કચ્છ: અખાતના દરિયામાંથી આંતરરાષ્ટ્રીય જળ સરહદ નજીકથી ગત જાન્યુઆરી મહિનામાં એક હજાર કરોડ રૂપિયાથી વધુના કેફીદ્રવ્ય ચરસના જથ્થા સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની નાગરિકો પકડાયા હતાં. જે પૈકીના 35 વર્ષની વયના અબ્દુલ્લ કરીમ અબ્દુલ્લા ભટ્ટીનું મગજની બીમારીના કારણે પાલારા જેલમાં મોત થયું છે. ગઇકાલે તેને મગજની તકલીફ વધી જતાં સારવાર માટે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે દમ તોડયો હતો.
મહત્ત્વના અને ગંભીર કેસના વિદેશી નાગરિકનું મોત થવાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના હોસ્પિટલે દોડી ગયા હતાં. આ બાબતે ભુજ બી. ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માત મોત તરીકે નોંધ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ છે.
મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પેનલ તબીબ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેનો અહેવાલ આવશે પછી તેને મગજની શું તકલીફ હતી, તે સ્પષ્ટ થશે તેમ પોલીસે જણાવ્યું હતું.