- મુરૂ ગામમાં પાણીની તંગી સર્જાઈ
- ગામનો ટાંકો જર્જરિત હાલતમાં
- બિનઆરોગ્યપ્રદ પાણીનું વિતરણ
- ઘણા વર્ષોથી લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે
કચ્છ : નખત્રાણા તાલુકાના મુરૂ ગામે આમ તો પાણી મળે છે ખરું, પરંતુ તેની ગુણવત્તા આરોગ્યપ્રદ નથી. ગામમાં જે લાઇનો મારફતે પાણી મળે છે, એ લાઈનો 30 વર્ષો જૂની થઈ ગઈ છે. તો ગામમાં આવેલો પાણીનો ટાંકો પણ જર્જરિત હાલતમાં ગમે ત્યારે પડી જાય એવી પરિસ્થિતિ છે. આ પાણીના ટાંકાની ઉપરની છત તૂટી ગયી છે. પરિણામે તેની અંદર ઉપરથી કચરો કે પક્ષીઓ અંદર પડી જાય છે. જેના પરિણામે આ પાણી દુષિત થાય છે. જેથી ડહોળુ પાણી પણ વિતરિત થઇ રહ્યું છે તેવી વાત ગામલોકોએ જણાવી હતી.
આ પણ વાંચો : કચ્છના મુરૂ ગામે નથી કોઈ આરોગ્ય કેન્દ્ર કે નથી કોઈ કોવિડ કેર સેન્ટર
પાણીના સંગ્રહ અંગે તકલીફ
ગામમાં દરેકના ઘરમાં પાણીના ટાંકાઓ નથી પરિણામે સંગ્રહ કરી શકે એવી વ્યવસ્થા નથી. પાણીના આવવાનો સમય પણ નિશ્ચિત નથી હોતો. જ્યારે પાણી આવે છે ત્યારે ગામના લોકોને બીજાના ઘરેથી પાણી ભરવુ પડે છે અને એ પણ જેનો ટાંકો છે તે ભરવા માટે મંજૂરી આપે તો જ પાણી તેમને પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો : મુરૂ ગામ પાસે ટ્રક અને ડમ્પર સામસામે અથડાતાં લાગી આગ, ડમ્પર ચાલકનું મોત
ટાંકામાં માટી જતા પાણી બન્યું ડહોળું
આ ઉપરાંત ગામમાં એક તળાવ પણ આવેલું છે. જેમાં પાણીનું પ્રમાણ ખૂબ ઓછું છે તથા તળાવમાં રહેલું પાણી પણ ડહોળુ અને દૂષિત થઈ ગયું છે. આ ઉપરાંત ગામમાં આવેલી ટાંકાની સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી.
જાણો શું કહ્યું સ્થાનિક મહિલાએ ?
ગામમાં પાણીની કોઈ વ્યવસ્થા નથી, ત્યારે પાણી ક્યારેક ગામના તળાવમાંથી તો ક્યારેક જેના ઘરે ટાંકો છે તેમના ઘરેથી પાણી ભરવા જાવું પડે છે. અઠવાડિયા માટે પાણી આવે અને વળી પાછું પોતાની મેળે બંધ થઈ જાય છે.
જાણો શું કહ્યું ગામના સ્થાનિક યુવાને ?
ગામનો ટાંકો ઘણા વર્ષો જૂનો છે અને એમાં દૂષિત પાણી આવે છે. જેથી ગામના લોકો માંદા પડે છે અને ઉપરથી કોરોનાકાળ છે. જેમાં લોકો વધારે માંદા પડી રહ્યા છે. ગામનો ટાંકો ખૂબ જૂનો છે અને તેની છત પણ તૂટી ગઈ છે. પરિણામે ટાંકામાં માટી જામી જવાથી પાણી ડહોળુ આવે છે અને આ ટાંકાની સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી.