ETV Bharat / state

Kutch Crime: વેપારી સાથે 3 વર્ષ પહેલા થઈ 8 લાખની ઓનલાઈન છેતરપિંડી, આજે પણ નથી આવ્યો કેસનો ઉકેલ

author img

By

Published : Feb 3, 2023, 4:47 PM IST

Kutch Crime: વેપારી સાથે 3 વર્ષ પહેલા થઈ 8 લાખની ઓનલાઈન છેતરપિંડી, આજે પણ નથી આવ્યો કેસનો ઉકેલ
Kutch Crime: વેપારી સાથે 3 વર્ષ પહેલા થઈ 8 લાખની ઓનલાઈન છેતરપિંડી, આજે પણ નથી આવ્યો કેસનો ઉકેલ

કચ્છમાં દૂધઈના વેપારી સાથે ત્રણ વર્ષ પહેલા એક આરોપીએ ખોટી ઓળખ આપી ઓનલાઈન છેતરપિંડી કરી (Online Fraud with Kutch Merchant in 2020) હતી. જોકે, આ કેસ આજે પણ ઉકેલાયો નથી. ત્યારે હવે ફરિયાદી આ મામલે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી (Kutch Crime) રહ્યા છે.

દૂધઈ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

કચ્છઃ અંજાર તાલુકાના જુની દૂધઈના વેપારી સાથે વર્ષ 2020માં હાથના મોજાં ખરીદીના નામે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. વેપારી સાથે મુંબઈની પેઢીના જવાબદાર વ્યક્તિ બનીને આરોપીએ ફોન કર્યો હતો. ત્યારબાદ બેન્કની માહિતી મેળવી 4 લાખ નંગ હાથના મોજાં લેવાનો સોદો કરી તેના પેટે 8,96,000 રૂપિયા લઈ ઓનલાઈન છેતરપિંડી કરી હતી. જોકે, હજી સુધી આ કેસનો નીવેડો આવ્યો નથી. હિતેન્દ્ર અંબાવીભાઈ હાથિયાણી નામના યુવક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તેમણે આજે (શુક્રવારે) પ્રેસ કોન્ફરન્સ મારફતે સમગ્ર બાબત મીડિયા સમક્ષ મૂકી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime : વિઝા પરમીટના આધારે ઠગાઈ આચરનાર ગેંગના બે આરોપી સુરતથી ઝડપાયા

દૂધઈ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદઃ છેતરપિંડીનો ભોગ બનનારા હિતેન્દ્રભાઈએ દુધઈ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની સાથે ઓનલાઈન છેતરપિંડીની ઘટના 20 જુલાઈ 2020ના દિવસે બપોરે 12થી 3 વાગ્યાની વચ્ચે થઈ હતી. વેપારી પોતે ચેન્નઈ ખાતે વેપાર કરી રહ્યા છે, પરંતુ લૉકડાઉનના કારણે દુધઈથી બેસીને કામકાજ હેન્ડલ કરે છે. તેમના ફોન પર અરૂણભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પોતે મુંબઈના મલાડ સ્થિત શેફ હેલ્પ એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી બોલી રહ્યા હોવાનું તેમજ હાથના મોજા અંગે ડીલ કરવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ ભાવ તાલ કર્યા બાદ તેને મોજાના 4 લાખ પીસનો ઓર્ડર કર્યો હતો.

8.96 લાખની રકમ ચૂકવાઇ પરંતુ માલ ન આવ્યોઃ આરોપી અરૂણભાઈએ બીલની રકમ એડવાન્સમાં ચૂકવવાની વાત કરતા ફરિયાદીએ તેના બેન્કના એકાઉન્ટની માહિતી મેળવી તેના પર 8,96,000 રૂપિયાનું પેમેન્ટ કર્યું હતું, પરંતુ બેન્કમાંથી કપાયેલ રકમ પરત આવતા બેન્કને કોલને કરીને પૂછ્યું હતું. ત્યારે ટેક્નિકલ કારણોસર રકમ પરત આવી હોવાની જાણવા મળ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ ટુકડે-ટુકડે 3 લાખ, 3 લાખ અને 2.96 લાખ આરટીજીએસ કરી રકમ મોકલી આપી હતી. ત્યારે આરોપીએ જણાવ્યું હતું કે, તમારો માલ સાંજના નિકળી જશે અને આવતીકાલે ચેન્નઈ તમારી દુકાને પહોંચી જશે. ત્યારબાદ 21 જુલાઈના દિવસે માલ ન પહોંચતા અરૂણભાઈ નામના વ્યક્તિને ફોન કરતા તે ફોન બંધ આવ્યો હતો.

