નડિયાદ કલેકટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોના આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરાની ઉપસ્થિતિમાં સમાજના વિવિધ બિન અનામત વર્ગોના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સમાજના અગ્રણીઓએ આયોગની કામગીરીને અસરકારક બનાવવા માટેના રચનાત્મક સુચનો કર્યા હતા.આયોગ અધ્યક્ષ હંસરાજ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ નોકરીઓ બિન અનામત વર્ગો માટે10 ટકા બેઠક આરક્ષિત કરવામાં આવી છે.બિન અનામત આયોગ દ્વારા બિન અનામત વર્ગોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે 9 જેટલી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
આ ઉપરાંત 39 જેટલા સ્વરોજગારીના વ્યવસાયો માટે લોન આપવામાં આવે છે. આ તમામ યોજનાઓનું ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.ગજેરાએ કહ્યુ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૫૭૦૦ વિદ્યાર્થીઓને ભોજન સહાય, ૧૭૨૫ને ટ્યુશન સહાય, ૬૬૫ કોચીંગ સહાય, ૧૦૧ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની સહાય, ૪૬૬ વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે લોન સ્વરોજગારી માટે ૮૫ લાભાર્થીઓને તથા શૈક્ષણિક યોજનાઓ હેઠળ ૧૪૪ વિદ્યાર્થીઓને લોન પુરી પાડવામાં આવી છે.બિન અનામત વર્ગોના લોકોને મુખ્યમંત્રીશ્રી યુવા સ્વાવલંબન યોજના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાંથી પણ શૈક્ષણિક હેતુ માટે સહાય મળવાપાત્ર છે.
ગજેરાએ સમાજના અગ્રણીઓને આયોગની યોજનાઓ જરૂરતમંદો સુધી પહોંચાડી મહત્તમ લોકો યોજનાઓનો લાભ લે તે માટેના સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.આ બેઠકમાં વિવિધ સમાજના અગ્રણીઓએ ભોજન સહાયમાં વધારો કરવા, બિન અનામત તેમજ EWSના પ્રમાણપત્રો આપવાની કામગીરીનું સરળીકરણ કરવા જેવી રજુઆતો કરી હતી.સાંસદ દેવુસિંહ ચૌહાણે આયોગની વિવિધ યોજનાઓ સમાજના જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવા સમાજના આગેવાનોને કડીરૂપ બનવા જણાવ્યું હતું.
આયોગના સભ્ય સચિવ દિનેશ કાપડીયાએ આયોગની વિવિધ યોજનાઓની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત જાણકારી આપી હતી.પ્રારંભમાં કલેકટર સુધીર પટેલે સહુનો આવકાર કર્યો હતો.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા સહિત રાજપુત, પટેલ,જૈન, મુસ્લિમ, વૈષ્ણવ, ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.