ગુલાબ વાવાઝોડની અસર : ગીર સોમનાથના 6 તાલુકામાં સાર્વત્રીક વરસાદ, નદીઓમાં આવ્યા ઘોડાપુર

author img

By

Published : Sep 27, 2021, 10:51 PM IST

universal rainfall in Gir Somnath district

ગીર સોમનાથમાં ગુલાબ વાવાઝોડને કારણે આપવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે સવારથી વરસાદી વાતાવરણ રહ્યું હતું, ત્યારે બપોર બાદ મેઘરાજા ભારે ઠંડા પવન સાથે ગીર સોમનાથ જિલ્‍લાના છ તાલુકાઓમાં સરેરાશ 1 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં જીવાદોરી સમાન ત્રણ ડેમના બે-બે દરવાજા ખોલવા પડ્યા હતા.

  • 'ગુલાબ' વાવાઝોડની અસરના પગલે ગીર સોમનાથના છ તાલુકામાં સાર્વત્રીક વરસાદ
  • જિલ્‍લાના જીવાદોરી સમાન ત્રણ ડેમના બે-બે દરવાજા ખોલવા પડ્યા
  • પ્રખ્‍યાત પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર ફરી જળમગ્‍ન થયુ

ગીર સોમનાથ : ગુલાબ વાવાઝોડની ગીર સોમનાથ જિલ્‍લા અને ગીર જંગલમાં સોમવારે બપોર બાદ અસર વર્તાયેલ જોવા મળી રહી છે. જિલ્‍લાના છ તાલુકાઓમાં સરેરાશ 1 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે, ત્યારે ધોધમાર વરસાદના પગલે જિલ્‍લાના હિરણ-2, શિંગોડા, રાવલ ડેમના દરવાજા ખોલવા પડેલા હતા, જ્યારે દ્રોણેશ્વર ચેકડેમ ઓવરફ્લો થયેલા, ત્યારે સરસ્‍વતી નદીમાં પૂર આવતા તેના પટમાં આવેલા પ્રખ્‍યાત પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર ફરી જળમગ્‍ન થયુ હતુ, જ્યારે જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારની શેરી-રસ્‍તાઓ પર વરસાદી પાણીની નદી વહેતી થયેલી જોવા મળતી હતી. ત્યારે સરસ્‍વતી સહિતની અનેક પૂર આવ્‍યા હતા.

ગીર સોમનાથના 6 તાલુકામાં સાર્વત્રીક વરસાદ

કાળા ડીંબાગ વાદળોનું સામ્રજ્ય છવાયું

સોમવારે બપોરે બાદ ગીર સોમનાથ જિલ્‍લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો હોય તેમ આકાશમાં થોડા સમયમાં જ ઘટાટોપ કાળા ડીંબાગ વાદળોનું સામ્રજ્ય છવાય ગયુ હતુ. ગાજવીજ સાથે મેઘરાજાએ પઘરામણી કરી હેત વરસાવવાનું શરૂ કરેલું હતુ. આ મેઘસવારી સાંજ સુધી ધીમી ધારે અવિરત ચાલુ રહી હતી. જે દરમિયાન આજે સોમવારે સવારથી સાંજ સુધીમાં જિલ્‍લામાં સૌથી વધુ ગીરગઢડામાં 3 અને સૌથી ઓછો ઉના અડધો ઇંચ વરસાદ વરસ્‍યો હતો. જિલ્‍લાના છ તાલુકામાં બપોરે 12 થી સાંજે 6 વાગ્‍યા સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગીરગઢડામાં 76 MM (3 ઇંચ), વેરાવળમાં 42 MM (1.5 ઇંચ), સુત્રાપાડામાં 47 MM (2 ઇંચ), તાલાલામાં 46 MM (2 ઇંચ), કોડીનારમાં 19 MM (અડધો ઇંચ), ઉનામાં 14 MM (અડધો ઇંચ) વરસ્યો હતો.

