ETV Bharat / state

વેરાવળ રેલવે ડિવિઝનમાં તત્કાલ રેલ ટિકિટના કાળા બજારના રેકેટનો પર્દાફાશ, રેલકર્મીઓ સહિત 8 લોકોની ધરપકડ

author img

By

Published : Jun 24, 2021, 11:00 PM IST

Gujarat News
Gujarat News

રેલવેના વેરાવળ ડિવિઝનમાં રેલ ટિકિટના કાળા બજારના રેકેટનો RPF દ્વારા પર્દાફાશ કરી રેલવેના જ ચાર બુકિંગ ક્લાર્ક અને એક સ્ટેશન સુપરવાઈઝરને ઝડપી પાડ્યા છે. પકડાયેલા રેલ કર્મચારીઓ અમદાવાદ, સુરતના એજન્ટો મારફત તત્કાલ ટિકિટનું કાળા બજાર ચલાવતા હોવાની સાથે આરોપી કર્મચારીઓ પત્ની તેમજ અન્યોના નામના બેન્ક એકાઉન્ટમાં ભ્રષ્ટાચારની રકમ લેતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે 8 લોકોની ધરપકડ કરાઈ છે.

  • વેરાવળ રેલવે ડિવિઝનમાં ટિકિટ કાળાબજારના રેકેટનો પર્દાફાશ
  • રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા સમગ્ર રેકેટનો પર્દાફાશ
  • રેલવેના જ 4 બુકિંગ ક્લાર્ક ચલાવતા હતા રેકેટ

ગીર સોમનાથ : રેલવેના વેરાવળ ડિવિઝનમાં રેલ ટિકિટના કાલા બજારના રેકેટનો આર.પી.એફ. દ્વારા પર્દાફાશ કરી રેલવેના જ ચાર બુકિંગ ક્લાર્ક અને એક સ્ટેશન સુપરવાઈઝરને ઝડપી પાડ્યા છે. પકડાયેલા રેલ કર્મચારીઓ અમદાવાદ, સુરતના એજન્ટો મારફત તત્કાલ ટિકિટનું કાળા બજાર ચલાવતા હોવાની સાથે આરોપી કર્મચારીઓ પત્ની તેમજ અન્યોના નામના બેન્ક એકાઉન્ટમાં ભ્રષ્ટાચારની રકમ લેતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે RPFએ તાલાલા, સાસણ ગીર, વિસાવદર, દામનગર રેલવે સ્ટેશનના કર્મચારીઓ સહિત આઠ લોકો પકડી પાડી તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે.

વેરાવળ રેલવે ડિવિઝનમાં તત્કાલ રેલ ટીકીટના કાળા બજારીના રેકેટનો પર્દાફાશ થયો

વેરાવળ આર.પી.એફ સ્ટેશનમાં નોંધાયો ગુનો

આ કાળા બજારીનું રેકેટ અમદાવાદ, સુરતના કનેક્શન સાથે રાજ્યવ્યાપી હોવાની જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે. આ કાર્યવાહીના પગલે રેલવે વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. જ્યાં વાડ જ ચીભડા ગળે ત્યાં ફરિયાદ કોને કરવી એ કહેવતને રેલવેના વેરાવળ ડિવિઝનમાં સામે આવેલા રેલવેની તત્કાલ ટિકિટની કાળા બજારીના મસમોટા રેકેટનો પર્દાફાશથી સમર્થન મળ્યું છે. RPFની ક્રાઈમ બ્રાંચના ડીએસસી રામ રાજ મીણા, હેડ કોન્સ્ટેબલ સૈયદ ઇજહાર, મયુરદાન ગઢવી સહિતના દ્વારા પર્દાફાશ કરાયું હતું.

