Gujarat Assembly Election 2022 : કોંગ્રેસનો ગઢ રહેલી સિદ્ધપુર બેઠક પર આગામી ચૂંટણીમાં ભાજપ કેસરિયો લહેરાવી શકશે?

author img

By

Published : Apr 28, 2022, 6:00 AM IST

Gujarat Assembly Election 2022 : કોંગ્રેસનો ગઢ રહેલી સિદ્ધપુર બેઠક પર આગામી ચૂંટણીમાં ભાજપ કેસરિયો લહેરાવી શકશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો પાટણની સિદ્ધપુર વિધાનસભા બેઠક (Siddhpur Assembly Seat) વિશે.

પાટણ - જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી કોંગ્રેસનો ગઢ ગણાતી સિદ્ધપુર વિધાનસભા બેઠક (Siddhpur Assembly Seat) પર લોકસેવક ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે કોંગ્રેસમાંથી બે વખત, ભાજપમાંથી જયનારાયણ વ્યાસે એક વખત અને ગત વિધાનસભામાં કોંગ્રેસમાંથી ચંદનજી ઠાકોરે આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે. ત્યારે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બલવંતસિંહ રાજપૂતને જો પક્ષ દ્વારા ટિકિટ મળે તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર સર્જાય અને કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર (Gujarat Assembly Election 2022)અપસેટ સર્જાય તો નવાઈ નહીં.

સિદ્ધપુર વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી - ગુજરાત રાજસ્થાન નેશનલ હાઈવે પર આવેલ અને દેવોનું મોસાળ ગણાતા શ્રી સ્થળ સિદ્ધપુર વિધાનસભા બેઠક (Siddhpur Assembly Seat) પર મુસ્લિમ અને ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે. પરંતુ આ બેઠક ઉપર મોટાભાગે સમાજના ઉમેદવારો જ વિજયી બન્યા છે. ખાસ કરીને આ વિસ્તારના દાનવીર અને ઉદ્યોગપતિ તરીકે જાણીતા બલવંતસિંહ રાજપૂતની દરેક સમાજ ઉપર પકડ અને વર્ચસ્વ હોય તેવો કોંગ્રેસમાં બોર્ડરૂમ સુધી આ બેઠક પરથી ચૂંટાયા છે. આ વિધાનસભા બેઠકમાં કુલ 95 ગામડાઓનો સમાવેશ થાય છે. જેમાં તારીખ 5/1/2022 સુધીની છેલ્લી પ્રસિદ્ધ થયેલી મતદારયાદીમાં મુજબ 137807 પુરુષ,127843 સ્ત્રી મળી કુલ 2,65,650 મતદારો નોંધાયા છે જ્ઞાતિ મુજબ મતદારોનું સમીકરણ જોતાં સૌથી વધુ 65 હજાર ઠાકોર, 63 હજાર મુસ્લિમ, 33 હજાર દલિત ,25 હજાર પટેલ ,12 હજાર રબારી,5900 બ્રાહ્મણ,3800 રાજપૂત, સહિત અન્ય નાના સમાજના મતદારોનો સમાવેશ થાય છે આ બેઠક ઉપર વર્ષોથી ઠાકોર અને મુસ્લિમ સમાજના મતદારોનો દબદબો રહ્યો છે.

સિદ્ધપુર વિધાનસભા બેઠક પર મતદાર ગણિત
સિદ્ધપુર વિધાનસભા બેઠક પર મતદાર ગણિત

અત્યાર સુધીની ચૂંટણીના પરિણામ - વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં (Assembly seat of Sidhhpur)કોંગ્રેસના બલવંતસિંહ રાજપૂત અને ભાજપના જયનારાયણ વ્યાસ વચ્ચે સીધી ટક્કર રહી હતી. જેમાં બલવંતસિંહ રાજપૂત ને 64142 અને જયનારાયણ વ્યાસને 53864 મત મળ્યા હતા. જેમાં બલવંતસિંહ રાજપૂતનો 10278 મતે વિજય થયો હતો. ત્યારબાદ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક (Siddhpur Assembly Seat) ઉપર ફરીથી આ બંને જ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસના બલવંતસિંહ રાજપૂતને 50181 મત મળ્યા હતાં. જ્યારે ભાજપના જયનારાયણ વ્યાસને 52610 મત મળતા તેઓનો 2429 મતે વિજય થતાં ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી. ત્યારબાદ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના પરંપરાગત ઉમેદવારોને જ ટિકિટો આપી હતી જેમાં બલવંતસિંહ રાજપૂત અને 87518 અને ભાજપના ઉમેદવાર જયનારાયણ વ્યાસને 61694 મત મળતા 25824 મતે કોંગ્રેસના બલવંતસિંહ રાજપૂતનો ઐતિહાસિક વિજય થયો હતો.

