ETV Bharat / state

Surat Police : ઝારખંડના વાસેપુરમાં સુરત પોલીસનું અન્ડરકવર ઓપરેશન, બે દાયકાથી ફરાર હત્યારાને દબોચ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2023, 4:24 PM IST

Surat Police
Surat Police

ગુજરાત પોલીસ ગુના ઉકેલવામાં દેશભરમાં બેજોડ છે. ત્યારે સુરત પોલીસે આવું જ એક ઓપરેશન પાર પાડી વાહવાહી મેળવી છે. સુરત પોલીસે ઝારખંડમાંથી સુરતમાં હત્યાના કેસમાં 21 વર્ષથી ફરાર આરોપીને દબોચ્યો છે. પરંતુ આ કોઈ સામાન્ય ધરપકડ નહોતી. સુરત પોલીસકર્મીઓએ વાસેપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં છૂપો વેશ ધારણ કરી ભારે જહેમત બાદ આ મિશન પાર પાડ્યું છે. જુઓ જેમ્સ બોન્ડના ફિલ્મ જેવા સુરત પોલીસના મિશનનો ઘટનાક્રમ Surat Police

સુરત : સુરત પોલીસે એક સ્પેશ્યલ મિશન પાર પાડી ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઝારખંડ રાજ્યમાંથી સુરતના હત્યા કેસમાં છેલ્લા 21 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ માટે ઝારખંડના અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતા વાસેપુરમાં સુરત પોલીસ જવાનો સાત દિવસ સુધી ઓટો ડ્રાઈવર બનીને રહ્યા હતા. આરોપીની ધરપકડ કરવા માટે ટેમ્પોમાં પણ રેકી કરતા હતા. આખરે હત્યાના આરોપીની સુરત પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડથી દબોચ્યો હતો.

21 વર્ષથી ફરાર હત્યારો : આ અંગે મળતી માહિતી અનુસાર ઉધના પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 59/2003 IPC કલમ 302, 201 અને 114 કેસમાં કેસમાં સંડોવાયેલા આરોપીની શોધખોળ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. સુરત પોલીસ દ્વારા આરોપીને લગતી માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ વચ્ચે પોલીસને જાણકારી મળી હતી કે આરોપી ઝારખંડના અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતા વાસેપુરમાં રહે છે. જેથી આરોપીની ધરપકડ કરવા માટે પીસીબીની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી.

ચકચારી હત્યા કેસ : મળતી માહિતી અનુસાર આ બનાવ વર્ષ 2003 મે મહિનામાં બન્યો હતો. જ્યારે આરોપીનો મિત્ર મેહરાજ અલીની દયાશંકર ગુપ્તા નામની વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. મેહરાજ અને ઉમર દયાશંકરને અમૃતનગર લઈ ગયા અને તેને દારૂ પીવડાવ્યો હતો. જ્યારે તે દારૂના નશામાં ધૂત થઈ ગયો ત્યારે બંનેએ મળીને દયાશંકરના ગળા અને માથામાં માર મારીને તેની હત્યા કરી નાખી હતી. જેથી મૃતકની ઓળખ થઈ શકે તેમ ન હોય મોઢા પર કપડું બાંધી તેને સળગાવી દીધો હતો અને રૂમને બહારથી તાળું મારીને ભાગી ગયા હતા. આ કેસમાં મેહરાજ અને ઉમર વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

સુરત પોલીસનું મિશન : આરોપી મોહમ્મદ ઉમર અન્સારી ધનબાદના વાસેપુરનો હોવાનું બહાર આવ્યું હતું. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઝારખંડ નાસી ગયો હતો. આરોપી પોતાના વિસ્તારમાં રહી ઓટો ચલાવતો હતો. માહિતીની ખરાઈ કર્યા બાદ PCB ટીમને આરોપીની ધરપકડ કરવા માટે મોકલવામાં આવી હતી. PCB ટીમના સભ્યોએ ઓટો ડ્રાઈવરનો વેશ ધારણ કરીને ઝારખંડના અત્યંત સંવેદનશીલ વાસેપુર વિસ્તારમાં 7 દિવસ સુધી પડાવ નાખ્યો હતો. પોલીસકર્મીઓ ઓટોમાં ફરતા અને આરોપીની માહિતી એકત્ર કરતા હતા. આખરે પોલીસને મોહમ્મદ ઉમર અંસારીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

પોલીસ કાર્યવાહી : પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. સુવેરાએ જણાવ્યું કે 2023 માં PCB એ કુલ 22 આરોપીઓની ધરપકડ કરી છે જેઓ 10 વર્ષથી વધુ સમયથી ફરાર હતા. જેમાંથી 16 આરોપીની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. PCB ટીમ આરોપીને સુરત લાવી હત્યા કેસમાં તેની પૂછપરછ શરૂ કરી હતી.

  1. Surat Crime : માત્ર 28 વર્ષની ઉંમરમાં ગેંગ બનાવનાર કુખ્યાત આરોપી ઝડપાયો, ચિરાગ મેર વિરુદ્ધ 25 થી વધુ ગુના નોંધાયા
  2. 19 વર્ષથી ફરાર પોલીસનો હત્યારો મુંબઈમાં ભીખ માંગતા સુરત પીસીબીના હાથે ઝડપાઈ ગયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.