ETV Bharat / state

Junagadh News : સાગરસોલા પ્રાથમિક શાળા ચાર દિવસથી બંધ, વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલતા વાલીઓ લાલધૂમ

author img

By

Published : Jun 9, 2023, 6:40 PM IST

Junagadh News : સાગરસોલા પ્રાથમિક શાળા ચાર દિવસથી બંધ, વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલતા વાલીઓ લાલધૂમ
Junagadh News : સાગરસોલા પ્રાથમિક શાળા ચાર દિવસથી બંધ, વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલતા વાલીઓ લાલધૂમ

જૂનાગઢની સાગરસોલા પ્રાથમિક શાળાનું શિક્ષણ આંટી ઘૂંટીએ ચડતા શિક્ષણ કાર્ય ચાર દિવસથી બંધ છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલતા વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. તેમજ અચાનક વર્ગોને નજીકની શાળામાં મર્જ કરીને શિક્ષકોની પણ બદલી થઈ ગઈ છે. જેને ગામલોકોમાં વિરોધનો સુર ઉભો થયો છે.

સાગરસોલા પ્રાથમિક શાળા ચાર દિવસથી બંધ

જૂનાગઢ : એક તરફ રાજ્ય સરકાર શિક્ષણને લઈને ગંભીર અને આશાસ્પદ દાવા કરી રહી છે. તેની વચ્ચે કેશોદ તાલુકાના સાગરસોલા ગામનું પ્રાથમિક શિક્ષણ છેલ્લા ચાર દિવસથી સંપૂર્ણપણે ઠપ્પ જોવા મળે છે. ગત સત્ર સુધી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓને નજીકની નોજણવેલ ગામની પ્રાથમિક શાળામાં મર્જ કરતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ગામ લોકોએ ધોરણ છ, સાત અને આઠના વર્ગો જ્યાં સુધી ગામમા શરૂ નહીં થાય, ત્યાં સુધી ગામનો એકપણ વિદ્યાર્થી શાળામાં શિક્ષણ માટે જશે નહીં, તેવું જાહેર કરીને શિક્ષણના બહિષ્કારનું એલાન કર્યું છે. જે આજે પાંચમા દિવસે પ્રવેશ્યું છે.

નિયમોની આંટી ઘૂંટીમાં શિક્ષણ : સરકારી નિયમોની આંટી ઘૂંટીમાં સાંગરસોલા પ્રાથમિક શાળાનું શિક્ષણ ચડેલું જોવા મળે છે. ગત સત્ર સુધી છ સાત અને આઠના વર્ગો શાળામાં ચાલતા હતા, પરંતુ નવા સત્રથી અચાનક ત્રણ વર્ગોને નજીકની શાળામાં મર્જ કરીને ત્રણેય શિક્ષકોની અન્યત્ર બદલી કરી દેવામાં આવી છે. 30 વિદ્યાર્થીઓની સામે છ સાત અને આઠ ધોરણમાં ત્રણ શિક્ષકો મળવાપાત્ર થાય છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે તો ત્રણ પૈકીના સામાજિક, વિજ્ઞાન શિક્ષકની બદલી થાય છે, ત્યારબાદ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા ગણિતના શિક્ષકની બદલી થાય છે. 10 જેટલી સંખ્યામાં શાળામાં ભાષા શિક્ષણ ફરજિયાત રાખવાનો હોય છે. તે મુજબ સાગરસોલા શાળામાં ધોરણ 6થી 8માં 12 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. તેમ છતાં તમામ વિદ્યાર્થીઓની સાથે શિક્ષકની પણ અન્ય શાળામાં બદલી કરી દેવામાં આવી છે, જેનો વિરોધ ચાલી રહ્યો છે.

વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલતા વાલીઓ લાલધૂમ
વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલતા વાલીઓ લાલધૂમ

સાગરસોલા શાળામાં એકમાત્ર શિક્ષક : સાગરસોલા પ્રાથમિક શાળામાં હાલ ધોરણ એકથી પાંચમાં એકમાત્ર શિક્ષક કમ પ્રિન્સિપાલ કામ કરી રહ્યા છે, અગાઉ જ્યારે ધોરણ 1થી 8ના વર્ગો ચાલતા હતા, ત્યારે પાંચ શિક્ષકોનું મહેકમ શાળામાં જળવાયેલું જોવા મળતું હતું, પરંતુ નવા સત્રથી ત્રણ શિક્ષકોની બદલી અન્યત્ર શાળામાં કરી નાખવામાં આવી છે. તો એક શિક્ષકની બદલી આજથી એક વર્ષ પૂર્વે થઈ છે. તેમ છતાં હજુ તેમની જગ્યા પૂરવામાં આવી નથી, ત્યારે ધોરણ 1થી 5માં એકમાત્ર શિક્ષક કામ કરી રહ્યા છે, ત્યારે જો ગામના વાલીઓ શાળા શિક્ષણનો બહિષ્કાર સમાપ્ત કરે તો પણ ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓને એક શિક્ષક કઈ રીતે શિક્ષણના મૂળભૂત અધિકાર થકી શિક્ષિત કરી શકશે તેના પર મસ મોટા સવાલો ઊભા થયા છે.

