ઓર્ડર અંગે જ્યારથી કોવિડ પિરિયડ શરૂ થયો છે. ત્યારથી થોડીઘણી તકલીફ આવી છે. પેમેન્ટ થોડું ઘણું મોડું આવે છે. જેની સામે જ્યાં પેમેન્ટ ચૂકવવું પડે છે. તે પણ સહકાર આપે છે. એટલે એમાં આ વખતે માનવીય અભિગમ કેળવાયો હોય તેવું જોવા મળે છે. ક્યાંય કોઈનું કામ અટકતું નથી. જે થોડી ઘણી તકલીફ પડી રહી છે. તેમાં આ દિવસો પણ નીકળી જશે તે આશા સાથે બધા કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: કોરોનાની માઠી અસર, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી

તૈયાર પ્રોડકટનું ડિસ્પેચ અટક્યું છે

દમણના ઉદ્યોગપતિ રમેશ કુન્દનાનીએ પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે, દમણમાં કેટલાક ઉદ્યોગોનું પ્રોડક્શન તો તૈયાર છે પરંતુ તેનું ડિસ્પેચ થતું નથી. જે થાય છે તે અમુક વિસ્તાર પૂરતું મર્યાદિત છે. ઉદ્યોગો ચાલી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન પણ ચાલી રહ્યું છે.

પેમેન્ટ-ઓર્ડરમાં થોડી ઘણી તકલીફ

આ તરફ સરીગામ GIDCના ઉદ્યોગપતિ શમીમ રિઝવીએ જણાવ્યું હતું કે, સરીગામ ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રાન્સપોર્ટેશન ચાલુ છે એટલે જેને રો-મટિરિયલ્સ મંગાવવું પડી રહ્યું છે. અથવા તૈયાર પ્રોડક્ટ બહાર ઓર્ડર મુજબ મોકલવી પડે છે. તેને હજુ સુધી કોઈ તકલીફ નડી નથી. પરંતુ સામેથી જે ઓર્ડર મળવા જોઈએ. પેમેન્ટ મળવું જોઈએ તેમાં થોડી ઘણી તકલીફ છે. જેમ કે સામેથી તરત ઓર્ડર મળતો નથી. મળે છે તો પેમેન્ટ મળશે કે કેમ તે સંદેહ રહે છે. જ્યારે મટિરિયલ્સ મંગાવવામાં એડવાન્સ પેમેન્ટ કરવું પડે છે. એ ઉપરાંત કામદારોના પ્રશ્નો છે. કેટલાક ઉદ્યોગોમાં કામદારો છે તો કેટલાક ઉદ્યોગોના કામદારો વતન જતા રહ્યા છે. કામદારોને પણ લોકડાઉનનો ડર છે. હા, ગયા લોકડાઉન જેટલા કામદારો પોતાના વતન જતા રહ્યા હતા. એમાં આ વખતે મોટાભાગના કામદારો વતન નથી ગયા પરંતુ તેઓ ડ્યુટી પર આવવાનું ટાળી ઘરે રહેવાનું પસંદ કરી રહ્યા છે તો હાલના સમયમાં મોટા ભાગના ઉદ્યોગોમાં હવે ઓટોમેટિક સિસ્ટમ ધરાવતી મશીનરી છે. એટલે ત્યાં ઓછા કામદારોમાં પણ કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: જૂનાગઢ જિલ્લાના શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રોજ માત્ર 20 લોકોના થઈ રહ્યા છે કોરોના ટેસ્ટ

ઓર્ડર ઘટતા ઉત્પાદન ઘટ્યું

જો કે સરકાર તરફથી ઉદ્યોગકારોને થોડી ઘણી તકલીફ પડી રહી છે. સરકારે આ અંગે પ્રેક્ટિકલ બની કામગીરી કરતી નથી. એટલે સરકારે એ અંગે ધ્યાન આપવું જરૂરી છે અને એ સારા દિવસો હતા. જ્યારે બધું બરાબર હતું. આ વખતે એટલા સારા દિવસો નથી. 40 ટકા ઉત્પાદન ઘટ્યું છે. GST ડિપાર્ટમેન્ટ તરફથી મળતા રિપોર્ટમાં એ સંકેતો મળી રહ્યા છે. ફાર્માસ્યુટિકલ કંપનીમાં અને ગારમેન્ટ કંપનીમાં ક્યાંક માંગને ધ્યાનમાં રાખી પ્રોડક્શન થઈ રહ્યું છે પરંતુ એનાથી બધા જ ઉદ્યોગો ચાલે છે તેવું નથી. ઘણા ઉદ્યોગોને ઓર્ડર મળ્યા નથી અથવા મળતા નથી.

વલસાડ-દમણના ઉદ્યોગોમાં 3 લાખ આસપાસ કામદારો કામ કરે છે

વાપી સહિત સરીગામ, ઉમરગામ, દમણમાં 3 લાખ આસપાસ પરપ્રાંતીય કામદારો કેમિકલ, ફાર્મા, પેકેજીંગ, પ્લાસ્ટિકસ અને ગારમેન્ટ્સની નાની-મોટી કંપનીઓમાં કામ કરી રહ્યા છે. આ કામદારો ગયા વર્ષે કોરોનાના લોકડાઉનમાં વતન જતા રહ્યા હતા. આ વખતે હજુ સુધી એવી કોઈ નોબત આવી નથી. એટલે ઉદ્યોગકારોને પણ આશા છે કે સારા સમયે સારા દિવસો હતા, તો કઠિન સમયના આ દિવસો પણ નીકળી જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.