ETV Bharat / state

Stray Dogs: 3 વર્ષમાં 12.55 લાખથી વધુ નાગરિકોને કરડ્યા શ્વાન, કરોડોનો ખર્ચ છતાં પ્રશ્નો યથાવત, જાણો વિગતો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 7:00 PM IST

Updated : Oct 26, 2023, 7:34 PM IST

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ ગુજરાતમાં કુલ 12,55,066 લોકોને કુતરા કરડવાની ઘટનાઓ સામે આવી છે. આ અહેવાલમાં જાણીશું કે ક્યાં શહેરમાં કૂતરા કરડવાની કેટલી ઘટના બની છે ? કોર્પોરેશન દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે ?

Stray Dogs
Stray Dogs

ગાંધીનગર: ગુજરાતના તમામ 33 જિલ્લા અને 14,000થી વધુ ગ્રામ પંચાયતોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ જોવા મળે છે. કોઈ અજાણ્યો વ્યક્તિ પસાર થાય તો કુતરાઓ તરત જ તેમના ઉપર હુમલો કરે છે. કુતરાઓના કરડવાથી મૃત્યુની ઘટનાઓ પણ સામે આવે છે. જેમાં તાજેતરમાં વાઘ-બકરી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈ સાંજે તેમના બંગલાની નજીકની રહેણાક સોસાયટીમાં ચાલવા જઈ રહ્યા હતા ત્યારે રખડતાં કૂતરાં તેમની તરફ ધસી આવ્યા હતા. આ દરમિયાન દોડવા જતાં નીચે પડી જતાં બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું. સારવાર દરમિયાન ગંભીર ઇજાના લીધે તેઓનું અવસાન થયું હતું. મહત્વનું છે કે રાજ્યમાં રખડતાં શ્વાનનો ત્રાસ એ હદે વકર્યો છે કે નાના બાળકો એકલાં જતાં પણ ડર અનુભવે છે.

કૂતરાઓનો ત્રાસ યથાવત: દેશમાં 1 કરોડથી વધુ પાલતુ કૂતરાઓ છે, જ્યારે રખડતા કૂતરાઓની સંખ્યા લગભગ 3.5 કરોડ છે. રાજયમાં દરરોજ 464 લોકો કુતરા કરડવાનો ભોગ બને છે. જેની ગણતરી કરીએ તો રાજ્યમાં રોજના 464 લોકોને અને પ્રતિ કલાક 19 લોકોને સરેરાશ કુતરા કરડે છે. સરકારી વિભાગો દ્વારા મહાનગરો-જિલ્લાઓને અનેક યોજનાઓ માટે જંગી ગ્રાન્ટ ફાળવાતી હોય છે. સૌથી વધુ ગ્રાન્ટ મહાનગરોમાં વપરાતી હોવા છતાં સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે કૂતરાઓનો ત્રાસ ઓછો થયો નથી.

એક વર્ષમાં કૂતરા કરડવાની ઘટના
એક વર્ષમાં કૂતરા કરડવાની ઘટના

ગુજરાત વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોત્તરીમાં અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ 31 માર્ચ 2023ની પરિસ્થિતિએ છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં ક્યાં પ્રકારના પ્રાણીઓ કેટલા નાગરિકોને કરડવાના બનાવો સામે આવ્યા છે, તે અંગે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 સુધીના આંકડા જાહેર કર્યા હતા. જેમાં સોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વર્ષ 2020-21 માં 46436, વર્ષ 2021-22 માં 50,397 અને વર્ષ 2022-23માં 60,330 નાગરિકોને કૂતરું કરડયું હોવાની ઘટના સામે આવી છે. આમ ફક્ત અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં 3 વર્ષમાં 1,57,163 નાગરિકોને કૂતરા કરડ્યાં છે.

સૌથી વધુ કૂતરા કરડવાની ઘટના
સૌથી વધુ કૂતરા કરડવાની ઘટના

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટ્રસ્ટની વાત કરવામાં આવે તો ચાર અલગ અલગ એજન્સીઓ મારફતે કોર્પોરેશન દ્વારા ખસીકરણ અને રસીકરણની કામગીરી કરવામાં આવે છે. ગેસપુર ખાતે 3 કરોડના ખર્ચે ખર્ચ ખસીકરણ કેન્દ્ર પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ 2022-23 માં કુલ 35.15 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો, જ્યારે 2023-24માં 49.66 કરોડના બજેટની ફાળવણી પશુ નિયંત્રણ માટે કરવામાં આવી હતી.

ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે 1.5 કરોડનું બજેટ ખસીકરણ માટે રાખવામાં આવ્યું હતું. જ્યારે અત્યાર સુધીમાં 53 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને 5373 કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે.

સુરત: સુરત શહેરમાં દરરોજ કૂતરા કરડવાના 50થી 70 કેસ નોંધાઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો છે કે એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધીમાં 10,255 કૂતરા પકડાયા હતા, જ્યારે આ જ સમયગાળા દરમિયાન કૂતરા કરડવાના 22,503 કેસ નોંધાયા હતા. 2023 વર્ષની વાત કરીએ તો માત્ર 10 મહિનામાં કૂતરા કરડવાના 14, 970 કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પાંચ વર્ષમાં 33,761 કૂતરા પકડ્યા અને તેના પાછળ 3.28 કરોડનો ખર્ચ કર્યો. RTIમાં ખુલાસો થયો છે કે વર્ષ 2022-23માં મહાનગરપાલિકાએ 10,255 કૂતરા પકડ્યા હતા. અન્ય એક RTIમાં જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગે જવાબ આપ્યો છે કે સુરત શહેરના 101 વોર્ડમાં 2754 કૂતરા છે. આ આંકડો 2018માં કરાયેલા સર્વેનો છે. મહાપાલિકાનું કહેવું છે કે તે સર્વે કરાવતી નથી.

પશુપાલન વિભાગ અમુક એજન્સી મારફત આ સર્વે કરાવે છે. આ સર્વેક્ષણો માત્ર 40 ટકા જ સચોટ હોય છે. રસ્તા પર દેખાતા કૂતરા જ ગણાય છે. લોકો જે કહે છે તે લખવામાં આવે છે. જ્યારે ઘણા શ્વાન કારની નીચે અને શેરીઓમાં રહે છે. જ્યારે આ આંકડો આપવામાં આવ્યો ત્યારે શહેરમાં પાંચ ઝોન હતા, જ્યારે હવે 9 ઝોન છે. - ડો. દિગ્વિજય રામ, અધિક્ષક, બજાર વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન

1 કૂતરા પાછળ કેટલો ખર્ચ: સુરત શહેરમાં 5 વર્ષમાં 30,300 કૂતરાઓનું રસીકરણ અને વંધ્યીકરણ કરવામાં આવ્યું છે. જેની પાછળ 3,28,60,204 ખર્ચાયા હતા. તેમાંથી 30,300 કૂતરાઓનું રસીકરણ અને નસબંધી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડાઓ અનુસાર એક કૂતરા પાછળ 1191નો ખર્ચ થયો હતો. બીજી તરફ દરરોજ 50-70 કૂતરા કરડવાના કેસ સામે આવી રહ્યા છે.

આ વખતે એક કૂતરા પાછળ 1191 રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જેમાં કૂતરાને પકડવાનો ખર્ચ, રસીકરણ, ઓપરેશનનો ખર્ચ, ડોક્ટરનો ખર્ચ, મેનપાવરનો ખર્ચ, તેને પાંચથી સાત દિવસ રાખવાનો ખર્ચ અને ખાવાનો ખર્ચ સામેલ છે. ઓપરેશન દરમિયાન કાઢી નાખવામાં આવેલા અંગોની ગણતરી કર્યા પછી જ ચુકવણી કરવામાં આવે છે. - ડૉ. દિગ્વિજય રામ, સુપરિન્ટેન્ડેન્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશનના માર્કેટ ડિપાર્ટમેન્ટ

રાજકોટ: રાજકોટ મહાનગરપાલકાના પશુ નિયંત્રણ શાખાના ડો.બી.આર જાકાસનીયાએ જણાવ્યું હતું કે હાલમાં રખડતા શ્વાનની સંખ્યા અંદાજિત 30 હજાર જેટલી છે. જ્યારે દર વર્ષે કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન માટે બજેટમાં 1 કરોડની ફાળવણી કરવામાં આવે છે. મનપા દ્વારા દર વર્ષે 3 હજાર જેટલા શ્વાનોનું ખસીકરણ કરવામાં આવે છે. મનપા દ્વારા રેગ્યુલર રીતે વર્ષ 2008થી શ્વાનોનું ખસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 70 હજાર કરતાં વધુ શ્વાનોનું મનપા દ્વારા ખસીકરણ કરાયું છે. હાલમાં રાજકોટમાં રખડતા શ્વાનોની સંખ્યા 30 હજાર જેટલી હોવાનું સામે આવ્યું છે.

