ETV Bharat / state

Surat news: રહસ્યમય મોત, આલ્કોહોલના દ્રાવણ ભરેલી ટાંકીમાંથી મળ્યો મૃતદેહ

author img

By

Published : Feb 1, 2023, 5:24 PM IST

Surat news:  રહસ્યમય મોત, આલ્કોહોલના દ્રાવણ ભરેલી ટાંકીમાંથી મળ્યો મૃતદેહ
Surat news: રહસ્યમય મોત, આલ્કોહોલના દ્રાવણ ભરેલી ટાંકીમાંથી મળ્યો મૃતદેહ

મહુવા સુગર ફેક્ટરીની આલ્કોહોલ (Surat news) દ્રાવણની ટાંકીમાંથી પ્લાન્ટ ઇન્ચાર્જનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે જાણ થતાં મહુવા પોલીસ સ્થળ પર પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે.

સુરત: જિલ્લાની મહુવા સુગર ફેકટરીના ડિસ્ટલરી પ્લાન્ટમાં ફરજ બજાવતા કર્મચારીનો આલ્કોહોલ દ્રાવણની ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. સોમવારે બપોરે ગુમ થયા બાદ તેમની કોઈ ભાળ મળી ન હતી. બાદમાં સીસીટીવીના આધારે ટાંકીમાં ચેક કરતા તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેઓ ટાંકીમાં કઈ રીતે પડ્યા તે હજુ સુધી જાણી શકાયું નથી.

રહસ્યમય મોત, આલ્કોહોલના દ્રાવણ ભરેલી ટાંકીમાંથી મળ્યો મૃતદેહ

પોલીસ સ્થળ પર પહોંચી: સુરત જિલ્લાની મહુવા સુગર ફેક્ટરીના ડિસ્ટલરી પ્લાન્ટમાં ઇન્ચાર્જ તરીકે નોકરી કરતાં 48 વર્ષીય યુવાનનો મૃતદેહ આલ્કોહાલ દ્રાવણ ભરેલી ટાંકીમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. સમગ્ર ઘટના અંગે જાણ થતાં મહુવા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

ગુમ થયા હતા: મહુવા તાલુકાનાં વાછવાડ ગામના મૂળ રહેવાસી અને હાલ કરચેલીયા ખાતે રહેતા ભીખુ નારણભાઇ પટેલ બામણીયા ગામની સીમમાં આવેલી મહુવા સુગર ફેક્ટરીમાં પ્લાન્ટ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતાં હતા. સોમવારના રોજ તેઓ નોકરી પર આવ્યા હતા. બપોરે 12 વાગ્યે લંચ બ્રેક પડતાં સાથી કર્મચારીઓએ જમવા માટે ભીખુભાઈની શોધખોળ કરી હતી.

આ પણ વાંચો Suicide Cases in Surat : બીએચએમએસ વિદ્યાર્થીનો 10મે માળેથી ઝંપલાવી આપઘાત, સ્યૂસાઇડ નોટ મળી

ટાંકી તરફ જતાં નજરે પડ્યા: લંચ સમયથી ગાયબ ભીખુભાઈ મોડી સાંજે પણ સુગર ફેક્ટરીમાં નજરે પડ્યા ન હતા. તેમની કાર સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં જ હોવાથી કઈક અજુગતું થયું હોવાની શંકાને આધારે સાથી કર્મચારીઓએ ફરીથી તેમની શોધખોળ આદરી હતી. સુગર ફેક્ટરીના સીસીટીવી ચેક કરતાં તેઓ આલ્કોહોલના દ્રાવણ વાળી ટાંકી તરફ જતાં નજરે પડ્યા હતા. ત્યારબાદ તેઓ કલાકો સુધી પરત આવતા દેખાયા ન હતા.

આ પણ વાંચો Hostel girl suicide case: પ્રધાન બાવળિયાની હોસ્ટેલમાં આપઘાત મામલે ગૃહ રાજ્ય પ્રધાનને સચોટ કારણ શોધવા પત્ર

ઢાંકણ ખુલ્લું હતું: કર્મચારીઓએ ટાંકી તરફ શોધખોળ કરતાં આલ્કોહોલ દ્રાવણની ટાંકી નંબર 3નું ઢાંકણ ખુલ્લુ દેખાયું હતું. અંદાજિત બે લાખ લિટરની ક્ષમતા ધરાવતી આ ટાંકીમાં ગરમ આલ્કોહોલનું દ્રાવણનો સંગ્રહ થતો હતો. જેમાં તેમનો મૃતદેહ હોવાની શંકાને આધારે શોધખોળ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે સુગર મિલના સંચાલકએ મહુવા પોલીસને જાણ કરવામા આવી હતી.

મૃતદેહ બહાર કઢાયો: ભીખુભાઈ ટાંકીમાં જ પડ્યા હોવાની પુષ્ટિ થતાં પોલીસે સ્થાનિક કર્મચારીઓ સાથે મળી ટાંકી ખાલી કરવાનું શરૂ કર્યુ હતું. કલાકોની જહેમત બાદ રાત્રિના 8.30 કલાકે ટાંકીમાંથી ભીખુભાઈ પટેલનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને લઈને પોલીસે મૃતકની બહેનની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોતનું કારણ જાણી શકાયું નથી: મહુવા પીએસઆઇ વિજય સેંગલે જણાવ્યુ હતું કે, પોલીસ દ્વારા ભીખુભાઈ પટેલનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, તેમનું મોત કઈ રીતે થયું તે અંગે હજી સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરિવારજનો શોકમાં હોય હાલ નિવેદન લેવાની તજવીજ ચાલી રહી છે. આગામી તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ અમે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.