અમદાવાદ, સુરતના ટિકિટ બ્લેકર સહિત 8 આરોપીની ધરપકડ

આ રેકેટની વિગતો અંગે તપાસ ચલાવી રહેલ વેરાવળ RPFના PSI ઉદયભાનસિંહે જણાવયું હતું કે, વેરાવળ રેલવે ડિવિઝનના તાલાલા, સાસણ ગીર, વિસાવદર, દામનગર જેવા નાના મીટરગેજ રેલવે સ્ટેશનો પરથી પ્રતિદિન એક લાખ રૂપિયાની તત્કાલ ટિકિટનું બુકિંગ થતા જે શંકાના દાયરામાં આવ્યા હતા અને રેલવે ટિકિટના કાળા બજારીનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતું હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે છેલ્લા એક વર્ષથી આ રેકેટનો પર્દાફાશ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં ગત તા. 24 એપ્રિલના સાસણ ગીર રેલવે સ્ટેશન પરથી અમદાવાદ - લખનઉ, સુરત - શાહગંજ અને સુરત - મુઝફ્ફરનગર એમ ત્રણ તત્કાલ રેલ ટિકિટનું કોઈ વ્યક્તિની ઉપસ્થિતી વગર જ બુકિંગ થયું હતું. જેથી RPFની ટીમ દ્વારા આ ટિકિટના PNR નંબરના આધારે અમદાવાદ અને સુરતમાં પેસેન્જરોને ટ્રેસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં આ ત્રણેય ટિકિટનો બ્લેકનો ભાવ ચૂકવી ખરીદી કરાયેલી હતી. જે આધારે આ ટિકિટ કોની પાસેથી ખરીદ કરાયેલી તે દિશામાં તપાસ હાથ ધરતા અમદાવાદ અને સુરતના રેલવે ટિકિટના કાલા બજારીયાઓ મારફત વેરાવળ રેલવે ડિવિઝનના રેલવેના જ બુકિંગ ક્લાર્ક સુધી પગેરું પહોંચ્યું હતું. જેમાં સાસણ ગીર સ્ટેશનનો બુકિંગ કલાર્ક, તાલાલા સ્ટેશનનો બુકિંગ ક્લાર્ક, વિસાવદર સ્ટેશનનો બુકિંગ કલાર્ક અને દામનગર સ્ટેશનના ડેપ્યુટી S.S.ની સંડોવણીના પુરાવા મળ્યા હતા. જેના આધારે ચારેય રેલવે કર્મચારીઓ સહિત અન્ય ચાર કાળા બજારીયા વિરુદ્ધ ગુના દાખલ કરી તમામની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : વડોદરામાં સર્જાયા ભાવુક દ્રશ્યો, ટિકિટ નહીં મળતાં કાર્યકર ચોધાર આંસુએ રડ્યાં

કાળા બજારી થકી મળતી રકમ પત્નીઓના બેન્ક ખાતામાં મેળવતા

તપાસનીશ અધિકારી ઉદયભાનસિંહે વધુમાં જણાવેલ કે, ચારેય રેલવે કર્મચારીઓ પોતાની પત્નીઓના બેંક એકાઉન્ટ મારફત ભ્રષ્ટાચારના નાણાં મેળવતા હતા. જ્યારે તાલાલા રેલવે સ્ટેશનનો બુકિંગ ક્લાર્કે તો તાલાલાના સંજય હરિયાની નામના વ્યક્તિનું એક્સીસ બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેમાં પોતાના મોબાઈલ નંબર રજિસ્ટર કરાવી પોતે આ એકાઉન્ટ મેનેજ કરતો અને તેમાં નાણાં મગાવતો હોવાના પુરાવા મળ્યા છે.

દરોડામાં જપ્ત કરાયેલી તત્કાલ ટિકિટની વિગતો

1) અમદાવાદ-લખનૌ, યાત્રી - 4, કિ. રૂપિયા 2880

2) સુરત-શાહગંજ, પેસેન્જર - 1, કિ. રૂપિયા 2075

3. સુરત-મુઝફ્ફરપુર, યાત્રી - 4, કિ. રૂપિયા 3740

ઉપરોક્ત ત્રણ અનામત તત્કાલ ટિકિટ સાસણના ટીકીટ આરક્ષણ કેન્દ્રના ક્લાર્કે અગ્રાવતએ કાઢી હતી. આ ટિકિટો સામે પ્રવાસીઓ પાસેથી અનુક્રમે 8800, 3500 અને 8000 રકમ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : ડીસામાંથી રેમડેસીવીર ઇન્જેક્શનનું કાળાબજાર કરતા 8 લોકો ઝડપાયા

આગળની તપાસમાં અન્ય રેલવેના જ અધિકારી, કર્મચારીઓની સંડોવણી સામે આવે તેવી શકયતા

રેલવે તંત્ર દ્વારા લોકોની સુવિધા માટે ઉભી કરાયેલી તત્કાલ બુકિંગ સેવાનો રેલવેના જ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ગેરલાભ ઉઠાવી રેલ ટિકિટના કાળા બજારીનું રેકેટ ચલાવી રહ્યાની પુષ્ટિ થઈ છે, ત્યારે આ રેકેટના તાર ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે પણ જોડાયેલા હોવાની ચર્ચા ઉઠી છે. રેકેટમાં સંડોવાયેલા કર્મચારીઓ સામે કડક કાર્યવાહીના બદલે ફરી નજીકના જ રેલવે સ્ટેશનમાં બઢતી સાથે બદલીઓ કરાતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આગળની તપાસમાં અન્ય રેલવેના જ અધિકારી, કર્મચારીઓની સંડોવણી સામે આવે તેવી શકયતા વર્તાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.