વડોદરા: રાજ્યના મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ બાદ હવે વડોદરામાં પણ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી દરબાર યોજશે. જેને લઈને નવલખી મેદાનમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડોદરા શહેરમાં તેઓ ક્યારે આવશે એ સમય નક્કી નથી. પરંતુ સાંજના સમયે દરબાર યોજાશે એ નક્કી છે. પીવાના પાણીથી લઈને પાર્કિંગ સુધીની તમામ નાની મોટી વ્યવસ્થા માટે ટીમને કામે લગાડી દેવાય છે. ગ્રાઉન્ડના લેઆઉટ થી લઈને લોકો કેવી રીતે મંડપ સુધી પહોંચશે એ તમામ વ્યવસ્થા અલગ અલગ ટીમને સોંપવામાં આવી છે. કુલ 15 જેટલી ટીમ તૈયાર કરીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ રાત સભ્યો-સમર્થકો પરસેવો પાડી રહ્યા છે.
બેઠકોનો દોર શરૂ થયો: નવ શક્તિ ગરબા મહોત્સવ સહિત ભાજપ સંગઠન દ્વારા વિવિધ આયોજનને લઈ કામની વહેંચણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્યા દરબાર અને દિવ્ય દર્શનને લઈ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ સ્થળ નવલખી મેદાન ખાતે ટૂંક સમયમાં ઓફીસ કાર્યરત કરવામાં આવશે. વિશેષમાં ભારતીય જનતા પાર્ટીના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપ શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ, મહાપ્રધાન સુનિલ સોલંકી, આયોજક કમલેશ પરમાર સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
"વડોદરા શહેર મહાનગરમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી જૂને સાંજે 5 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન દિવ્ય દરબાર અને દિવ્યદર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ હાલમાં વિવિધ બેઠકો મળી રહી છે. નવશક્તિ ગરબા મહોત્સવ મુખ્ય આયોજક, ભાજપ શહેર સંગઠન અને અન્ય સંસ્થાઓના સહયોગથી આયોજન થઈ રહ્યું છે" -- કમલેશ પરમાર (ગરબા મહોત્સવના આયોજક)
એક્શન પ્લાન ઘડાયો: બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પધારી રહ્યા છે. ત્યારે ભજન, કથા અને પ્રવચનનું આયોજન થઈ રહ્યું છે. ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજી 10 થી 15 ટીમ બનાવવામાં આવી છે. જેમાં જેની ક્ષમતા અનુસાર કામની વહેંચણી કરવામાં આવી છે. બેનર, ડિઝાઇન સહિત પ્રજાજનોને કઈ રીતે મંડપ સુધી લાવવા કઈ રીતે મદદ રૂપ થવું અને ગ્રાઉન્ડનું લે આઉટ સહિત ફરાસખાનું જે બાબતે કમિટીની રચના કરવામાં આવી છે.
વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરશે: આ સાથે વ્યવસ્થાને લઈ એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેથી કરી આવનાર પ્રજાજનને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા સાથે ઉનાળો હોવાથી યોગ્ય પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ સુવિધા માટે મેડિકલ કેમ ઉભો કરવામાં આવશે. આ સાથે અન્ય કોઈ પણ બાબતે મુશ્કેલીઓ ન સર્જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં 3 જૂને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સવારે આવવાનું હજી કન્ફર્મ થયું નથી. પરંતુ સાંજે 5 થી 9 વાગ્યા સુધી લોકદરબાર છે તે ફાઇનલ છે. આગામી દિવસમાં આ કાર્યક્રમને લઈ નવલખી મેદાન ખાતે ઓફિસ ઉભી કરશે. વિવિધ તૈયારીઓ શરૂઆત કરવામાં આવશે.