ગત ચૂંટણીમાં હાર જીતના ચહેરા
ગત ચૂંટણીમાં હાર જીતના ચહેરા

2017 વિધાનસભા ચૂંટણી જંગ અને પરિણામ - વિધાનસભાની (Siddhpur Assembly Seat) આ ત્રણ ટર્મમાં બંને ઉમેદવારો સામસામે આવ્યા હતાં. જેમાં બલવંતસિંહ રાજપૂતનો બે વખત અને ભાજપના જયનારાયણ વ્યાસનો એક વખત વિજય થયો હતો. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Election 2017) આ બેઠક જાળવી રાખવા કોંગ્રેસ મોવડમંડળે ભારે મનોમંથન કર્યું હતું અને ઉમેદવારોની લાંબી યાદી તેમજ અલ્પેશ ઠાકોરના વ્યસન મુક્તિ અભિયાનને લઇ સંગઠિત થયેલા ઠાકોર સમાજના મતો અંકે કરવા આ બેઠક ઉપર નવા ઉમેદવાર ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યાં હતાં અને કોંગ્રેસનો આ દાવ સફળ રહેતા આ બેઠક કોંગ્રેસે જાળવી રાખી હતી. સિદ્ધપુર વિધાનસભા બેઠકની વર્ષ 2017ની ચૂંટણીમાં કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર રહી હતી. કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતાં. જ્યારે ભાજપે ચોથી વખત જયનારાયણ વ્યાસને ટીકીટ આપતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીમાં 169066 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 88268 મત મળ્યા હતાં.જ્યારે ભાજપના જયનારાયણ વ્યાસને 71008 મત મળતા કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો (Chandanji Thakor Seat) 17260 મતે વિજય થયો હતો. ભાજપે 2002થી 2017 સુધીની સતત ચાર ટર્મ ઉમેદવાર બદલ્યા વગર જયનારાયણ વ્યાસને (Jaynarayan Vyas Seat) જ ટિકિટ આપી હતી જેમાં એક વખત તેઓનો વિજય અને ત્રણ વખત પરાજય થયો હતો.

આ પણ વાંચોઃ Gujarat Election 2022 : સુરતની વરાછા બેઠક જે પાટીદારોના બળે આપનું જોર વધારનારી બની ગઈ, જાણો તેની વિશેષતા

સિદ્ધપુર વિધાનસભા બેઠકની ખાસિયત - દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે માર્ગ અને રેલ માર્ગ અને જોડતા સિદ્ધપુર શહેર અનેક ખાસિયતો ધરાવે છે. સરસ્વતી નદીના કિનારે આવેલું આ પૌરાણિક નગરમાં રૂદ્રમહાલ ભારત સહિત વિશ્વમાં માતૃતર્પણ માટેનું એકમાત્ર સ્થળ બિંદુ સરોવર પણ અહીં આવેલું છે. જ્યાં ભારત ઘરમાંથી હજારોની સંખ્યામાં લોકો માતૃતર્પણ માટે અહીં આવે છે અને માતાનું પિંડદાન કરી માતૃ ઋણમાંથી મુક્ત થયાનો અહેસાસ કરે છે. તો બીજી તરફ બેનમૂન લાકડાની કલાકોતરણી અને નકશીકામના વહોરવાડના મકાનો તથા 120 બારીવાળુ મકાન સહેલાણીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હોલીવૂડ, બોલિવૂડ અને ટેલિવૂડમાં ચમકેલા આ મકાનો એ સિદ્ધપુરનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત સિધ્ધપુરમા અરવડેશ્વર,વાલકેશ્વર સહિતના પાંચ સ્વયંભૂ મહાદેવના મંદિરો પણ આવેલા છે. જેથી સસ્તુ ભાડુંને સિદ્ધપુરની યાત્રા એક કહેવત પ્રચલિત બની છે.

