વડોદરા: યુવા જનજાગૃતિ પાર્ટીના મહિલા મોરચાના મધ્ય ગુજરાત અધ્યક્ષ અક્ષિતાબા સોલંકીની આગેવાનીમાં કાર્યકર્તાઓ સાથે ભેગા મળી રાયપુરા ગામે ચાલતા માટી ખનન મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આ અંગે યુવા જનજાગૃતિ પાર્ટી મહિલા મોરચાના મધ્ય ગુજરાતના અધ્યક્ષ અક્ષિતાબા સોલંકીએ જણાવ્યું હતું કે, રાયપુરા ગામના ચરામાં માટી ખોદકામ ચાલી રહ્યું હતું. તે ત્યાં જરૂરી હતું. પણ તેના કરતાં વધારે પ્રમાણમાં ખોદાણ થઈ રહ્યું હતું. એટલે મને ત્યાંથી મેસેજ મળ્યો એટલે હું ત્યાં જોવા માટે ગઈ હતી. ત્યાં ખબર પડી કે, તળાવની જગ્યા પર ખીણ કરી દીધી છે.
તેમજ 20 ફૂટથી વધારે ખોદાણ ના થવું જોઈએ. એની જગ્યાએ 30 , 40 ફૂટ જેટલું ખોદાણ થઈ ગયું છે. જેમાં ઓવરલોડ માટીની ગાડીઓ ભરવામાં આવે છે. તેમજ આજુબાજુ વિસ્તારમાં જે લોકો રહે છે. એમને તકલીફ પડી રહી છે. આ બાબતની જાણ થતાં હું ત્યાં ગઇ હતી. ત્યારબાદ સરપંચ નીરવ બારોટને ફોન કર્યો હતો. પછી ડેપ્યુટી સરપંચને ફોન કર્યો પણ તેમના તરફથી કોઈ સારો જવાબ મળ્યો નહીં. ઉપરથી સરપંચે મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે,આ અંગે પરીખ ટ્રાન્સપોર્ટના સંચાલકો સાથે પણ વાત કરવામાં આવી હતી. આ અંગે આવેદનપત્ર પાઠવી મામલતદારને આગળની કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી.