સુરત : 28મી જૂનના રોજ સુરતના તાપી નદી પર નવનિર્મિત વેડ વરિયાવ તાપી બ્રિજનો એપ્રોચ રોડ બેસી જતા વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારને લઈ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેથી આર એપરોજ રોડ બેસી જવાની સમગ્ર ઘટનામાં સુરત મહાનગરપાલિકાએ ઇજારદાર અને કન્સલ્ટન્ટને નોટિસ આપી હતી તેમજ ખુલાસો માંગ્યો હતો. જોકે આ સમગ્ર મામલે કન્સલ્ટન્ટ અને ઇજાદારે રજૂ કરેલા ખુલાસો ગ્રાહય રાખ્યા વગર સુરત મહાનગરપાલિકાના બ્રિજ વિભાગે બંને સામે કડક કાર્યવાહી કરવા માટે સ્થાયી સમિતિ પાસે મંજૂરી માંગી હતી.
ધણા સમય બાદ સુરતમાં આ પ્રકારની ઘટના બની હતી. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને આ માટે દાખલો બેસાડવા માટે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ઈજારદાર કન્સલ્ટન્ટને બે વર્ષ માટે અમે બ્લેક લિસ્ટ કર્યા છે. આજ કારણ છે કે કન્સલ્ટન્ટ અને ઇજારદાર દ્વારા જે પણ રજૂઆતો બચાવવા માટે કરવામાં આવી હતી તે અમે ગ્રાહ્ય રાખી નથી. - પરેશ પટેલ (ચેરમેન, મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ)
ઇજારદાર અને કન્સલ્ટન્ટએ બેઠકમાં પોતાનો બચાવ કર્યો : કોઈપણ નિર્ણય લેવા પહેલા સ્થાયી સમિતિ દ્વારા ઇજારદાર અને કન્સલ્ટન્ટ ને તેમના પક્ષ સાંભળવા માટે બોલાવવામાં પણ આવ્યા હતા. ઇજારદાર વિજય મિસ્ત્રી તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ જીઓ ડિઝાઇન દ્વારા સ્થાયી સમિતિની બેઠકમાં પોતાનો બચાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. બંને તરફથી બચાવમાં જણાવવામાં આવ્યું હતું કે ભારે વરસાદના કારણે એપરોજ રોડની બાજુમાં આવેલા ખેતરનો પાણી નીચે રહી ગયું હતું જેના કારણે જમીન પોચી થઈ ગઈ હતી અને ડામરના ક્રેક આવી ગયા હતા જેથી એપરોજનો ભાગ નીચે બેસી ગયો હતો.બેઠકમાં કન્સલ્ટન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓએ તમામ નિયમ અને કાયદા મુજબ જ પીએમસીની કામગીરી કરી હતી.