વડોદરા : શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ મીડિયમ એપાર્ટમેન્ટની ચોથા માળની ગેલેરી સમી સાંજે એકાએક ધરાશાહી થઈ હતી. આ બનાવમાં 1 મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે તો 1 એક બાળકી અને એક મહિલાની સારવાર હજુ ચાલુ છે. આ ઘટનાની જાણ થતાં 108 ઇમરજન્સી, ફાયર વિભાગ, પોલીસ અને GEBના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્તો બે મહિલા સહિત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા : મળતી વિગતો અનુસાર, શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી મહાબલીપુરમ-2 સોસાયટીમાં મીડિયમ એપાર્ટમેન્ટના ચોથા માળની ગેલેરીમાં આબેદાબેન પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે તસ્લીમાબેન પટેલ અને એક બાળકી ઉભા હતા. આ દરમિયાન એકાએક ગેલેરી અચાનક જ તૂટી પડી હતી. જેથી બંને મહિલા અને બાળકી ચોથા માળેથી નીચે પટકાયા હતા. જેમાં ઈજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ છે. જેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે. બાળકીને સામાન્ય ઈજાઓ થઈ હોવાથી તેને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
તાંદલજા વિસ્તારમાં મીડિયમ એપાર્ટમેન્ટની ગેલેરી તૂટવાનો કોલ મળતા જ અમારી ટીમ સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત મહિલાઓને બહાર કાઢી હતી. બંનેને અમે ખાનગી હોસ્પિટલમાં મોકલી આપી હતી અને બિલ્ડિંગને કોર્ડન કરી દીધું હતું. ફાયર બ્રિગેડ સાથે એમ્બ્યુલન્સ અને 8 કર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તુરંત જ રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. બંને મહિલાઓને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલી આપી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. - પાર્થ બ્રહ્મભટ્ટ (ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર)
પાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માને : વડોદરા મહાનગરપાલિકાની નિર્ભય શાખા દ્વારા ચોમાસાની શરૂઆત થતા દર વર્ષે આવા જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવતી હોય છે. પરંતુ માત્ર નોટિસ આપી સંતોષ માનવામાં આવે છે. આવા જર્જરિત મકાનો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. પાલિકા દ્વારા 1 હજારથી પણ વધુ જર્જરિત મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે, પરંતુ યોગ્ય કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે.