ETV Bharat / state

મોરબીના ઘુંટુ ગામે એક માસમાં કોરોનાનો હાહાકાર, સરકારી તંત્ર આકડા છૂપાવતું રહ્યું

author img

By

Published : May 10, 2021, 3:41 PM IST

Updated : May 10, 2021, 5:19 PM IST

ગામે ગામ ETV BHARAT
ગામે ગામ ETV BHARAT

મોરબી શહેર અને જિલ્લામાં સમગ્ર એપ્રિલ માસ દરમિયાન કોરોના કહેર જોવા મળ્યો હતો. કોરોનાની પ્રથમ લહેરમાં જ્યાં ગ્રામ્ય પંથકમાં થોડી રાહત જોવા મળી હતી, તે છીનવાઈ ગઈ હતી. બીજી લહેરમાં ગામડાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. એક તરફ ગામડાઓમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો હતો, ત્યારે બીજી તરફ સરકારી તંત્ર આંકડા છૂપાવીને લોકોને અંધારામાં રાખી રહ્યું હતું. ગામડાઓમાં કોરોના કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો હતો, ત્યારે ગામડાઓમાં કોરોનાના કેટલા એક્ટિવ કેસ છે, સ્વૈચ્છિક લોકડાઉન શું કારગત નીવડ્યું અને કેટલા લોકોના મૃત્યુ થયા તેનું રિયાલીટી ચેક કરવા જ્યારે ગામે ગામ ETV BHARAT કેમ્પેઇન હેઠળ ઘુંટુ ગામની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં અનેક ચોકાવનારી વિગતો સામે આવી હતી. તો આવો જોઈએ મોરબીના ઘુંટુ ગામમાં કોરોનાએ મચાવેલા કહેર વિશે...

  • મોરબીના ઘુંટુ ગામે એક માસમાં કોરોનાનો હાહાકાર
  • સરકારી તંત્ર આકડા છૂપાવતું રહ્યું
  • એક માસમાં 600 જેટલા કેસ નોંધાયા, સ્વૈચ્છિક લોકડાઉનની ફરજ પડી

મોરબી : સમગ્ર દેશ અને રાજ્યમાં સાથે મોરબી જિલ્લામાં આવેલા ઘુંટુ ગામમાં પણ બીજી લહેરમાં કોરોનાનો કહેર જોવા મળ્યો હતો. એપ્રિલ માસમાં બીજી લહેરે મોરબી જિલ્લામાં હાહાકાર મચાવતા ઘુંટુ ગામના સરપંચે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું. આ અંગે વાત કરતા ગામના સરપંચે જણાવ્યું હતું કે, ઘુંટુ ગામની આસપાસમાં અનેક સિરામિક ફેક્ટ્રીસ આવેલી હોવાને કારણે ત્યાં કામ કરતા શ્રમિકો જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે ગામમાં અવરજવર કરતા હોવાને કારણે કોરોના સંક્રમણમાં વધારો થયો હતો. તેમજ ઘુટું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે દર્દીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી પણ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો હતો. જેથી ઘુંટુ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. ઘુંટુ ગામમાં 500થી 600 કેસ સુધી આંકડો પહોંચ્યો હતો. જો કે, એક માસ કરતા વધુ સમયથી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાથી હાલ એક્ટિવ કેસનો આંક 100થી પણ નીચે છે.

મોરબીના ઘુંટુ ગામે એક માસમાં કોરોનાનો હાહાકાર

આ પણ વાંચો - મોરબીના ઘુંટુ ક્વોરેન્ટાઈન સેન્ટરમાંથી આરોપી ફરાર થવા મામલે ગુનો નોંધાયો

કોરોનાના કારણે 100થી વધુ લોકોના મોત, હાલ સ્થિતિ કાબૂમાં

મોરબીના ઘુંટુ ગામમાં એક તબક્કે 500થી 600 કેસ સુધી આંકડો પહોંચી ગયો હતો. આ સાથે 100થી 110 લોકોના મોત પણ થયા હતા. જેને પગલે ગામના સરપંચે તાત્કાલિક સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો હતો. સ્વૈચ્છિક લોકડાઉનને પગલે હવે સ્થિતિ થોડી કાબૂમાં છે. જો કે, કોરોના મહામારીને પગલે ગામમાં 100થી વધુ મૃત્યુ નોંધાયા હોવાનું ગામના આગેવાને સ્વીકાર્યું હતું. બીજી તરફ સરકારી ચોપડે આ મૃત્યુ આંક ક્યાંય નોંધાયો જ ન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. હાલ સ્વૈચ્છિક લોકડાઉન કારગત રહ્યું છે અને સ્થિતિ હવે કાબૂમાં હોવાથી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે, અને હજૂ ગ્રામજનો તમામ તકેદારી રાખી રહ્યા હોવાનું પણ આગેવાનો દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચો - મોરબીના ઘૂટું ગામના ખેડૂતોએ કર્યા પ્રતિક ઉપવાસ

હાલ 100 એક્ટિવ કેસ હોય જેથી ગામમાં હાલ પણ સ્વૈચ્છિક લોકડાઉન લાગુ

કોરોનાના કેસના આંકડા અને મૃત્યુઆંક અંગે ગામના તલાટી કમ મંત્રી એસ. જે. દેત્રોજાએ જણાવ્યું હતું કે, ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એપ્રિલ માસમાં 25 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અન્ય સંસ્થાના કેમ્પ સહિતના આંકડાઓ ધ્યાનમાં લઈએ તો 60થી 70 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. હાલ 12 એક્ટિવ કેસ જ છે, તો એપ્રિલ માસમાં 37 મૃત્યુ ગામમાં નોંધાયા છે. જેમાં 5-10 મૃત્યુ કુદરતી અથવા અકસ્માતે થયા હોવાનું જણાવ્યું હતું. જો કે, આસપાસમાં મોટી સંખ્યામાં કારખાના આવેલા હોવાથી અને સિરામિક શ્રમિકોના કોરોના કેસના આંક અને મૃત્યુઆંકનો સરવાળો કરતા કેસ 500થી 600 કેસ અને મૃત્યુ આંક 100 જેટલો થઇ શકે છે.

આ પણ વાંચો - મોરબી કલોક એન્ડ ગિફ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સ્વૈછિક લોકડાઉન

એક જ ગામમાં 100થી વધુ મોત પણ સરકારી ચોપડે જિલ્લામાં કુલ 84 મોત

આમ મોરબી જિલ્લામાં સરકારી ચોપડે 09 મે સુધી માત્ર 84 મોત નોંધાયા છે. તો બીજી તરફ હકીકત કઈક જુદી જ છે, એક માત્ર ઘુંટુ ગામમાં જ 100થી વધુ મૃત્યુ હોવાનો દાવો સરપંચ અને આગેવાનો કરી રહ્યા છે. જેને તલાટી મંત્રીએ પણ સમર્થન આપ્યું હતું, તો સરકારી ચોપડે મોરબી તાલુકો જ નહીં સમગ્ર જિલ્લામાં માત્ર 84 દર્દીના અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ થયાનું નોંધાયું છે, જે આંકડાઓમાં મોટો તફાવત હકીકત બયાન કરી રહ્યું છે.

આ પણ વાંચો - દર્દી 3 કલાક સુધી એમ્બ્યુલન્સમાં કણસતો રહ્યો, ડોક્ટર તો ન આવ્યા પણ મોત આવી ગયું

Last Updated :May 10, 2021, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.