કંપનીના માલિક સાથે વાતચીત થતાં ભાંડો ફૂટ્યોઃ એટલે ફરિયાદીએ શેફ હેલ્પ એન્ટરપ્રાઇઝ કંપનીના નંબર ઓનલાઈન સર્ચ કરી ફોન કરતા આવો કોઈ ઓર્ડર મળ્યો ન હોવાનું તેમ જ અરૂણભાઈ નામનો વ્યક્તિ પણ અહીં કોઈ ન હોવાનું સામેથી જણાવાયું હતું. આથી વેપારી પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણ થતા સમગ્ર મામલે દૂધઈ પોલીસ મથકે અરૂણભાઈ નામના વ્યક્તિ વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ તળે ફરિયાદ નોંધાવી હતી.

હજી સુધી પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી: ફરિયાદીઃ ફરિયાદી દૂધઈ પોલીસ સ્ટેશને આદિપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા કહેતા ફરિયાદીએ એસઓજીમાં ફરિયાદ કરી અને આરોપીનું એકાઉન્ટ સીઝ કરાવ્યુું હતું. ફરિયાદી દ્વારા એસઓજી ઑફિસમાં તમામ આધાર પૂરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને ફરિયાદીને જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે તપાસ કરવામાં આવશે અને જરૂર પડશે ત્યારે તેમને બોલાવવામાં આવશે. આજે એક વર્ષનો સમય પસાર થયો હજી સુધી પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેવું ફરિયાદીએ જણાવ્યું હતું.

ઘણા બધા લોકોએ આ કંપનીના નામથી ફ્રોડ કર્યું છેઃ ઉપરાંત ફરિયાદી દ્વારા શેફ હેલ્પ એન્ટરપ્રાઇઝના મોબાઈલ નંબર અને એડ્રેસ ઓનલાઈન સર્ચ કરી તેમની ડિટેલ કાઢી અને કંપનીના માલિકને ફોન કરીને પૂછ્યું હતું. ત્યારે જાણવા મળ્યું હતું કે, તેમની પાસે અરૂણ નામનો કોઈ સ્ટાફ નથી અને તમારી સાથે કોઈ ફ્રોડ કર્યો છે. ઉપરાંત આવા ઘણા બધા લોકોએ કંપનીના નામથી ફ્રોડ કર્યો છે અને તેની કમ્પ્લેન મુલુંડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ પણ ઘણા બધા ફેલ થયા છે, પરંતુ કોઈપણ એક્શન લેવામાં આવ્યા નથી તેવું ફરિયાદી હિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું.

ફરિયાદીએ આરબીઆઈમાં ઇમેલ પણ મોકલ્યો હતોઃ આ સમગ્ર છેતરપિંડી અંગે આરોપીની બેન્ક એચડીએફસી બેન્કમાંથી જાણવા મળી હતી કે, આ એકાઉન્ટ મથુરા વૃંદાવનનું છે અને તે એકાઉન્ટમાં રૂપિયા ગયા છે. તથા ફરિયાદી દ્વારા આરબીઆઈમાં ઇમેલ પણ મોકલવામાં આવ્યો હતો કે, આઈએફએસસી કોડ અને એકાઉન્ટ નંબર બંને મેચ ન થાય તો પૈસા ટ્રાન્સફર થાય કે નહીં તો આરબીઆઈનો જવાબ આવ્યો હતો કે આઈએફએસસી કોડ અને એકાઉન્ટ નંબર ખોટા હોય તો તમારા પૈસા ટ્રાન્સફર ન થાય. ત્યારબાદ એચડીએફસી બેન્કે જણાવેલ કે ટ્રાન્સફર કરેલ 8 લાખ રૂપિયા કેશ ઉપડી ગયા છે. તેમ જ બેન્કમાંથી માહિતી પણ મળી હતી કે, આરોપીએ બેન્ક ખોલાવી વખતે કોઈ KYC ડોક્યુમેન્ટ આપ્યા નથી. બીજી વાર 89,000 રૂપિયા એ જ પ્રક્રિયાથી ટ્રાન્સફર કરતાં IFSC code match ન થતાં રિટર્ન થયા છે, પરંતુ પેલા જે 896000નો ફ્રોડ થયો એ પાછા ન આવ્યા.

