- કચ્છના અનેક તાલુકામાં ખાનગી કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે પવનચક્કી અને વીજપોલ ઊભા કરાયા
- કંપનીઓ સામે લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં
- પવનચક્કીઓ ખુલ્લી વીજ લાઈનના કારણે મોટી સંખ્યામાં મોરના થાય છે મૃત્યુ
કચ્છઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વીજ કંપનીઓ દ્વારા ખૂબ મોટા પાયે કુદરતી સંપત્તિનો નાશ કરવા સાથે મોટાપાયે જમીન દબાણ, કરોડોની ખનીજ ચોરી, ગૌચર અને પાણીના વહેણમાંથી વીજ લાઈન પસાર કરવી હજારોની સંખ્યામાં ગેરકાયદેસર ( illegal ) રીતે વૃક્ષનું છેદન કરવું તથા વીજ લાઈનના કારણે મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થવા, રસ્તાઓ પર અકસ્માત થાય તેમ તદ્દન નજીક વીજપોલ ઊભા કરવા, ખેડૂતોના ખેતરમાં વગર પરવાનગીએ દાદાગીરીથી વીજળી લાઈન ઉભી કરવી વગેરે જેવા ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરી ખૂબ જ નુકસાન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ ( Gujarat Pradesh Kisan Congress )ના જોઇન્ટ કોર્ડીનેટર અને કોર્ડીનેટર દ્વારા અવારનવાર ફરિયાદો અને આવેદનપત્રો તેમ જ રૂબરૂ રજૂઆતો કરવા છતાં આજ દિવસ સુધી વહિવટી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
વીજ કંપનીઓની દાદાગીરી સામે પોલીસ ફરિયાદ પણ નોંધતી નથી
વહીવટી તંત્ર દ્વારા ગરીબ માણસોનું બે પાંચ મીટરનું દબાણ હોય કે બે ચાર ફૂટ વધુ બાંધકામ હોય ત્યારે તે આમ પ્રજા પર તુરંત જ કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે આ પવનચક્કીઓ અને વીજ લાઈન ગેરકાયદેસર રીતે નાખતી કંપનીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ ( Gujarat Pradesh Kisan Congress )ના જોઇન્ટ કોર્ડીનેટર એચ. એસ આહિરે આક્ષેપો કર્યા હતા કે, કચ્છ જિલ્લા પોલિસ તંત્ર દ્વારા પણ ખેડૂતોને દબાવી, ખોટા કેસ કરી વીજ કંપનીઓની તરફેણ કરે છે. વીજ કંપનીઓની દાદાગીરી સામે પોલીસ ફરિયાદ પણ નોંધતી નથી અને વીજ કંપનીઓ સામે અવાજ ઉઠાવનારા લોકોને પણ યેનકેન પ્રકારે પરેશાન કરવામાં આવી રહ્યા છે.
ખેડૂતોની અજ્ઞાનતાનો વહીવટ તંત્ર દ્વારા ગેરલાભ લઇ વીજ કંપનીઓની તરફદારી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ
કચ્છ જિલ્લામાં ખાસ કરીને પશ્ચિમ કચ્છના લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાના ગામોમાં અદાણી ગ્રીન એનર્જી, આઇનોકસ વિન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આલ્ફાનાર જેવી વીજ કંપનીઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્રના ઉદાસીન વલણથી આમ પ્રજા હાલાકી ભોગવી રહી છે. આ વિસ્તારના ખેડૂતોની અજ્ઞાનતાનો વહીવટ તંત્ર દ્વારા ગેરલાભ લઇ વીજ કંપનીઓની તરફદારી કરવામાં આવી રહી છે તેમ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના જોઇન્ટ કોડિનેટર હીતેશ આહિરે જણાવ્યું હતું.
અદાણી, આઇનોકસ, આલ્ફાનાર કંપનીઓ વિરૂદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટ તળે ફરિયાદ નોંધાઈ હતી
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના જોઈન્ટ કોર્ડીનેટર એચ.એસ.આહીરે જણાવ્યું કે, 25 માર્ચ 2021 ના રોજ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટ 2020 હેઠળ અદાણી ગ્રીન એનર્જી, આઇનોકસ વિન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આલ્ફાનાર દ્વારા ગોચર જમીન પર દબાણ કરી વીજ લાઈન ઉભી કરવા તેમજ અદાણી ગ્રીન એનર્જી સામે લખપત તાલુકાના મોજે જુનાચાયના સર્વે નંબર 136માં ગેરકાયદેસર રીતે દબાણ કરી પવનચક્કી ઉભી કરવામાં આવી છે. તેની સામે કાયદેસરની ફી ચલણ ભરી ફરિયાદ દાખલ કરી હતી અને સરકારે જાહેરાત કરી હતી કે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ ( Land Grabbing Act ) 2020 કાયદા હેઠળ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને આ કાયદાની જોગવાઇઓ હેઠળ કોઇપણ નાગરિક 2000ની ચલણ ભરપાઈ કરી ફરિયાદ કરી શકે છે. જેમાં માત્ર 21 દિવસ બાદ ફરિયાદના આધારે અહેવાલ તૈયાર કરવામાં આવશે અને કલેક્ટર કક્ષાએ સમિતિ નિર્ણય કરશે. પરંતુ ત્રણ મહિના કરતાં વધુ સમય થઇ ગયો હોવા છતાં હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ દ્વારકામાં વરસાદથી વિજપોલ ધરાશાયી,ખેડૂતોએ PGVCL અધિકારીઓને આપ્યું આવેદનપત્ર
ત્રણ મહિના થયા છતાં પણ ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી
આ સમગ્ર બાબતે મામલતદાર કચેરીમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં લખપત મામલતદાર દ્વારા 10 દિવસમાં પવનચક્કી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કંપનીએ નાયબ કલેકટરમાં અપીલ કરતાં ત્યાં પણ લખપતના મામલતદારના હુકમને માન્ય રાખવામાં આવ્યો હતો. છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે નથી પવન ચક્કી દૂર કરવામાં આવી. જો લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ સામાન્ય માણસ સામે એક મહિનામાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવતી હોય તો ખાનગી કંપની સામે ત્રણ-ત્રણ મહિના પછી પણ ફરિયાદ કેમ દાખલ કરવામાં આવતી નથી તેમ એચ.એસ. આહિરે જણાવ્યું હતું.
કંપનીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી
આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી, આઇનોક્ષ અને આલ્ફનાર દ્વારા ગૌચર જમીનમાં વીજ લાઇન પસાર કરી દબાણ કરવામાં આવ્યું છે. આ ત્રણેય કંપનીઓ સામે પણ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી અને જેમાં જૂનાચાયના સર્વે નંબર 208, 351, 353, 354 અને મેઘપરના સર્વે નંબર 55, 111, 112 અને 113 માં આ કંપનીઓ દ્વારા વીજપોલ ઊભા કરી વીજ લાઈન પસાર કરવામાં આવી છે. આ તમામ સર્વેનંબર ગૌચર છે. તમામ જમીન રેકર્ડ પર પણ ગૌચરના નામે નિમાયેલ છે. છતાં આ ગૌચર જમીનમાં વીજપોલ ઊભા કરી વીજ લાઈન લગાડવાની પરવાનગી કોણે આપી? આ તમામ બાબતે પણ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી. જેના ત્રણ મહિના થઇ ગયા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
કુદરતી પાણીના વહેણને દૂર કરીને વીજપોલ ઉભુ કરવામાં આવ્યું
મેઘપરમાં નાની સિંચાઈ ડેમમાં વીજપોલ નાખી વીજ લાઇન પસાર કરવામાં આવી છે. આ બાબતે પણ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા મેઘપરના ગ્રામજનોને સાથે રાખી સિંચાઇ ખાતાને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા નોટિસ આપી કામ બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ પાછળથી સિંચાઇ ખાતા દ્વારા વીજ પોલ દૂર કરવાના બદલે પાણીના વહેણને દૂર કરી દેવામાં આવ્યો હતો. સિંચાઈ ખાતાના કાર્યપાલક ઇજનેર દ્વારા કયા નિયમો હેઠળ પાણીના વહેણ બદલાવાની પરવાનગી આપવામાં આવી છે તથા સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કુદરતી વહેણને બદલી શકવાની સખત મનાઈ હોવા છતાં સિંચાઈના અધિકારીએ સુપ્રીમ કોર્ટના નિયમ વિરુદ્ધ જઈને પણ કેમ પરવાનગી આપી તેવા સવાલો પણ ઊભા થયા હતા.
વહીવટી તંત્ર દ્વારા કંપની પાસેથી હજી પણ દંડ વસૂલવામાં આવ્યો નથી
લખપત તાલુકામાં ખાનગી કંપની દ્વારા બેફામ ખનીજચોરી કરવામાં આવી રહી છે. આ બાબતે પણ ખાણ ખનીજ દ્વારા માત્ર નોટિસ આપી સંતોષ માની લેવામાં આવ્યો હતો. ખાનગી કંપનીને ખાણ ખનીજ દ્વારા 80 લાખની ચોરીની નોટિસ ઇસ્યુ કર્યા બાદ હજુ સુધી પણ દંડ ભરપાઈ કરવામાં આવ્યો નથી. સામાન્ય ખેડૂત ખેતી માટે માટી, કાંપ મોરમ લઈ જાય ત્યારે તેમના વાહનો જપ્ત કરી દંડ વસૂલવામાં આવતો હોય છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાનગી કંપની પાસેથી કેમ વાહનો જપ્ત કરીને દંડ વસૂલવામાં આવતો નથી તેવા સવાલો ઊભા થયા હતા.
વીજ લાઈન ઇન્સ્યુલેટેડ ના કરવાથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષી મોરના થાય છે મોત
આ કંપનીઓ દ્વારા કરોડોની ખનીજ ચોરી કરવામાં આવી રહી છે, હજારો વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યું છે. આ બાબતે જંગલખાતા દ્વારા પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. વીજ કંપનીઓને સરકાર દ્વારા જે જમીન ફાળવવામાં આવે છે તેના હુકમ સ્પષ્ટ હોય છે કે તમામ વીજ લાઈન ઇન્સ્યુલેટેડ કરવાની રહેશે છતા કોઇ કંપની દ્વારા વીજ લાઈન ઇન્સ્યુલેટેડ કરવામાં આવતી નથી અને આ ખુલ્લી વીજ લાઈનોના કારણે મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થાય છે. છતાં પણ તંત્ર કંપનીઓ પાસેથી લાઈન ઇન્સ્યુલેટેડ કરાવી શકતું નથી.
યોગ્ય કાર્યવાહી નહી કરાય તો નામદાર કોર્ટમાં PIL દાખલ કરવામાં આવશે
આ તમામ બાબતે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા અનેક વખત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી નથી અને માત્ર કાગળ પર કાર્યવાહી કરીને સંતોષ માની લેવામાં આવે છે. માટે જો હવે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા નામદાર કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવશે તેવુ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના જોઇન્ટ કોર્ડીનેટર એચ.એસ.આહિરે જણાવ્યું હતું.