Jamnagar News: દ્વારકા પગપાળા જતા સંઘને કાર કાળ બનીને ટકરાઈ, 3 યાત્રિકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મૃત્યુ થયા

Jamnagar News: દ્વારકા પગપાળા જતા સંઘને કાર કાળ બનીને ટકરાઈ, 3 યાત્રિકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મૃત્યુ થયા
જામનગર-દ્વારકા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દ્વારકા પગપાળા જતા સંઘને કાળ બનેલી કારે વહેલી સવારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 યાત્રિકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે એક યાત્રિકની સારવાર જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાલી રહી છે. વાંચો સમગ્ર સમચાર વિસ્તારપૂર્વક
જામનગરઃ ગુજરાતમાં વારંવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં જ જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી પાસે દ્વારકા પગપાળા જતા સંઘને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક કાર કાળ બનીને પગપાળા યાત્રિકોને ટકરાઈ હતી. જેમાં ત્રણ યાત્રિકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે એક ગંભીર ઘાયલ યાત્રીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ મોરબી રહેતા પટેલ પરિવારે દ્વારકા પગપાળા જવા સંઘનું આયોજન કર્યુ હતું. આ સંઘમાં પટેલ પરિવારના સભયો ઉપરાંત અન્ય ભક્તો પણ જોડાયા હતા. વહેલી સવારે જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક એક કાર કાળ બનીને આ સંઘને ટકરાઈ હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે 3 યાત્રિકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. જ્યારે એક યાત્રિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતની જાણ થતાં જ 108 અને પડાણા પોલીસ ટીમ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે કાયદાકીય કાર્યવાહી કરીને મૃતકોના પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે આ જ હોસ્પિટલમાં ઘાયલ દર્દીને 108 મારફત સારવાર અર્થે દાખલ કરાયો હતો. પડાણા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પટેલ પરિવારના 3 મોભીઓના અકાળે અવસાન થયા સમગ્ર પરિવાર અને પંથકમાં શોક વ્યાપી ગયો હતો.
અમે મોરબીથી દ્વારકા જવા પગપાળા સંઘ કાઢ્યો હતો. જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી પાસે મોડી રાત્રે એક કાર અમારા સંઘને ટકરાઈ હતી. જેમાં મારા પિતા, દાદા અને કાકાનું મૃત્યુ થયું છે. જ્યારે મામા ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે...પ્રતીક ભાળજા,મૃતકના પુત્ર, જામનગર
