સુરત : ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં કોરોના વધવાની દહેશત જોવા મળી રહી છે. કારણ કે, લોકડાઉન દરમિયાન લાખોની સંખ્યામાં જે પરપ્રાંતીઓ વતન ચાલ્યા ગયા હતા. તેઓ ટ્રેન મારફતે પરત આવી રહ્યા છે. આ અંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં વધુ સંખ્યામાં શ્રમિકો સુરત પરત આવી શકે છે. જે માટે પાલિકાએ પોલિસી તૈયાર કરી છે. સ્ટેશન પર જ કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે. પરંતુ સમસ્યાએ પણ છે કે, મોટી સંખ્યામાં શ્રમિકો આવશે તો કેવી રીતે કોરોનાને કંટ્રોલ કરી શકાય જેથી પાલિકા દ્વારા ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે કે જે પણ શ્રમિકો સુરત આવશે તેઓને સાત દિવસ સુધી ફરજિયાત ક્વોરોન્ટાઇ રહેવું પડશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો કોરોના ટેસ્ટિંગ કરાવી લેશે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેઓને સાત દિવસ સુધી ક્વોરોન્ટાઇન રહેવાની જરૂર રહેશે નહીં અને તેઓ પોતાની નોકરી પર જઈ શકશે. પરંતુ જે લોકોએ ટેસ્ટિંગ નહીં કરાવ્યું હોય અને તેમને લક્ષણો હશે તો પણ તેઓને લક્ષણો મુજબ ટેસ્ટિંગ કરાવવાનું રહેશે અને સાત દિવસ સુધી કવોરોન્ટાઇન રહેવું પડશે.
- લોકડાઉન સમયે સુરતથી આશરે 3.50 લાખ પરપ્રાંતીય મજૂરો પોતાના વતન પરત ગયા હતા
- સુરત રેલવે સ્ટેશન પર 9966 લોકોના એન્ટીજન ટેસ્ટ કરાયા, જેમાંથી 100 પરપ્રાંતિયો કોરોના પોઝિટિવ
- પરપ્રાંતિયો માટે ગાઇડ લાઇન તૈયાર, જેમાં વતનથી પરત આવ્યા બાદ 7 દિવસ સુધી ફરજિયાત ક્વોરોન્ટાઇન રહેવું પડશે.
- એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો તો નોકરી પર તરત હાજર રહી શકશે.
- જો એન્ટીજેન ટેસ્ટ નેગેટિવ આવશે પણ કોરોનાના લક્ષણ હશે તો ક્વારોન્ટાઇન રહેવુ પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં શ્રમિકો ફરી પરત આવી રહ્યા છે.શ્રમિકો પરત ફરતા કોરોના વધવાની દહેશત જોવા મળી રહી છે. મનપા દ્વારા રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. તેમાં 100 જેટલા પોઝિટિવ કેસ મળી આવતા તંત્રની ચિંતા વધી છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના અઠવા વિસ્તારમાં સતત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારબાદ રાંદેર અડાજણ વિસ્તારમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.