સ્કૂલ ઓફ એક્સલન્ટનો સરકારનો પ્રયાસ : રાજ્યના શિક્ષણ વિભાગે 10 કિલોમીટરની ત્રિજ્યામાં સ્કૂલ ઓફ એક્સીલન્સની રચના કરી છે. જેમાં આસપાસના 10 kmની ત્રિજ્યામાં આવતા ગામોની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા તે શાળાને સ્કૂલ ઓફ એક્સિલન્સમાં મર્જ કરવામાં આવે છે. જેને કારણે આવનારા દિવસોમાં 10 kmની ત્રિજ્યાના ગામો વચ્ચે એકમાત્ર સ્કુલ હશે તેવું આજે પ્રતિષ્પાદિત થઈ રહ્યું છે. જેને કારણે ગામના લોકો મૂળભૂત રીતે પ્રાથમિક શિક્ષણનું સ્તર અને તેની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આંદોલન કરી રહ્યા છે.

વર્ગખંડોને લઈને ચિંતાજનક સ્થિતિ : સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળાના વર્ગખંડોને લઈને ચિંતાજનક સ્થિતિ જોવા મળે છે. સ્કૂલ ઓફ એક્સિલન્સમાં પ્રત્યેક ધોરણે એક ઓરડો અને એક શિક્ષકની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ જો અન્ય સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8નું પ્રાથમિક શિક્ષણ ચાલતું હોય તેવી પરિસ્થિતિમાં શાળામાં શિક્ષકોના મહેકમ અનુસાર વર્ગખંડ મંજૂર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે શાળામાં પાંચ શિક્ષકોનું મહેકમ હોય તેવી શાળામાં છઠ્ઠો રૂમ રાજ્યની સરકાર મંજૂર કરતી નથી. આવી પરિસ્થિતિમાં એક સાથે બે ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવાની ફરજ પણ ઘણી ખરી શાળાઓમાં પડી રહી છે. જેને કારણે પણ શાળાનું પ્રાથમિક શિક્ષણ ખૂબ જ કથળેલું જોવા મળે છે.

જ્યાં સુધી શાળાનું શિક્ષણ કાર્ય પહેલા મુજબનું કરવામાં નહીં આવે તેમજ બદલી કરાયેલા શિક્ષકોને ફરીથી શાળામાં મૂકવામાં નહીં આવે ત્યાં સુધી અમારા એક પણ બાળકો શાળાએ અભ્યાસ માટે જશે નહીં. આગામી દિવસોમાં આયોજિત થનારા શાળા પ્રવેશોત્સવનું પણ અમે વિરોધ કરવાના છીએ - રાજુ સોનારા (વાલી)

બહિષ્કારને કારણે ઠપ્પ : આચાર્ય દિપકનાથ નાથજીએ જણાવ્યું કે, ગામના લોકો દ્વારા ધોરણ 6, 7 અને 8ના વર્ગોનો બાજુના ગામની પ્રાથમિક શાળામાં મર્જ કરાતા ધોરણ 1થી 5ના બાળકોને પણ શાળામાં અભ્યાસ અર્થે મોકલતા નથી. જેને કારણે છેલ્લા ચાર દિવસથી સાગરસોલા પ્રાથમિક શાળાનું શિક્ષણ કાર્ય વાલીઓના શિક્ષણના બહિષ્કારને કારણે ઠપ્પ થયેલું જોવા મળે છે.

  1. Banaskantha News : બનાસકાંઠાના જોરવાડા ગામમાં પાણી ન મળતા બાળકો શાળા છોડવા બન્યા મજબૂર, વિદ્યાર્થીઓની સરકારને વિનંતી
  2. Water Crisis In Chota udepur : છોટા ઉદેપુરના ડબ્બા ગામે પીવાના પાણીની તીવ્ર સમસ્યા, બાળકો પણ ખોદાવી રહ્યાં છે કૂવો
  3. Surat News : સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની સરાહનીય કામગીરી, અજાણ વાલીઓ માટે પ્રચાર પ્રસાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.