- રાજકોટ મનપા દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરાયું
- અંદાજીત રૂપિયા 210 કરોડની જમીન ખુલ્લી કરાઈ
- સ્થાનિકોને પાઠવી હતી 9 મહિના અગાઉ નોટિસ
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના શીતલ પાર્ક અને રૈયાધાર વિસ્તારમાં મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત 125થી વધુ કાચા પાકા મકાન તોડી પાડવામાં આવ્યા હતા. છેલ્લાં કેટલાંક સમયથી કોર્પોરેશન હસ્તકની જમીન પર ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવતા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
210 કરોડની જમીન પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું
રાજકોટ કોર્પોરેશન દ્વારા રૈયાધાર ખાતે ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા સ્થાનિકોને 9 મહિના અગાઉ નોટિસ પાઠવી હતી. તેમજ ત્રણથી ચાર વખત લેખિક અને મૌખિક જાણ પણ વિસ્તાર વાસીઓને કરવામાં આવી હતી. તેમ છતાં પણ તેમણે ગેરકાયદેસર દબાણ દૂર ન કરતા અંતે કોર્પોરેશન દ્વારા ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ટીપી સ્કીમના 9 નંબરના રોડને ક્લિયર કરવામાં આવ્યો હતો. અંદાજીત 90263.00 ચો.મીની રૂપિયા 210 કરોડની જમીનને ખાલી કરવામાં આવી હતી.
મનપા દ્વારા રૈયાધાર વિસ્તારમાં 6 અલગ અલગ જગ્યાએ ડીમોલેશન કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે 3 મકાન, આવાસ યોજનાના ક્વાર્ટર નજીક 12 મકાન, હિંમતનગર નજીક આદર્શ નિવાસી સ્કૂલ વાળા રોડ પરથી 33 મકાન, ગાર્બેજ સ્ટેશન રોડ નજીકથી 54 મકાન, રૈયાધાર આવાસ યોજના રોડ પરથી 24 મકાન, તેમજ આકાશવાણી ચોક નજીક 15 મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા.