રાજકોટ: બિપરજોય વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. રાજકોટ આવેલા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ આ અંગે પણ વહીવટી તંત્ર તેમજ સબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સૌરાષ્ટ્ર ખાસ કરી પોરબંદર, જામનગર, દ્વારકા, અને કચ્છ સહિત દરિયાઈ જિલ્લામાં પરિસ્થિતિ અંગે માહિતી મેળવી આરોગ્ય અંગે જરૂરી તમામ સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ સાથે જરૂર જણાયે લોકોને સલામત સ્થળ પર અગાઉથી સ્થળાંતર કરવા માટે ટકોર પણ પ્રધાન દ્વારા વહીવટી તંત્રને કરવામાં આવી હતી.
સમીક્ષા બેઠક યોજી: રાજકોટ ખાતે પ્રધાન મનસુખ માંડવીયા દ્વારા બિપરજોય વાવાઝોડા પગલે એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા વાવાઝોડા અંગે સંભવિત રૂટ દર્શાવવામાં આવ્યો હતો. વાવાઝોડું કેટલી ઝડપે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. તેની માહિતી પુરી પાડી હતી. આ ઉપરાંત જિલ્લામાં તમામ હોસ્પિટલ અને આરોગ્ય અંગે શું સુવિધા અને શું તૈયારી તકેદારી ભાગરૂપે કરાઈ તેની પણ માહિતી આપવામાં આવી હતી.
સાયક્લોન સિસ્ટમ: જો કે સ્થળાંતર અંગે કોઈ માહિતી ન આપતા પ્રધાનએ ટકોર કરતા કહ્યું હતું કે, આપણે વાવાઝોડાને ગંભીરતાથી નથી લેતા ઓરિસ્સામાં લોકો વાવાઝોડાનો સામનો સમયાંતરે કરતા હોય છે. તેઓ પ્રથમ સલામત સ્થળ પર સ્થળાંતરની વ્યવસ્થા કરતા હોય છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ વાવાઝોડા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં સાયક્લોન સિસ્ટમ ઉભી થઇ છે. એને લઇ સૌરાષ્ટ્ર કચ્છને હિટ કરે તેવું લાગી રહ્યું છે. જરૂર જણાશે તો રાજકોટ એઇમ્સની મેડિકલ ટીમ પણ રાજ્ય સરકારની મદદે જરૂર આવશે અને મેડિકલ સેવા પુરી પડશે.