ETV Bharat / state

સાંકરી સ્વામિનારાયણ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું

author img

By

Published : Jun 18, 2021, 3:32 PM IST

સાંકરી સ્વામિનારાયણ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું
સાંકરી સ્વામિનારાયણ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું

બારડોલી તાલુકાના સાંકરી ખાતે આવેલું BAPS સ્વામિનારાયણ મંદિર શુક્રવારથી ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેર દરમ્યાન એપ્રિલ માસમાં સુરત અને તાપી જિલ્લામાં આવેલા BAPSના તમામ મંદિરો દર્શનાર્થીઑ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે આજે આખો દિવસ વરસાદ વરસતો રહેતા ખૂબ જ ઓછી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવ્યા હતા.

  • બે મહિના બાદ મંદિર ખુલ્લુ મુકાયું
  • પ્રથમ દિવસે વરસાદને કારણે ઓછા ભક્તો દર્શનાર્થે આવ્યા
  • મંદિર અંતર્ગત આવતા સુરત તાપી જિલ્લાના હરિ મંદિરોમાં પણ દર્શન કરી શકાશે

બારડોલી : સાંકરી ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર બે મહિના બંધ રહ્યા બાદ શુક્રવારથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ સાથે જ મંદિર અંતર્ગત આવતા તમામ હરિ મંદિરોમાં પણ ભક્તો દર્શન કરી શકશે.

નિયમો હળવા થતાં મંદિર દર્શનાર્થે ખોલવાનો નિર્ણય લેવાયો

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાતા અને સરકારી નિયંત્રણ પણ હળવા થતાં શુક્રવારથી મંદિર દર્શન માટે ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત શુક્રવારથી સાંકરી સ્વામિનારાયણ અને તેને સંલગ્ન સુરત અને તાપી જિલ્લાના હરિ મંદિરો પણ દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

દર્શન માટે આવતા ભક્તોએ કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરવું પડશે

સાંકરી BAPS મંદિરના સાધુ પુણ્યદર્શનદાસ (કોઠારી સ્વામી)ના જણાવ્યા મુજબ 18મી જૂન 2021, શુક્રવારથી સાંકરી મંદિર તથા મંદિર અંતર્ગત આવતા તમામ હરિમંદિરો દર્શનાર્થીઓ માટે સવારે 8.00 થી બપોરે 12.00 અને સાંજે 4.00 થી 7.00 વાગ્યા દરમ્યાન ખુલ્લા રહેશે. ભક્તોને દર્શને આવતી વખતે મંદિર પ્રશાસન દ્વારા ખાસ સૂચના પણ જારી કરવામાં આવી છે. જેમાં પરિસરમાં પ્રવેશ કરતાંની સાથે જ સરકાર અને BAPS સંસ્થાએ આપેલા નિયમોનું પાલન કરવું, માસ્ક પહેરવું અને દર્શન કરી પરિસરમાંથી તરત વિદાય લેવા જેવી સૂચનાઑ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.