- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં (Hemchandracharya North Gujarat University) MBBSના નાપાસ વિદ્યાર્થીને પાસ કરવાનો મામલો
- તપાસના અંતે યુનિવર્સિટીના કુલપતિ જે. જે. વોરા સહિત પુનઃમૂલ્યાંકન કરનારો તમામ સ્ટાફ દોષિત
- યુનિવર્સિટીની આગામી કારોબારી સભામાં દોષિતો સામે કરાશે કાર્યવાહી
પાટણઃ જિલ્લાની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના (Hemchandracharya North Gujarat University) બહુચર્ચિત MBBSની પરીક્ષાના ગુણ સુધારણા કૌભાંડ મામલે મોટો ખૂલાસો થયો છે. આ કૌભાંડની તપાસ માટે નિમાયેલી સમિતિએ શિક્ષણ વિભાગને (Department of Education) અહેવાલ પરત કર્યો છે. આ સાથે જ પુનઃમુલ્યાંકનમાં (Re-evaluation) ત્રણ વિદ્યાર્થીઓના ગુણ સુધારી નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મુદ્દાને લઈને આજે NSUIના કાર્યકરોએ કુલપતિનો ઘેરાવો કરી તેઓની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી કુલપતિના રાજીનામાની માગ (Demand for the resignation of the Chancellor) કરી હતી. ઉચ્ચ શિક્ષણ વિભાગના આદેશ અનુસાર, આગામી યુનિવર્સિટીની કારોબારી બેઠકમાં (Executive meeting of the University) કસુરવારો સામે શિસ્તભંગના પગલાં લેવાશે.
યુનિવર્સિટીની કારોબારી સભાએ 2 સભ્યોની કમિટી બનાવી તપાસ કરાવી હતી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં (Hemchandracharya North Gujarat University) MBBSના પ્રથમ વર્ષમાં થયેલ પુનઃમૂલ્યાંકન કૌભાંડ મામલે યુનિવર્સિટીના કારોબારી સભ્ય શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની મેડીકલ વિદ્યાશાખામાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ જેતે સમયે યુનિવર્સિટીને મળી હતી. તેના આધારે યુનિવર્સિટીની કારોબારી સભાએ 2 સભ્યોની કમિટી બનાવી તપાસ કરાવી હતી, જેમાં ત્રણ વિદ્યાર્થીઓની નવી ઉત્તરવહીઓ રજૂ થઇ હોવાનું પ્રસ્થાપિત થયું હતું.
રિપોર્ટમાં ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થઈ હોવાનું સામે આવ્યું હતું
તો આ બાબતે સરકારે પણ સિનિયર IAS અધિકારીને તપાસ સોંપી હતી. તેમના રિપોર્ટમાં પણ ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ગુમ થઈ હોવાનું અને તેના બદલે બીજી લખેલી ઉત્તરવહીઓ મૂકાઈ હોવાનું પ્રસ્થાપિત થાય છે. આથી આ બાબતે ઉચ્ચ શિક્ષણ કમિશનરે (Commissioner of Higher Education) આ કૌભાંડમાં સંડોવાયેલા સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવા યુનિવર્સિટીને આદેશ કર્યો છે. આને પગલે યુનિવર્સિટી દ્વારા આગામી કારોબારી સભામાં તે પત્ર વંચાણે લઈ રાજ્ય સરકારના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
કુલપતિ નૈતિકતાના ધોરણે રાજીનામું આપે તેવી માગ
આ કૌભાંડ મામલે યુનિવર્સિટી કેમ્પસ અને શિક્ષણવિદોમાં ભારે ખળભળાટ મચ્યો છે. તો આ મુદ્દાને લઈને બુધવારે NSUIના કાર્યકરોએ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે. જે. વોરાનો (The Chancellor of the University, Dr. J. J. Vora) ઘેરાવો કરી તેમની વિરુદ્ધ સૂત્રો પોકારી દેખાવો કર્યા હતા અને કુલપતિ નૈતિકતાના ધોરણે તાત્કાલિક રાજીનામું આપે તેવી માગ કરી હતી.