ફરિયાદી પાસે તમામ આધાર પુરાવા છેઃ આ ઉપરાંત ફરિયાદી દ્વારા જુદીજુદી બેંકોમાં પણ કોલ કરીને પણ પૂછવામાં આવ્યું હતું કે, આઈએફએસસી કોડ અને એકાઉન્ટ નંબર ખોટા હોય તો પૈસા ટ્રાન્સફર થાય કે નહીં અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, એચડીએફસી બેન્ક ,એસબીઆઇ, આઈડીબીઆઈ બેન્ક એક જ જવાબ આપ્યો કે, આઈએફએસસી કોડ અને એકાઉન્ટ નંબર ખોટા હોય તો પૈસા ટ્રાન્સફર થાય નહીં. ફરિયાદી પાસે કોલ રેકોર્ડિંગ, એફ.આઇ.આર, બેન્ક સ્ટેટમેન્ટ વગેરે જેવા આધાર પુરાવાઓ પણ છે.

અન્ય 10 લોકો સાથે પણ આવું થયુંઃ ફરિયાદીની સાથે સાથે અન્ય 10 જેટલા લોકો સાથે પણ આ જ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે. જબલપુર, મુલુંડ, બેંગ્લોર જોધપુર, ભાગવતી, હરિયાણા, રાજસ્થાન તથા આસામના લોકો સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. માટે આરોપી આ પ્રકારની છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું પણ કહી શકાય. ફરિયાદી દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તથા પોલીસ પર યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતાં.

યોગ્ય કાર્યવાહીની માગઃ ફરિયાદી હિતેન્દ્રભાઈની પોલીસ તથા રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ જ માગ છે, જે એચડીએફસી બેન્કના મેનેજર તથા આરોપી સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા યોગ્ય તપાસ કરવામાં આવે. જેથી આગામી સમયમાં કોઈ અન્ય વ્યક્તિ સાથે આ પ્રકારની છેતરપિંડી ન થાય. ઉપરાંત આ કેસમાં અત્યાર સુધીમાં 5 જેટલા આરોપીઓની ફરિદાબાદથી ધરપકડ થઈ છે. તો અન્ય 6 આરોપીઓની હરિયાણામાં ધરપકડ થઈ છે. તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આ બાબતે ભુજની સીઆઈડી ઑફિસમાં પણ ફરિયાદ કરવામાં આવી છે.

આઈજી અને એસપીને પણ ફરિયાદઃ ઉલ્લેખનીય છે કે, ફરિયાદીએ આઈજીને 2 વાર તેમજ એસપીને એકવાર લેખિતમાં ફરિયાદ પણ આપી છે. તેમ જ ચીફ મિનિસ્ટર હેલ્પલાઇનમાં પણ ફરિયાદ આપેલી છે, જે તેમના તરફથી ગાંધીધામને ફોરવર્ડ કરી છે. તેમ છતાં જ્યાંથી હજી સુધી કોઈ પણ પ્રકારનો જવાબ ફરિયાદીને મળ્યો નથી.

આ પણ વાંચો Gandhinagar news: મોટા કમિશનની લાલચમાં ગુજરાતના ત્રણ એજન્ટે એક કરોડ ગુમાવ્યા, ઇન્ફોસિટી પોલીસે તપાસ હાથ ધરી

વધુ તપાસ હાથ ધરાઈઃ આ અંગે ગાંધીધામ સાયબર ક્રાઇમ ઓફિસ ખાતેથી મળતી માહિતી મુજબ, આ કેસ અંગે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરાઈ છે, જેમાં અલગ અલગ શહેરોમાં રહેલા આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવી રહ્યા છે. સીઆઇડી ઓફિસના અધિકારીઓ પણ તપાસ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.