દાદરા નગર હવેલી અને દમણ અને દીવના ઇતિહાસ પર એક પંજાબીએ સંશોધન કરી લખ્યું પુસ્તક

author img

By

Published : Jan 25, 2021, 4:53 PM IST

દાદરા નગર હવેલી

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવને ગત વર્ષે 26મી જાન્યુઆરીએ એક પ્રશાસન હેઠળ લાવવામાં આવ્યું છે. જેના એક વર્ષના ઉપક્રમે ખાસ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પોર્ટુગીઝ શાસન હેઠળના ઇતિહાસને પુસ્તકરૂપે પ્રગટ કરનાર પંજાબના કિશનચંદ સેઠીએ ETV BHARAT સાથે સંઘ પ્રદેશના ઇતિહાસની ઝાંખી કરાવી હતી.

  • પંજાબના કે. સી. સેઠીએ સંઘપ્રદેશના ઇતિહાસથી લોકોને અવગત કરાવ્યા
  • 520ના પોર્ટુગીઝ-ભારતીય શાસનને પુસ્તકમાં આલેખ્યું
  • સંઘપ્રદેશના મર્જર દિવસે લોકોએ પોર્ટુગીઝ શાસનનો ઇતિહાસ જાણ્યો

દમણ : સંધ પ્રદેશમાં 2 દિવસીય નિર્માણ દિવસની ઉજવણીનું આયોજન પ્રશાસને કર્યું છે. આ આયોજન હેઠળ બૂક ફેસ્ટિવલ, સેન્ડ આર્ટ, ફ્લાવર પાર્ક સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. હાલનું દમણ અને તે પહેલાના 522 વર્ષના દમણનો ઇતિહાસ કેવો હતો? તે અંગે મૂળ પંજાબના અને હાલ દમણને પોતાની કર્મભૂમિ બનાવનારા કે. સી. સેઠીએ અંગ્રેજી-ગુજરાતી ભાષામાં પુસ્તકરૂપે રજૂ કર્યો છે.

ETV BHARAT સાથે દમણના ઇતિહાસ અંગે વાત કરતા કિશનચંદ સેઠીએ જણાવ્યું હતું કે, તેમને મૂળ પંજાબના અને ત્યાંથી નોકરી અર્થે 1986માં દમણ આવ્યા હતા. દમણના પોર્ટુગીઝ સમયના કિલ્લા, પોર્ટુગીઝ સમયના બંધકામોને જોઈને તેના ઇતિહાસને જાણવાની જિજ્ઞાસા જાગી હતી. તે સમયે કોઈએ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પર વિસ્તૃત માહિતી આપતું લખાણ લખાયું ન હતું.

દાદરા નગર હવેલી અને દમણ અને દીવના ઇતિહાસ પર એક પંજાબીએ સંશોધન કરી લખ્યું પુસ્તક

સંઘ પ્રદેશના ઇતિહાસ પર કોફી ટેબલ બૂક તૈયાર કરી

આ ભગીરથ કાર્ય કિશનચંદે ઉપાડ્યું હતું. જેમાં સૌપ્રથમ 2016માં દાદરા નગર હવેલી અને દમણ અને દીવ તેમજ ગોવા પર પોર્ટુગીઝ શાસન પર અંગ્રેજીમાં કોફી ટેબલ પુસ્તક લખ્યું હતું. જેનું અનાવરણ દમણના પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું. આ પુસ્તકની એક નકલ પોર્ટુગલના PMને મળતા તેમને ગોવામાં કે. સી. સેઠીને બોલાવી પોર્ટુગીઝ ભાષામાં તેને ટ્રાન્સલેટ કરવા જણાવ્યું હતું.

ગુજરાતી નહીં જાણતા હોવા છતા ગુજરાતીમાં ભાષાંતર કર્યું

આ વાતથી સેઠીને લાગ્યું કે, ગુજરાતી ભાષામાં પણ પુસ્તક લખવુ જોઈએ, એટલે તેમને ગુજરાતી ભાષામાં પણ સંઘપ્રદેશના ઇતિહાસને લખ્યો છે. પોતે નોન ગુજરાતી હોય 2 વર્ષના અથાગ મહેનત બાદ અંગ્રેજીનું ગુજરાતીમાં અનુવાદ કરી આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકની પ્રવાસીઓમાં અને સ્થાનિકોમાં ઘણી માગ જોવા મળી છે.

દાદરા નગર હવેલી
520ના પોર્ટુગીઝ-ભારતીય શાસનને પુસ્તકમાં આલેખ્યું

પોર્ટુગીઝોનું તોફાનમાં ભટકેલું વહાણ દમણ આવ્યું

પોર્ટુગીઝ ઇતિહાસ અંગે કે. સી. સેઠીએ જણાવ્યું હતું કે, 1458માં વાસ્કો ડી ગામા ભારતના કાલિકટ બંદરે ઉતર્યા બાદ 1510માં તેમને ગોવા પર કબ્જો જમાવ્યો હતો. જે બાદ 1535માં દીવમાં પોર્ટુગીઝ શાસન સ્થાપ્યું હતું. જ્યારે દમણ માટે પોર્ટુગીઝોએ કોઈ લડાઈ લડી નથી. દમણ નજીકના દરિયામાં ભયાનક તોફાનમાં પોર્ટુગીઝ સૈનિકોનું એક વહાણ ભટક્યું અને તે દમણના દરિયા કિનારે પહોંચ્યું હતું. જે બાદ દમણ પર 1958માં પોર્ટુગીઝોએ કબ્જો જમાવ્યો હતો.

પોર્ટુગીઝ સમયનું બાંધકામ આજે પણ અડીખમ

દમણમાં પોર્ટુગીઝ શાસનનો ભવ્ય કિલ્લો, નગરપાલિકા ભવન, ચર્ચ આજે પણ અડીખમ છે. વર્ષ 2020ની 26મી જાન્યુઆરીથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને મર્જર કરી એક પ્રશાસન હેઠળ લાવવામાં આવ્યું છે.

હાલમાં દમણનો અનેકગણો વિકાસ થયો છે

દમણના હાલના પ્રશાસકે દમણ-દીવ દાદરા નગર હવેલીની કાયાપલટ કરી છે. દમણમાં અનેક વિકાસના કાર્યો સાથે દમણ બીચ પર અનેક નવી સુવિધાઓમાં વધારો કર્યો છે. દમણ આવતા પ્રવાસીઓ માટે હાલ દમણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.