ETV Bharat / state

Junagadh Parrot lover : 25 વર્ષથી પોપટની નિસ્વાર્થ સેવા કરતા કેશોદના પોપટ પ્રેમી

author img

By

Published : Jul 31, 2023, 5:52 PM IST

Junagadh Parrot lover
Junagadh Parrot lover

કેશોદમાં રહેતો ડોબરીયા પરિવાર અનોખી રીતે પર્યાવરણ પ્રેમી તરીકે પોતાની નામના પ્રસ્થાપિત કરી રહ્યો છે. પાછલા 25 વર્ષથી હરસુખભાઈ ડોબરીયા અને સમગ્ર ડોબરીયા પરિવાર સેવાયજ્ઞમાં જોડાયેલ છે. ચોમાસાના ચાર મહિના સુધી પોપટોને કોઈ પણ પ્રકારની ચણની અછત ન સર્જાય તે માટે અનોખો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. તેઓ આ યજ્ઞને તેમના જીવતા જગતિયા સાથે સરખાવીને આજીવન પોપટની સેવા કરવાનો નિર્ધાર વ્યક્ત કરે છે.

25 વર્ષથી પોપટની નિસ્વાર્થ સેવા કરતા કેશોદના પોપટપ્રેમી

જુનાગઢ : કેશોદમાં રહેતા હરસુખભાઈ ડોબરીયા અનોખી રીતે ચોમાસા દરમિયાન ભારતીય પોપટની સેવા કરી રહ્યા છે. આ પ્રકારની સેવા તેઓએ વર્ષ 1998 થી શરૂ કરી છે. જે આજે ત્રીજી પેઢીમાં જોવા મળે છે. ચોમાસા દરમિયાન પોપટને ખોરાક મળી રહે તે પ્રકારની પક્ષી સેવા ડોબરીયા પરિવાર પેઢી દર પેઢી નિભાવશે તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો. પોપટને ખોરાક આપવાની પક્ષી સેવામાં અત્યારે ત્રીજી પેઢી પણ જોડાઈ ચૂકી છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન પોપટને ખોરાકની અછત ન પડે તે માટે અનોખી રીતે પક્ષીનો સેવાયજ્ઞ ધમધમાવી રહ્યા છે.

મહાન સેવાયજ્ઞ : જુનાગઢ જિલ્લાના કેશોદમાં રહેતો ડોબરીયા પરિવાર અનોખી રીતે ચોમાસા દરમિયાન પોપટની સેવા કરી રહ્યા છે. ભારતીય પોપટ કલર અને દેખાવે એકદમ રૂપકડું પક્ષી જોવા મળે છે. સમગ્ર ભારતમાં આ પક્ષી મુક્તપણે જોવા મળે છે. ત્યારે વર્ષ 1998 થી હરસુખભાઈ ડોબરીયા ચોમાસાના ચાર મહિના દરમિયાન પોપટને ખોરાક પૂરો પાડી અનોખી રીતે પોતાનો પક્ષી પ્રેમ દર્શાવી રહ્યા છે. જેમની પાછળ આજે તેમની ત્રીજી પેઢી પણ જોડાઈ ચૂકી છે.

25 વર્ષની પરંપરા : ચોમાસાના ચાર મહિના દરમિયાન નિત્યક્રમે વહેલી સવારે ત્રણ વાગ્યાથી પોપટને ખોરાક પૂરો પાડવાનો આ મહાન સેવા યજ્ઞ શરૂ થાય છે. જે સવારના 8 વાગ્યાની આસપાસ પોપટના ખોરાક ગ્રહણ કરવા સુધી ચાલે છે. આ પરંપરા પાછલા કેટલાય વર્ષોથી સતત અને અવિરત જોવા મળે છે. જેને કારણે હરસુખભાઈ ડોબરીયા પોપટ પ્રેમી તરીકે પણ સમગ્ર પંથકમાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યા છે.

પોપટનો નિત્યક્રમ
પોપટનો નિત્યક્રમ

ચોમાસાની ઋતુ : ચોમાસાના ચાર મહિના ખાસ કરીને પક્ષીઓ માટે ખોરાક શોધવો અને તેને ગ્રહણ કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. ચોમાસા દરમિયાન નવા કૃષિ પાકોનું વાવેતર થયું હોય છે. જેને કારણે પણ ધાન્ય અને અન્ય ખોરાકની ખૂબ અછત જોવા મળે છે. જેને કારણે પક્ષીઓને ખૂબ મુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર થવું પડે છે. ત્યારે વર્ષ 1998 માં પોતાના ઘરે આવેલા બે પોપટને હરસુખભાઈ ડોબરીયા દ્વારા ખોરાક તરીકે બાજરી આપવાની શરૂઆત થઈ હતી. આજે 25 વર્ષના સમય દરમિયાન હજારોની સંખ્યામાં ચોમાસાના ચાર મહિના દરમિયાન પોપટ વહેલી સવારે હરસુખભાઈ ડોબરીયાના મહેમાન બને છે.

