ETV Bharat / state

પ્રેમિકા સાથે સંબંધ હોવાની શંકાએ પ્રેમીએ લીધો મિત્રનો જીવ

author img

By

Published : May 25, 2021, 5:15 PM IST

પ્રેમિકા સાથે સંબંધ હોવાની શંકાએ પ્રેમીએ લીધો મિત્રનો જીવ
પ્રેમિકા સાથે સંબંધ હોવાની શંકાએ પ્રેમીએ લીધો મિત્રનો જીવ

બારડોલી તાલુકાનાં મોતા ગામમાં યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. યુવકના સગીર મિત્રએ જ હત્યા કરી હોવાની હકીકત સામે આવી છે. હાલ પોલીસે સગીર મિત્રને હસ્તગત કર્યો છે. આ ઘટનામાં, મૃતક યુવક સગીરની પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોવાનો વહેમ હતો. આથી, સગીરે તેને શેરડીના ખેતરમાં લઈ જઈ મોતને ઘાત ઉતારી દીધો હોવાનું પોલીસે જણાવ્યુ હતું.

  • મોતામાં યુવકની હત્યાને પોલીસનો અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ
  • પરિવારજનોના આરોપ બાદ પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા થઈ હોવાનું ખૂલ્યું
  • પોલીસે આરોપી સગીરની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી

બારડોલી: બારડોલી પોલીસે મોતા ગામમાં શેરડીના ખેતરમાંથી યુવકની હત્યા કરાયેલી અર્ધનગ્ન મૃતદેહ મળી આવવાની ઘટનામાં એક કિશોરને હસ્તગત કર્યો હતો. મૃતક યુવકને કિશોરની પ્રેમિકા સાથે પ્રેમ સંબંધ હોવાની વહેમ રાખી ખેતરમાં ગળું દબાવી હત્યા કરી દીધી હોવાનું પોલીસે જણાવ્યુ હતું. જોકે, આ કેસમાં બારડોલી પોલીસ દ્વારા મોતને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હત્યા હોવા છતાં અકસ્માત મોતની જાહેરાત લીધી હતી. પરંતુ, પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની ફરજ પડી હતી. આ બાદ, તેના પ્રાથમિક રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થતાં છેવટે પોલીસને બીજા દિવસે હત્યાનો ગુનો નોંધવો પડયો હતો.

આ પણ વાંચો: તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો

21મીના રોજ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો મૃતદેહ

બારડોલી પોલીસ હવે ગંભીર હત્યા જેવા ગુનાને પણ અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. ગત 21મી મેની સાંજે મોતાના નવીગિરનાર ફળિયામાં આવેલા જનતા ફળિયું કોલોનીમાં રહેતા 22 વર્ષીય અનિલ રાજુ રાઠોડનો શંકાસ્પદ હાલતમાં શેરડીના ખેતરમાંથી અર્ધનગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. ઇજાના બાહ્ય નિશાન ન હોવા છતાં હત્યા થઈ હોવાનું દેખીતી રીતે જણાય આવતું હતું. પરંતુ, બારડોલી પોલીસ દ્વારા તાત્કાલિક હત્યાનો ગુનો નોંધવાની જગ્યાએ મૃતકના પિતાની અકસ્માત મોતને કારણે મોતને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી

પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને હત્યાનો ગુનો નોંધવા માટેની માગ કરી હતી. પરિવારની સતત માંગને કારણે છેવટે મૃતદેહ બીજા દિવસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં યુવકનું ગળું દબાવી હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. છેવટે બારડોલી પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો: બારડોલીમાં ત્રણ બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું

શેરડીના ખેતરમાં લઈ જઈ ગળું દબાવી દીધું હતું

આ દરમિયાન પોલીસે સોમવારના રોજ મૃતકના સગીર મિત્રની ધરપકડ કરી હતી. સગીરની પ્રેમીકા સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી સગિરે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પોલીસે ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસરને સાથે રાખી ઝીણવટ ભરી પૂછપરછ કરતાં સગીરે જણાવ્યુ હતું કે, ગત 20મી મેના રોજ મૃતક અનિલ સગીર સાથે કેરી લેવા માટે RTO ઓફિસની પાછળ ખેતરાડી તરફ ગયા હતા. જ્યાં, શેરડીના ખેતરમાં સગીરે અચાનક બન્ને હાથ વડે જોરથી અનિલનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ, શેરડીના ચાસમાં અનિલના મૃતદેહને ખેંચી શેરડીથી ઢાંકી દીધી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.