ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે રાજ્ય સરકારે (Gujarat Vidhansabha Monsoon Session) ગૃહને માહિતી આપી હતી કે, છેલ્લા ત્રણ વર્ષમાં 59.81 લાખ ખેડૂતોને રૂપિયા 6,624 કરોડની સહાય પેકજ દ્વારા ચૂકવણી કરાઈ છે. ગાંધીનગર ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ બનાસકાંઠા અને જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના કારણે ખેતીના પાકને થયેલ નુકશાન સામે સહાય બાબતે પ્રશ્ન પુછ્યો હતો.
રાઘવજી પટેલનું નિવેદનઃ આ મામલે પ્રત્યુતર આપતા વિધાનસભા ગૃહમાં રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે (Raghavji Patel Gujarat) જણાવ્યુ કે, ગુજરાત સરકારે આ વર્ષે ત્રણ હજાર કરોડ રૂપિયાના મૂલ્યની જણસીઓની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે. ખેડૂતોને સિંચાઈની પુરતી સગવડ મળી રહી છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા, પૂર જેવા સમયે ખેડૂતોને નુકશાન સામે વળતર પણ રાજ્ય સરકાર દ્વારા સમયસર પૂરું પાડવામાં આવે છે.રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતોને જુદી જુદી કુદરતી આફતો સામે ખેતીના પાકોને થયેલ નુકશાન સામે 59.81 લાખ ખેડૂતોને રૂ.6624.26 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.