ETV Bharat / state

એવિએશન સેક્ટરના વિકાસને મળશે વેગ, ગુજરાત સરકારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે હાથ મિલાવ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 12:07 PM IST

એવિએશન સેક્ટરના વિકાસને મળશે વેગ
એવિએશન સેક્ટરના વિકાસને મળશે વેગ

ગુજરાતમાં એવિએશન સેક્ટરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે MoU કરવામાં આવ્યા હતા. જે અનુસાર રાજ્ય સરકાર એરપોર્ટના વિકાસ માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડશે. જ્યારે એરપોર્ટ ઓથોરિટી એવિએશન ક્ષેત્રના વિકાસ માટે કામગીરી કરશે અને તેનો ખર્ચ ભોગવશે.

ગાંધીનગર : ગુજરાતમાં એરપોર્ટના વિકાસની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન થયું છે. ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વચ્ચે MoU કરવામાં આવ્યા છે. આ તકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ નિર્ણયથી રાજ્યમાં એવિએશન સેક્ટરના વિકાસ સાથે એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દ્વારા પ્રવાસન, રિજિયોનલ કનેક્ટિવિટી, વેપાર-ઉદ્યોગના નવા અવસર ઉભા થશે.

સરકાર અને એરપોર્ટ ઓથોરિટીએ હાથ મિલાવ્યો : રાજ્ય સરકાર દ્વારા એવિએશન સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, વેપાર-ઉદ્યોગ સહિત જોબ ક્રિએશનને વેગ આપવા એક મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્‍ટ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં MoU કરવામાં આવ્યા હતા.

એવિએશન ક્ષેત્રના વિકાસ અર્થે MoU : આ MoU અનુસાર ગુજરાત સરકાર એરપોર્ટ ડેવલપમેન્ટ માટે જરૂરિયાત મુજબની જમીન, વીજળી, પાણી, ફાયર સિક્યુરિટી જેવી યૂટિલિટી સેવાઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પૂરી પાડશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાજ્યના ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્‍ટની કામગીરી તથા વિસ્તરણની કામગીરી કરશે અને તે માટે થતો ખર્ચ પણ ભોગવશે. આ ઉપરાંત એરપોર્ટ ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કામગીરી, માસ્ટર પ્લાનિંગ, ડિઝાઇનિંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે.

વિશેષ સમિતિની રચના : આ કામગીરી તથા MoU ની અન્ય બાબતોના સંચાલન માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેનની અધ્યક્ષતામાં 10 સભ્યોની રાજ્યસ્તરીય સંકલન સમિતિની રચના કરવામાં આવશે. આ કમિટીમાં ગુજરાત સરકાર નાગરિક ઉડ્ડયન સચિવ, મહેસુલ સચિવ, સિવિલ એવિએશન ડિરેક્ટર તથા ગુજસેઈલ CEO સહિત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.

11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે : રાજ્યમાં 11 જેટલા સ્થળોની સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે વિકાસ કરવા માટે નક્કી કરવામાં આવ્યા છે. તેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા તથા પાલીતાણાનો સમાવેશ થાય છે. આ સ્થળોએ ટેકનિકલ ફિઝિબિલિટી અને જમીનની ઉપલબ્ધિની સંભાવનાઓ ચકાસીને તેના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરપોર્ટ ડેવલપ કરવા માટે જરૂરીયાત મુજબ આગળ વધશે.

રાજ્ય વ્યાપી વિકાસ ઝુંબેશ : આ ઉપરાંત જે હયાત એરપોર્ટમાં વિસ્તરણની જરૂરિયાત છે, તેમાં ભાવનગર, કંડલા, પોરબંદર, સુરત, વડોદરા અને કેશોદના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એરપોર્ટ સમાવિષ્ટ છે. મહેસાણા, અમરેલી અને માંડવીની રાજ્ય સરકારની એર સ્ટ્રીપના વિસ્તરણની પણ જરૂરિયાત સુનિશ્ચિત કરવામાં આવી છે. ઉપરાંત વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી તથા જમીનની ઉપલબ્ધતાને આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની શક્યતાઓની ચકાસણી કરશે.

મુખ્ય મહેમાન : નાગરિક ઉડ્ડયન અને ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂત તથા રાજ્યના ઉદ્યોગપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ગુજરાત સરકાર વતી ગુજસેઈલ CEO અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વતી એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે હસ્તાક્ષર કર્યા હતા. ઉપરાંત મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિત ઉદ્યોગ વિભાગ અને પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવ ઉપસ્થિત રહ્યા હતા.

  1. ગુજરાત કેબિનેટ બેઠકમાં વાઈબ્રન્ટની સમીક્ષા, પાર્ટનર દેશની સંખ્યામાં વધારો થશે
  2. આગામી 5 વર્ષમાં આઈટી નિકાસને 25,000 કરોડ સુધી વધારશે ગુજરાત સરકાર, જાણો વૃદ્ધિ દર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.