આ બેઠક અનોખી ખાસિયતો ધરાવે છે
આ બેઠક અનોખી ખાસિયતો ધરાવે છે

સિદ્ધપુરની આગવી ઓળખ- માતૃગયા તીર્થ તરીકે સમગ્ર ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ થયેલ અને છોટા કાકાનું મગદર પણ આગવી ઓળખ ધરાવે છે. વર્ષો અગાઉ લાલુમલ નામના વેપારીએ એક ટેબલ ઉપર માટલા ગુલ્ફી અને લસ્સી બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. જે ધીમે ધીમે વિસ્તરતા આજે ભારત સહિત વિદેશોમાં પણ નામના ધરાવે છે. સિધ્ધપુરની લાલુમલની લસ્સી ગુજરાત ઉપરાંત જોધપુર, જયપુર,પુષ્કર અને દુબઈમાં પણ એક્સપોર્ટ થાય છે અહીંની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ લસ્સીનો સ્વાદ માણવા અચૂક આ દુકાનની મુલાકાત લેછે. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ તેઓની અહીંની મુલાકાત દરમિયાન આ દુકાનમાં આવી લસ્સીનો સ્વાદ માણ્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : મહેસાણાની વિસનગર વિધાનસભા બેઠક જ્યાં પાટીદારોએ ભાજપને હંમેશા વધાવ્યો ત્યાં આ વખતે નવાજૂની થશે?

સિદ્ધપુર વિધાનસભા બેઠક પર પ્રભુત્વ ધરાવતાં સમાજ - સિદ્ધપુર બેઠક ઉપર ઠાકોર અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ હોવાને કારણે કોંગ્રેસનો ગઢ રહી છે. છેલ્લા 20 વર્ષમાં રાજ્યમાં ભાજપનું શાસન હોવા છતાં માત્ર એક જ ટર્મ માટે બીજેપીના ઉમેદવારનો વિજય થયો છે. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં bjp દ્વારા આ પંથકના લોકસેવક અને દાનવીર તરીકે પંકાયેલા બલવંતસિંહ રાજપૂત પર પસંદગીનો કળશ(Gujarat election 2022) ઢોળે છે કે પછી કોઈ અન્ય ઉમેદવારની (Siddhpur Assembly Seat) પસંદગી કરે છે તેના ઉપર રાજકીય પંડિતોની મીટ મંડાઇ છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ બેઠક જાળવી રાખવા વર્તમાન ધારાસભ્ય ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતારે છે કે પછી અન્ય કોઈ નવા ચહેરાની પસંદગી કરે છે તે જોવું રહ્યું. હાલ તો આગામી વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022)લઇને બંને રાજકીય પક્ષના મોવડી મંડળ દ્વારા જીતી શકે તેવા ઉમેદવારોના ક્યાસ કાઢી દાવેદારોની યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે.

સિદ્ધપુર બેઠક પર માગણી
સિદ્ધપુર બેઠક પર માગણી

સિદ્ધપુર વિધાનસભા બેઠકના લોકોની માગ - સિદ્ધપુરમાં (Siddhpur Assembly Seat) મોટાભાગની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે. પાટણ જિલ્લાના તાલુકા મથક સિદ્ધપુરમાં સરકારી ડેન્ટલ કોલેજ, હોમિયોપેથિક કોલેજ,કેન્સર હોસ્પિટલ, જીઆઇડીસી, આઇઓસીના ડેપો,ગોકુલ યુનિવર્સિટી, ગોકુલ ઓઈલ મિલને કારણે આ પંથકનો વિકાસ થઈ રહ્યો છે. ખેતીવાડી ઉપર નિર્ભર આ તાલુકામાં નર્મદા અને સુજલામ સુફલામની કેનાલો આવેલી છે પરંતુ નિયમિત રીતે પાણી છોડવામાં નહીં આવતાં તેની સીધી અસર ખેતીના પાકો ઉપર પડે છે. છાશવારે ખેડૂતો દ્વારા કેનાલોમાં પાણી છોડવાની માગણી કરવામાં આવે છે. તો સરસ્વતી નદીમાં પણ પાણી છોડી બારેમાસ વહેતી મુકવાની વર્ષો જૂની માગ છે દે અધ્ધરતાલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.