ETV Bharat / state

Porbandar rain : પોરબંદર જિલ્લો જળમગ્ન બન્યો, 1400 લોકોને કરાયા સ્થળાંતર

author img

By

Published : Jul 21, 2023, 10:28 PM IST

Porbandar rain : પોરબંદર જિલ્લો જળમગ્ન બન્યો, 1400 લોકોને કરાયા સ્થળાંતર
Porbandar rain : પોરબંદર જિલ્લો જળમગ્ન બન્યો, 1400 લોકોને કરાયા સ્થળાંતર

પોરબંદરમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખતાં 1400 લોકોને હોડીમાં સ્થળાંતર કરાયું છે. પાણી ભરાતા ખોડિયાર મંદિરથી માર્કેટિંગ યાર્ડ તરફ જતો રસ્તો બંધ થઈ ગયો છે. તેમજ એક મકાન ધરાશાયી થતાં 3 ઈજાગ્રસ્ત, 1નું મૃત્યુ થયું છે. તો બીજી તરફ કેટલાક નદી નાળા છલકાતા લોકોને સૂચના આપવામાં આવી છે.

પોરબંદરમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું

પોરબંદર : હવામાન વિભાગની આગાહીના પગલે પોરબંદરમાં વરસાદે છેલ્લા અઠવાડિયાથી માઝા મૂકી છે. ગઈકાલે ધોધમાર વરસ્યો હતો અને જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. 1400 લોકોને તંત્ર દ્વારા સ્થળાંતર કરાયા છે. જોકે આજે વરસાદે શાંતિ જાળવી હતી અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ખેડ વિસ્તારના ઉપરવાસમાં વધુ વરસાદ પડતા અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. પોરબંદર શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની છે. પોરબંદરના રાણાવાવ તાલુકાના ફોદાળા ડેમ તથા ખંભાળા ડેમ સપાટી નાસ્તર સુધી ભરાઈ ગયા છે.

28 ઇંચ વરસાદ : પોરબંદરમાં અત્યાર સુધીમાં જિલ્લાનો કુલ 28 ઇંચ વરસાદ પડી ગયો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે પોરબંદરને વરસાદે ધમરોળ્યું હતું અને ચાર ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હતો. પોરબંદરના રાણાવાવ તાલુકામાં આવેલ ફોદાળા ડેમ સપાટીના 100 ટકા અને ખંભાળા ડેમની સપાટી 90 ટકા ભરાઈ ગઈ છે.

ડેમ ઓવરફ્લો : ભારે વરસાદના કારણે ફોદાળા ડેમ ઓવરફલો થયો છે. જેને લઈને ડેમ નજીકના ગામો બિલેશ્વર, હનુમાનગઢ, ગનડીયાવાળાનેસ, સાજણવાળાનેસ, કાઠીયાનેસ, જારેરાનેસ, આશિયાપાટ, રાણાખીરસરા, રાણાવારોત્રા, રાણાકંડોળા, ખીજદળ, ઠોયાણા, જાંબુ ગામના લોકોને નદીની આસપાસના વિસ્તારમાં ન જવા તેમજ તકેદારી રાખવા તંત્ર દ્વારા જણાવાયું છે.

લોકોને સુચના : રાણાવાવ તાલુકાની તોરણીયા નદી પર આવેલા ખંભાળા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. આથી આસપાસના નદીકાંઠાના ગામો ખંભાળા, રામગઢ, પીપળીયા, દોલતગઢ, અણીયારી, ભોદ વડવાળા, ઝારેરા નેસ, બીલેશ્વર, આશિયાપાટ, હનુમાનગઢ, પારાપટનેસ, સાજણ વાળાનેસ અને લાધાઘાટ નેસના લોકોને સાવચેત રહેવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરે સૂચના આપી છે.

લોકોને કર્યા સુરક્ષિત : પોરબંદર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 1424 જેટલા અસરગ્રસ્તોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત આશ્રય સ્થાનો પર ખસેડીને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત પોરબંદરના નીચાણવાળા વિસ્તારમાં કડીયા પ્લોટ પાસે આવેલા ખોડિયાર મંદિરથી માર્કેટિંગ યાર્ડ તરફ જતો રસ્તો પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવામાં આવ્યો હતો. નરસન ટેકરી, મફતીયાપરા અને ઘાસ ગોડાઉન પાછળના વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ નરસન ટેકરી વિસ્તારમાં જઈ લોકોની ઘરવખરી અને લોકોને હોડીમાં સુરક્ષિત સ્થળે ખસેડયા હતા.

એકનું મૃત્યુ : પોરબંદરના પાલાના ચોકમાં ગઈકાલે એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આજે વહેલી સવારે ગોપીનાથજી હવેલી પાસે એક મકાન ધરાશાહી થતાં પરિવારના ત્રણ સભ્યોને ઈજા પહોંચી હતી. જેમાંથી કનકભાઈ આડતીયા નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે તેમના માતાને બીજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

લોકોનું રેસ્ક્યુ : 108 એમ્બ્યુલન્સ કુતિયાણાથી માણાવદર તરફ પરત જઈ રહી હતી, ત્યારે પોરબંદર જુનાગઢ જતા રોડ પરના સરાડીયા ખાતે 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને મેડીકલ સ્ટાફ સાથે તથા એક બાઈક ચાલક પણ પાણીના પ્રવાહની વચ્ચે ફસાઈ ગયેલા હોય જે અંગેની માહિતી મળતા પોલીસ વિભાગ તેમજ વહીવટી અધિકારીઓ તેમના સ્ટાફ સાથે તુરત જ પરિસ્થિતિનો તાગ મેળવવા ચૌટા વાક ખાતે પહોંચી ગયા હતા. જ્યાં પાણીમાં ફસાયેલા લોકો સાથે ટેલીફોનીક વાત કરી તેમની પાસેથી તેમનું લોકેશન મેળવી તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યું : પોરબંદરથી દ્વારકા જતા રસ્તા પર ગાયત્રી મંદિર પાસે ખાડી આવતાં ખાડીનું પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. ત્યાંથી નીકળતા વાહન ચાલકોને ખાસ કરીને બાઈક ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

  1. Rajkot Rain: ઉપલેટા પંથકમાં વરસાદી પાણીએ ખેતીની પથારી ફેરવી નાખી, ખેતરો નદી તળાવમાં ફેરવાયા
  2. Junagadh Monsoon : મુખ્યપ્રધાનના હવાઈ નિરીક્ષણ પર તાલાલાના MLA લોકોની સુખાકારી માટે કરશે માંગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.