ETV Bharat / state

કોરોના ઇફેક્ટઃ સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને આ વર્ષે 14,500 કરોડ રૂપિયાનું નુકસાન

author img

By

Published : Aug 10, 2020, 10:39 PM IST

Updated : Aug 11, 2020, 10:02 PM IST

વિશ્વભરમાં ટેકસટાઇલ સિટી તરીકે જાણીતા સુરત શહેરના ટેકસટાઇલ ઉદ્યોગને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કોરોનાની મહામારીને કારણે લોકડાઉન બાદ એનલોક 1-2 અને 3 દરમ્યાન મહત્વની સિઝન નિકળી જતા ટેક્સટાઇલના વેપારીઓને આશરે 14,500 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ટેક્સટાઈલ માર્કેટમાં આમ તો 65 હજાર જેટલી દુકાનો આવેલી છે. પરંતુ હાલ કોરોનાની સ્થિતિમાં માર્કેટની 25 ટકા દુકાનો ખુલી રહે છે.

સુરત ટેકસટાઇલ ઉદ્યોગને 14,500 હજાર કરોડનું નુકશાન
સુરત ટેકસટાઇલ ઉદ્યોગને 14,500 હજાર કરોડનું નુકશાન

સુરત :સુરતની ટેક્સટાઈલ માર્કેટ કે, જ્યાં દેશભરના લોકો ખરીદી કરવા આવતા હોય છે અને અહીંથી કરોડો રૂપિયાનો વેપાર દેશભરમાં થાય છે. સુરત કાપડ બજાર એશિયાનું સૌથી મોટા કાપડ બજારનું હબ છે. અહીં 300 થી વધુ કાપડ માર્કેટ છે. જેમાં 65 હજારથી વધુ કાપડની દુકાનો સહિત 350 પ્રોસેસિંગ હાઉસ છે. ત્યારે વીવીંગ ઇન્ડસ્ટ્રીની સાથે એમ્બ્રોઇડરી અને વેલ્યુ એડીશન કરનારી સુરત ટેકસટાઇલ માર્કેટની હાલત કફોડી બની છે.

સુરત ટેક્સટાઈલ ઉદ્યોગના જુદા-જુદા ચાર પાર્ટ છે. જેમાં આશરે 15 લાખ જેટલા લોકો જોડાયેલા છે. જે પૈકી કપડા બજારમાં કટિંગ, પેકીંગ, ફોલ્ડિંગ, લોડિંગ-અનલોડિંગ મળીને લગભગ પોણા ચાર લાખથી 4 લાખ જેટલા કારીગરો કામ કરે છે. પરંતુ જ્યારથી જીએસટી અમલમાં આવ્યું છે, ત્યારથી ઉદ્યોગ ધીમે-ધીમે મરણ પથારીએ જવા લાગ્યો હોય એવું વેપારીઓ માની રહ્યા છે. આ મુશ્કેલી વચ્ચે કોરોનાની સ્થિતિ આવતાં સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેના કારણે દેશભરમાં વેપાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો.

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને આ વર્ષે 14,500 કરોડનું નુકસાન

સુરતમાં મોટાભાગના કારીગરો રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી અને બિહારના છે. એસોસિએશનના પ્રમુખ રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, લોકડાઉનના બે ફેઝમાં અમારી માર્ચ-એપ્રિલની બે મહિનાની લગ્નપ્રસંગ, રમજાન, વૈશાખી અને અખાત્રીજ જેવી મહત્વની સિઝન નિકળી ગઈ છે. GST પહેલા દરરોજ સવા ચાર કરોડ મીટર પ્રતિ દિવસ કાપડનું ઉત્પાદન થતું હતું. જ્યારે હાલ GST બાદ કોરોના કાળમાં ઘટીને 75 લાખ મીટર પ્રતિ દિવસ થઈ ગયું છે. હાલ લગ્ન સહિત મહત્ત્વના સિઝન ચાલી ગઈ છે. કારીગરો પણ વતનથી પરત આવી રહ્યા નથી અને બજારમાં વેપાર પણ નથી. સરકાર પાસેથી અત્યાર સુધી અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ ટ્રેડર્સની અપેક્ષાઓ ક્યારે પણ પૂર્ણ કરવામાં આવી નથી. જેથી હવે ટ્રેડર્સ સરકાર પાસે કોઈ પણ આશા રાખતા જ નથી.

વર્ષ 2020માં કુલ કારોબારનો 15 ટકા કારોબાર વેપારીઓ આ લગ્નસરાની સિઝન અને અન્ય તહેવારોમાં કરતા હતા. આ સમયે 250 કરોડ રૂપિયાનો કારોબાર થાય છે. જો કે, હાલના તબક્કે વેપાર ન થતા તેમજ લોકડાઉન અને અનલોક 1-2માં સુરત ટેક્સટાઇલને લગભગ 14,500 નુકસાન થયું છે.

છેલ્લા 13 વર્ષથી સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં એજન્ટ તરીકે કાર્યરત મુકેશ ડાઘા 7 રાજ્યના 150 જેટલા વેપારીઓના સંપર્કમાં છે અને દર વર્ષે તેઓ કરોડો રૂપિયાનો બિઝનેસ સુરતના વેપારીઓ સાથે કરાવતા આવ્યા છે. પરંતુ આ વર્ષે વેપાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયો છે. મુકેશની જેમ સુરતના કાપડ બજારમાં 5 હજારથી વધુ એજન્ટ કાર્યરત છે. પરંતુ તમામનું પેમેન્ટ અટવાઇ જતાં તેમની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલ તહેવારની સિઝન ચાલી રહી છે. ત્યારે કાપડના વેપારીઓની નજર નવરાત્રી અને દિવાળીના પર્વ પર છે. વેપારીઓને આશા છે કે, આ પર્વ પર 50 ટકા જેટલો પણ વેપાર થાય તો વેપારીઓ સહિત ટેક્સટાઇલ ઉદ્યોગને નવી રાહ મળશે.

Last Updated :Aug 11, 2020, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.