ગીર જંગલની બોર્ડરના ગામોના નદી-નાળાઓ છલકાયા

સમગ્ર જિલ્‍લામાં સાર્વત્રીક વરસાદ વરસવાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો શહેરી વિસ્‍તારમાં રસ્‍તાઓ પર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં શેરીઓમાં વરસાદી પાણીની નદી વહેતી જોવા મળી હતી. જ્યારે ગીર જંગલ વિસ્‍તારમાં પણ ભારે વરસાદ વરસ્‍યો હોવાનું જાણવા મળેલું છે. કેમ કે, ગીર જંગલની બોર્ડરના ગામોના નદી-નાળાઓમાં એકાએક મબલખ પાણીની ધીગી આવક જોવા મળી હતી. જેના પગલે જિલ્‍લાની સરસ્‍વતી નદીમાં પુરની સ્‍થ‍િતિ સર્જાય હોય તેમ નદીના પટમાં આવેલા પ્રખ્‍યાત પ્રાંચી તીર્થનું માધવરાય મંદિર ફરી જળમગ્‍ન થઇ ગયુ હતુ. ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં ચોથી વખત માધવરાય મંદિર જળમગ્‍ન થયુ હોવાનું જાણવા મળેલું છે, ત્યારે સરસ્‍વતી નદીમાં પુરની સ્‍થ‍િતિ જોવા લોકો ઉમટી પડયા હતા.

શિંગોડા ડેમના 2 દરવાજા ખોલાવા પડ્યા

ઉપરવાસની સાથે જિલ્‍લામાં બપોરના સમયગાળામાં વરસેલા ધોધમાર વરસાદના પગલે જિલ્‍લાના સૌથી મોટા હિરણ-2 ડેમના બે દરવાજા 0.15 સેમી ખોલવા પડયા હતા, જ્યારે ઉના તાલુકામાં આવેલા રાવલ ડેમમાં વરસાદી પાણીની ભરપુર આવકના પગલે 2 દરવાજા એક-એક ફૂટ ખોલાવામાં આવ્‍યા હતા, જ્યારે કોડીનાર પંથકમાં આવેલા શિંગોડા ડેમમાં વરસાદી પાણીની ભારે આવકના પગલે ડેમના 2 દરવાજા ખોલાવા પડ્યા હતા, જેમાં એક દરવાજો 0.15 મીટર અને બીજો દરવાજો 0.60 મીટર ખોલાવામાં આવ્‍યો છે. ડેમના દરવાજા ખોલવાને લઇ તંત્ર દ્રારા ત્રણેય ડેમની હેઠળવાસના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા હતા. ભારે વરસાદના પગલે ગીરગઢડાના દ્રોણ ગામે આવેલા દ્રોણેશ્વરનો ચેક ડેમ ઓવરફ્લો થઇ જતા અલ્‍હાદાયક ર્દશ્‍યો જોવા મળતુ હતુ.

ગીર જંગલ વિસ્‍તારમાં ભારે વરસાદ

જિલ્‍લાના ગીરગઢડા તાલુકામાં 6 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસી જવાની સાથે ગીર જંગલ વિસ્‍તારમાં ભારે વરસાદના લીધે પંથકની નદી-નાળામાં વરસાદી નીર ધસમસતા વહેતા જોવા મળ્યા હતા. પંથકની મચ્‍છુન્‍દ્રી, સંગાવાડી, શાહી સહિતની નદીમાં ઘોડાપુર જેવી સ્‍થ‍િતિ જોવા મળતી હતી. જેના લીધે પાણી ફરી વળતા ધોકડવાથી ગીરગઢડા જવાનો મુખ્‍ય રસ્‍તો અમુક સમય માટે બંધ થઇ ગયો હતો, ત્યારે પંથકના ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. આમ, ગીરગઢડા પંથકને ભાદરવે ભરપુરનો અહેસાસ મેઘરાજાએ કરાવી દીધો હતો.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.