ETV Bharat / state

મોરબી સેવા સદનમાં માથાકૂટ બાદ સાંજે ફરી કોંગ્રેસ નેતાના ઘર પર હુમલો

author img

By

Published : Feb 16, 2021, 8:15 PM IST

મોરબી સેવા સદનમાં માથાકૂટ
મોરબી સેવા સદનમાં માથાકૂટ

મોરબીના તાલુકા સેવા સદન ખાતે સોમવારે ફોર્મ ચકાસણી સમયે ભાજપ અને કોંગ્રેસ નેતા વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. તેમજ છૂટા હાથની મારામારી થઇ હતી. જે ઘટના હજૂ તો શમી ન હોતી ત્યારે સાંજે કોંગ્રેસ નેતાના ઘરે 8થી 10 શખ્સોએ હથિયાર સાથે હુમલો કરી કોંગ્રેસ નેતા ઉપરાંત તેમના ભાઈ અને પરિવારના મહિલા સદસ્યોને માર માર્યાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

  • મોરબીમાં સેવાસદન ખાતે માથાકૂટ બાદ સાંજે ફરી કોંગ્રેસ નેતાના ઘર પર હુમલો
  • 8થી 10 શખ્સોએ લાકડી, છરી અને પાઈપ વડે હુમલો કર્યો
  • ભાઈ અને પરિવારના મહિલા સદસ્યોને માર માર્યોં

મોરબી : જિલ્લાના સેવા સદન ખાતે ભાજપના દેવા અવાડીયા અને કોંગ્રેસના કનુ લાડવા વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી, તે સમયે હાજર પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. આ બનાવ બાદ સાંજ સુધી સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. જે દરમિયાન કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ જિલ્લા કલેકટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી. આ સાથે તમામ ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

કોંગ્રેસ નેતા કનુ લાડવા ઈજાગ્રસ્ત થયા

સમગ્ર ઘટના બાદ કોંગ્રેસ નેતા કનુ લાડવા અને તેના ભાઈ હરદેવ લાડવા સાથે પોતાના નિવાસસ્થાને પરત આવ્યા હતા. જે બાદ અજાણ્યા શખ્સોએ લાકડી, પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો. આ સાથે છૂટા પથ્થરના ઘા ઝીંકી દેતા કોંગ્રેસ નેતા કનુ લાડવા ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ હુમલો કરનારા અજાણ્યા શખ્સો નાસી ગયાની માહિતી મળી છે

મોરબી સેવા સદનમાં માથાકૂટ બાદ સાંજે ફરી કોંગ્રેસ નેતાના ઘર પર હુમલો

8થી 10 લોકોએ ઘર પર હુમલો કર્યો, મહિલાઓને પણ માર માર્યો : શિલ્પા લાડવા

આ હુમલા અંગે કોંગ્રેસ નેતાના ભાઈના પત્ની શિલ્પાએ જણાવ્યું હતું કે, 8થી 10 શખ્સો લાકડી, છરી અને પાઈપ લઈને તેના ઘરે આવ્યા હતા. જેમને સીધો જ પતિ તેમજ જેઠ પર હુમલો કરી દીધો હતો. માર મારી તેમને નાસી રહ્યાં હતાં. ત્યારે પણ પથ્થર અને ઈંટના ઘા મારી ઈજા પહોંચાડી હતી. હુમલાખોરોએ શિલ્પા તેમજ તેમના સાસુને પણ લાકડીથી ફટકાર્યા હોવાનું જણાવ્યું હતું. આ બનાવને પગલે પોલીસ કાફલો ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને હુમલાનો ભોગ બનનારા નેતાના નિવેદન નોંધી ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.

મોરબીમાં ભાજપ અને કોંગ્રેસ નેતા વચ્ચે મારામારી

ભારતની કહેવાતી લોકશાહીના રવિવારે લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. રવિવારે ચૂંટણી ફોર્મ ચકાસણી સમયે મોરબીના તાલુકા સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસ આગેવાનો છૂટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. જે બનાવને પગલે જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભરનારા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કલેક્ટર કચેરી દોડી ગયા હતા અને સામુહિક ફોર્મ પરત ખેંચવાની ચીમકી સાથે કલેક્ટરને ઉગ્ર ભાષામાં રજૂઆત કરી હતી.

કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેવા ચીમકી આપી

સેવા સદન ખાતે મારામારીની ઘટના બાદ મોરબી કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાની આગેવાની હેઠળ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનારા તમામ ઉમેદવારો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ફોર્મ પરત ખેંચી લેવાની ચીમકી ઉચ્ચારી હતી.

જિલ્લા કલેક્ટરે SP સાથે ચર્ચા કરવાની ખાતરી આપી

આ સમગ્ર બનાવ મામલે કોંગ્રેસની ઉગ્ર રજૂઆત બાદ જિલ્લા કલેક્ટર જે.બી.પટેલે કોંગ્રેસ નેતાઓને ખાતરી આપી હતી. જે ઘટના અંગે જિલ્લા SP એસ.આર.ઓડેદરાને બોલાવી ચર્ચા કરી સમગ્ર બનાવ અંગે માહિતી મેળવશે અને યોગ્ય પગલા ભરવા ખાતરી આપી હતી.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા

આ સમયે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાએ ભાજપ પર આકરા પ્રહારો અને ગંભીર આક્ષેપો કરી જણાવ્યું હતું કે, ભાજપ ફેર ઈલેક્શન કરવા ના માંગતું હોવાથી કોંગ્રેસ તમામ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લેશે. સરકારી કચેરીમાં પોલીસની હાજરીમાં કોંગ્રેસ આગેવાનોને માર મારવામાં આવતો હોય તો પ્રચાર કરવા તેના કાર્યકરો કેવી રીતે જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.