ગીર સોમનાથઃ જૂનાગઢ તથા ગીર સોમનાથ યુવા રમતગમત અને સંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે 31મી વિર સાવરકર તરણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 12 ભાઈઓ અને 7 બહેનો મળી કુલ 19 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સુરતના તરવૈયાઓએ પોતાનું પાણી બતાવતા પુરૂષ અને મહિલા બન્ને કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં મોનીકા નાગપુરે નામની યુવતીએ આ સ્પર્ધા સતત 3 વાર જીતી હતી.
31મી વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનો વહેલી સવારથી પ્રારંભ થયો હતો. જૂનાગઢના ચોરવાડથી ગિર સોમનાથના વેરાવળ 21 નોટીકલ માઈલ માટે 12 યુવાનો તેમજ આદ્રી ગામેથી 16 નોટકલ માઈલ માટે 7 બહેનોએ અરબી સમુદ્રમાં છલાંગ લગાવી હતી. જેના પરિણામો આવતા સ્પર્ધામાં મહિલા કેટેગરીમાં 1થી 3 ક્રમાંક વિજેતા સુરતની યુવતીઓ હતી. તેમજ પુરૂષ કેટેગરીમાં પ્રથમ અને બીજા ક્રમે પણ સુરતનાં જ યુવાનો હતા.
આ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનેલા ખેલાડીઓએ સરકારને અપીલ કરી હતી કે, જો રાજ્ય અને કેન્દ્ર સરકાર આ પ્રકારની તરણ સ્પર્ધાઓ તેમજ તરવૈયાઓ પર વિશેષ ધ્યાન આપી તેમને પ્રોત્સાહિત કરે, તો ગુજરાત અને ભારતમાંથી ઓલિમ્પિક લેવલના તરવૈયાઓ મળી શકે છે.