આ પોપટને ચોમાસા દરમિયાન ચણ નાખવાની તેમની આ જીવતા જગતિયા સમાન પ્રક્રિયા આજીવન ચાલશે. હજારોની સંખ્યામાં પોપટોને જોઈને આજે પણ એમ થાય છે કે ઈશ્વર અમારે આંગણે બેઠા છે. 25 વર્ષ પૂર્વે શરૂ થયેલો સેવાયજ્ઞ આજે દર વર્ષે પોપટોની સંખ્યામાં સતત વધારો કરી રહ્યો છે. જે પ્રકૃતિની સાથે વ્યક્તિનું ખૂબ જ ઊંડાણપૂર્વકનું જોડાણ દર્શાવે છે. સામાન્ય રીતે એક પક્ષીને બોલાવવું ખૂબ મુશ્કેલ છે. ત્યારે હજારોની સંખ્યામાં ભારતીય પોપટ વહેલી સવારે નિત્યક્રમે આવી પહોંચે છે. ખૂબ જ નિજાનંદની ચણ ગ્રહણ કરીને તેના નિત્યક્રમે જતા જોઈને ઈશ્વરના સાક્ષાત અનુભવનો અહેસાસ અમારો પરિવાર પાછલા 25 વર્ષથી કરી રહ્યો છે. -- હરસુખભાઈ ડોબરીયા (પોપટ પ્રેમી)

પોપટનો નિત્યક્રમ : પોપટ હરસુખભાઈના ઘરે સવારનું ભોજન કરીને દિવસની શરૂઆત કરે છે. આ પ્રકારની નિત્ય સેવા અને ભોજન ગ્રહણ કરવાનો ક્રમ ચાર મહિના સુધી દર વર્ષે જોવા મળે છે. જ્યારે ચોમાસુ પૂર્ણ થાય ત્યારે આ પોપટ પણ હરસુખભાઈને ત્યાં આવવાનું ધીમે ધીમે બંધ કરે છે. ફરી પાછા નવા વર્ષે ચોમાસુ શરૂ થાય ત્યારે તેના નિત્યક્રમે વહેલી સવારે 5 થી 6 વાગ્યાના અરસામાં તેમના ઘરે દસ્તક આપે છે. પોપટ ખૂબ જ શાંતિથી ખોરાક ગ્રહણ કરે છે.

પોપટપ્રેમી હરસુખભાઈ : જન્મજાત ખેડૂત પુત્ર હરસુખભાઈ ડોબરીયા દસ વીઘા ખેતીની જમીન ધરાવે છે. સમગ્ર વર્ષ દરમિયાન કૃષિ પેદાશો થકી થયેલી આવક હરસુખભાઈ એકમાત્ર પોપટના ખોરાક માટે અનામત રાખે છે. આ પ્રકારે પોપટ અને હરસુખભાઈ પ્રત્યેનો આત્મિતાભર્યો સંબંધ પાછલા 25 વર્ષથી સતત જોવા મળે છે. ચોમાસા દરમિયાન મહેમાન બનીને આવતા પોપટ અને મેનાને ખોરાક પૂરો પાડવાની વ્યવસ્થા ઘરના તમામ સભ્યો વહેલી સવારથી શરૂ કરે છે. ઘરના વડીલે શરૂ કરેલો આ પક્ષીનો સેવાયજ્ઞ ઘરના તમામ સદસ્યો ખૂબ જ હોંશભેર આવકારી રહ્યા છે. હરસુખભાઈ ડોબરીયાએ 25 વર્ષ પૂર્વે શરૂ કરી હતી તે પક્ષી પ્રેમની પરંપરા આદિ અનાદિકાળ સુધી ચાલતી રહે તેવી પરિવારના સભ્યો પણ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

પોપટપ્રેમી હરસુખભાઈ
પોપટપ્રેમી હરસુખભાઈ

પ્રકૃતિપ્રેમીની દાદ : એક સાથે 10,000 કરતાં વધુ ભારતીય પોપટ અને મેનાની જોડી વહેલી સવારે હરસુખભાઈને ત્યાં નાસ્તો કરવા માટે પહોંચી જાય છે. જેને કારણે હરસુખભાઈ સમગ્ર પંથકમાં પોપટ પ્રેમી તરીકે પણ ઓળખાઈ રહ્યા છે. વહેલી સવારે હરસુખભાઈને ત્યાં પોપટને નાસ્તો કરતા જોવા માટે લોકો પણ આવી રહ્યા છે. આવા જ પ્રકૃતિ પ્રેમી ભરતભાઈ પટેલ જણાવે છે કે, હરસુખભાઈનો આવો પક્ષી પ્રેમ અને ખાસ કરીને ભારતીય પોપટ અને મેનાની જોડીને ખોરાક પૂરો પાડવો મનને શાંતિ આપતો પ્રયાસ છે. આ પ્રકારની પક્ષી સેવા કરવી આજના સમયમાં ખૂબ મુશ્કેલ છે.

આવી રીતે થઈ શરુઆત : વર્ષ 1998 માં હરસુખભાઈનો અકસ્માત થયો હતો. ત્યારે તેમના મિત્રએ તેમને બાજરીના કેટલાક ડુંડા આપ્યા હતા. ત્યારે અકસ્માતના કારણે ઘરે રહેલા હરસુખભાઈને બાજરીના ડુંડા ગેલેરીમાં દોરી વડે બાંધીને રાખી મૂક્યા હતા. જેમાં પ્રથમ દિવસે એક પોપટ ખોરાક મેળવવાની ઈચ્છાએ ત્યાં આવ્યો હતો. આ પરંપરા 1998 માં એક પોપટથી શરૂ થઈ જે આજે 10,000 કરતાં વધુ પોપટ સુધી વિસ્તરી ચૂકી છે. પ્રતિદિન 10 કિલો જેટલા બાજરીના ડુંડા અને મગફળીના દાણા પોપટને ખોરાક તરીકે આપી રહ્યા છે. જે તેમની આખા વર્ષને 10 વીઘા ખેતીની આવક બરાબર માનવામાં આવે છે.

  1. રાજકોટના પ્રકૃતિપ્રેમી ખેડૂતે સ્મશાનને બનાવ્યું સુંદરવન, ફળ-ફૂલો ઔષધિઓ સહિત 500 વૃક્ષો ઉગાડ્યા
  2. ચકલીઓને નુકસાન ન પહોંચે એટલે યુવકે 10 વર્ષથી ઘરનું રિનોવેશન નથી કરાવ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.