જૂનાગઢ: 1લી જાન્યુઆરીથી લઈને 25મી ઓક્ટોબર સુધી જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 180 કેસો શહેરમાં રખડતા શ્વાન કરડવાના સામે આવ્યા છે. જે પાછલા વર્ષની સરખામણીએ 10% વધુ છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અંદાજિત 7થી 8 હજાર શ્વાનોની અંદાજિત સંખ્યા છે.

ખસીકરણ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિસ્તારોમાં શ્વાનોની સંખ્યા નિયંત્રણમાં રહે અને જન્મદર ઘટાડી શકાય તે માટે ખસીકરણ કરવાને લઈને કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ પાછલા બે વર્ષ દરમિયાન ખસીકરણ કરવાની લઈને કોઈ વિશેષ યોગ્યતા પ્રાપ્ત એજન્સીઓ દ્વારા કામ મેળવવાને લઈને ઉત્સાહ દાખવવામાં આવ્યો નથી. જેથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શ્વાનોના ખસીકરણ કરવાને લઈને પણ કામગીરી શરૂ થઈ શકી નથી. જિલ્લામાં એક વર્ષમાં બે બાળકોના શ્વાનના કરડવાથી મોત થયા છે.

પાછલા કેટલાક વર્ષોથી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રખડતા શ્વાનોના ખસીકરણ કરવાને લઈને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે. પરંતુ શ્વાનોના ખસીકરણ કરવાને લઈને તજજ્ઞોની ટીમ સાથેની કોઈ એજન્સી ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેતી નથી. જેથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ખસીકરણ કરવાની લઈને કામગીરી બંધ રાખવામાં આવી છે. - રાજુભાઈ પરમાર, પશુ નિયંત્રણ શાખા, જૂનાગઢ

કચ્છ: જિલ્લામાં 1લી જાન્યુઆરીથી 25મી ઓક્ટોબર સુધીમાં 3965 લોકોને કુતરા કરડયા હોવાનુ જાણવા મળ્યું છે. જેમાંથી 2790 પુરુષો અને 1175 મહિલાઓને કૂતરાઓએ બચકા ભર્યા છે.વયજૂથ પ્રમાણેની વાત કરવામાં આવે તો 5 વર્ષ અથવા 5 વર્ષથી ઓછી ઉંમરના 162 છોકરાઓને તો 99 જેટલી છોકરીઓને કૂતરા કરડયા છે.તો 5 વર્ષથી ઉપરની ઉંમરના 2628 પુરુષો અને 1076 મહિલાઓને કૂતરા કરડયા છે.

'હાલ સુધીમાં 2500 જેટલા કૂતરાઓનો ખસીકરણ કરવામાં આવ્યું છે. સરકાર તરફથી જિલ્લા પંચાયતને કોઈ કોઈ બજેટ ફાળવવામાં આવ્યું નથી. પરંતુ નગરપાલિકામાંથી 1 લાખની ફાળવણી કરવામાં આવી છે.' - ડો.હરેશ ઠકકર, પશુપાલન અધિકારી,કચ્છ જિલ્લા પંચાયત

ભાવનગર: ભાવનગરમાં વર્ષ 2022-23 દરમિયાન 76 જેટલા લોકોને કુતરાએ બચકા ભર્યા છે.

'કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ આપીને હાલ સુધીમાં 15,000 જેટલા શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જો કે સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ કે નાણા ફાળવવામાં આવ્યા નથી. પરંતુ મહાનગરપાલિકાના સ્વ ભંડોળમાંથી 50 લાખની ફાળવણી કરાયેલી છે.' - એમ.એમ. હિરપરા, પશુ નિયંત્રણ અધિકારી

સરકાર દ્વારા મોનિટરીંગ: ગુજરાતમાં શ્વાન, બિલાડા, સાપ, ઊંટ અને બીજા જંગલી જાનવરો રાજ્યના નાગરિકોને કરડે નહીં તે માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય કંટ્રોલ પ્રોગ્રામ અને બાઈટ પ્રોગ્રામ દ્વારા તમામ કેસોનું દૈનિક મોનિટરીંગ પણ કરવામાં આવતું હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું. તમામ કેસની માહિતી કેન્દ્ર સરકારના IHIP પોર્ટલ અને રાજ્યની તમામ હોસ્પિટલો દ્વારા દૈનિક એન્ટ્રી પણ કરવામાં આવે છે. સાથે જ રેબીજ ફ્રી સિટી માટે રાજ્ય કક્ષાએ તમામ જિલ્લાના વડા અને કોર્પોરેશનના વડાને પણ પત્ર દ્વારા જાણ કરવામાં આવે છે.

'હડકવા એક ગંભીર બીમારી છે અને તે ના થાય તે માટે નેશનલ રેબિશ કંટ્રોલ પ્રોગ્રામ કે જેમાં હડકવા વિરોધી રસી આપવામાં આવે છે. કૂતરું જ્યારે કરડે અથવા તો તેની લાળનો કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્ક થાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાને જઈને હડકવા વિરોધની રસી તાત્કાલિક મુકાવવી જોઈએ. હડકવા એ જીવલેણ રોગ છે જેની કોઈ સારવાર નથી માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે.' - ડો જીતેશ ખોરાસિયા, રોગચાળા નિયંત્રણ અધિકારી

હડકવાના ઈન્જેક્શન ક્યારે લેવા જોઈએ? કૂતરું કરડયા પછી તેના ઇન્જેક્શન લેવામાં શેડ્યુલની વાત કરવામાં આવે તો કૂતરું કરડે તે દિવસે પછી ત્રીજા, સાતમા, ચૌદમા, એકવીસમાં, અઠ્યાવીસમાં દિવસે અને બેતાલીસમાં દિવસે એમ મળીને 7 વખત હડકવા વિરોધી રસીના ડોઝ લેવા જોઈએ. જો માત્ર 2થી 3 ડોઝ લીધા બાદ ડોઝ લેવામાં ના આવે તો હડકવા થવાની શક્યતા વધી જાય છે માટે આ 7 ડોઝનો કોર્સ પૂર્ણ કરવો અનિવાર્ય છે. જો હડકવા થયો હોય તો તેના લક્ષણોમાં શરીર કઠણ બની જાય શરીરમાં સતત તાવ આવે અને ધ્રુજારી થાય તથા વ્યક્તિના મોઢામાંથી લાળ પણ ટપકે છે. વ્યક્તિ કૂતરાની જેમ ઘુરાટા પણ મારતો થઇ જાય છે. તો દર્દીને પાણીથી ખૂબ જ ડર લાગે છે. જે વ્યક્તિને હડકવા થઈ ગયો હોય તેને કંટ્રોલ કરવું પણ ખૂબ અઘરું હોય છે માટે હડકવા વિરોધી ઇંજેક્શનના 7 ડોઝ લેવા જરૂરી છે.

માત્ર કૂતરાનું કરડવું જ એક સમસ્યા નથી પરંતુ રખડતા કૂતરાની વેક્સીનેશન કરવામાં ન આવે તો તે કરડતા જ લોકોને હડકવા થઇ શકે છે. દુનિયામાં કુતરાથી થતાં હડકવાના કારણે થતા મોતના 36 ટકા તો એકલા ભારતમાં જ થાય છે. દર વર્ષે ભારતમાં 20 હજાર લોકોના હડકવાના કારણે મોત થાય છે.

  1. Animal Bites: 3 વર્ષમાં 14 લાખથી વધુ લોકોને કરડ્યાં શ્વાન, 115 લોકોના સાપના ડંખના કારણે મોત જ્યારે અન્ય પ્રાણીઓથી 30 નાગરિકોએ જીવ ગુમાવ્યા
  2. Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં રીંછની વસ્તી 30 થઈ, વન્ય જીવ પ્રેમીઓમાં આનંદ છવાયો
Last Updated :Oct 26, 2023, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.