હિંમતનગરના ખેડૂતે પરંપરાગત પાક સાથે મધની ખેતી કરી ખેડૂતોને બતાવી આવકની નવી દિશા

author img

By

Published : Aug 14, 2021, 5:29 PM IST

સાબરકાંઠા

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા મેહરપુરા ગામના ખેડૂતે મધની ખેતી કરી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. મેહરપુરા ગામના સલમાન અલી નામના ખેડૂતે છેલ્લાં 17 વર્ષમાં મધની ખેતીમાં વેલ્યુ એડીશન કરી પોતાની પ્રોડક્ટ બજારમાં મૂકી છે. જેના પગલે વિશ્વના 13 જેટલા દેશો સુધી મધ પહોંચી ચૂક્યું છે, તેમજ હાલમાં પણ તેની ખૂબ મોટી માગ છે.

  • સાબરકાંઠાના હિંમતનગરના મહેરપુરાનો ખેડૂત મધની ખેતીથી થયો ફેમસ
  • મધની ખેતી કરી પોતાની યૂનિક પ્રોડક્ટ બજારમાં મૂકી
  • ખેડૂતોને પણ વેલ્યુ એડીશન કરવા રજૂઆત
  • અન્ય ખેડૂતોને પણ મધની ખેતીમાં જોડાવા આહવાન

સાબરકાંઠા: સામાન્ય રીતે મધની ખેતી કરવા માટે મધમાખી ઉછેર ખુબ જ જરૂરી બને છે, ત્યારે મધમાખીની સંપૂર્ણ જાણકારીની સાથે તેને જરૂરી વાતાવરણ પણ મહત્વનું બની રહેતું હોય છે. જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા મહેરપુરા ગામના સલમાન અલી નામના ખેડૂતે મધમાખીને જરૂરી વાતાવરણ અનુસાર જમ્મુ કાશ્મીરથી લઇ કર્ણાટક સુધી અલગ-અલગ સિઝનમાં અલગ અલગ જગ્યાએ મોકલી આપી મધ મેળવવાની શરૂઆત કરી હતી. હાલમાં સલમાન અલીએ પોતાનું મધ અલગ-અલગ ખાનગી કંપનીઓ સુધી પહોંચાડવાની શરૂઆત કરી છે.

મધની ખેતીની સાથે અન્ય ખેતીમાં 20 ટકાથી 200 ટકા સુધી ફાયદો

એક તરફ કૃષિ તેમજ ખેડૂતોની હાલત દિન-પ્રતિદિન કથળતી જઇ રહી છે. આગામી સમયમાં વધારાની આવક મેળવવા માટે મધની ખેતી એ એક નવી દિશા છે. મધની ખેતી કરવા માટે મધમાખીઓ અને દોઢ કિલોમીટરની ત્રિજ્યામાંથી મળતા ફૂલ છોડ ઉપર આધારિત રહેવું પડતું હોય છે. જોકે, કોઈ પણ વ્યક્તિ આ મામલે થોડી સાવચેતી રાખે તો ખૂબ મોટી આવક મેળવી શકે તેમ છે. હાલમાં વિવિધ દેશોમાં મધની વિપુલ માંગ છે, સાથે જ મધ માખીને ખેતરના શેઢે રાખવાથી પરંપરાગત પાકોમાં 20 ટકાથી 200 ટકા સુધીનો ફાયદો મળી રહે છે. જેના પગલે મધમાખીની ખેતી કરવાથી વધારાની આવક મળે તે નક્કી બાબત છે. મધમાખી ઉછેરવા માટે તેના પર સરકારી સહાય પણ ઉપલબ્ધ હોવાના પગલે ખેડૂતો મધની ખેતી થકી આર્થિક રીતે પગભર બની શકે છે.

હિંમતનગરના ખેડૂતે પરંપરાગત પાક સાથે મધની ખેતી કરી ખેડૂતોને બતાવી આવકની નવી દિશા

આ પણ વાંચો- ડ્રેગન ફ્રૂટની ખેતી માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને સહાય આપવાનો પ્રારંભ

2022 સુધી આવક ડબલ કરવા મધની ખેતી જરૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવાના સ્વપ્નને મધની ખેતી થકી સાર્થક કરી શકાય તેમ છે. પરંપરાગત ખેતી કરવાની સાથે જો મધની ખેતી કરવામાં આવે તો ખેડૂતોને વધારાની ચોક્કસ આવક મળી રહે છે. જેમાં એક પેટીને અનુકૂળ વાતાવરણમાં રાખવામાં આવે તો બે કિલોથી લઇ પાંચ કિલો સુધીનું મધ મેળવી શકાય છે. જેના પગલે વર્તમાન બજારમાં ઓછામાં ઓછી 600 રૂપિયાથી લઇ 3,000 રૂપિયા આવક એક બોક્સમાંથી મળી શકે તેમ છે. જોકે, આ મામલે ખેડૂત પોતાના મધને ચોક્કસ યુનિટમાં પેકિંગ કરાવી બજારમાં મૂકે તો તેની કિંમત પહેલા કરતા વધી શકે છે. ઉપરાંત, સારી ગુણવત્તાવાળી વસ્તુ છેવાડાના વ્યક્તિ સુધી સરળતાથી પહોંચાડી વધુ નફો પણ મેળવી શકે છે.

મેહરપુરા ગામના ખેડૂતે મધની ખેતી કરી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા
મેહરપુરા ગામના ખેડૂતે મધની ખેતી કરી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા

સરકાર પણ આપે છે સહાય

રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આ મામલે વિવિધ સહાયની પહેલેથી જ જાહેરાત કરવામાં આવી છે. તેમજ હજુ પણ આગામી સમયમાં સ્થાનિક ખેડૂતોને મધની ખેતી તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે તો 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની સાથે આર્થિક રીતે પગભર બની શકે તે ચોક્કસ બાબત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.