ETV Bharat / state

રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ ડાંગ જિલ્લાની મુલાકાત લીધી

author img

By

Published : Jun 1, 2020, 12:45 AM IST

રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ ડાંગ જિલ્લાની મુલાકાત લીધી
રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ ડાંગ જિલ્લાની મુલાકાત લીધી

રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રધાને જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના નાગરિકો પાણીની મુશ્કેલી ન અનુભવે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે.

ડાંગ : રાજ્યના પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન પ્રધાન કુંવરજી બાવળીયાએ શનિવારે ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે સૌપ્રથમ સરકીટ હાઉસ આહવા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી, સાંસદ કે.સી.પટેલ, માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિત, વિજયભાઇ પટેલ, કલેકટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં અધિકારીઓ અને પદાધિકારીઓની બેઠકને સંબોધી જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ તકે પ્રધાન બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના નાગરિકો પાણીની મુશ્કેલી ન અનુભવે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે.

જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓના સંકલનને કારણે હાલમાં ડાંગ જિલ્લાના ગામોમાં પીવાના પાણીની મુશ્કેલી નહીવત છે. તેમ છતા વાસ્મોની યોજનાથી પીવાના પાણીના કનેકશન આપવામાં આવશે. હાલમાં જ ડાંગ જિલ્લો કોરોના મુક્ત થતા જિલ્લાના વહીવટી તંત્ર તેમજ પદાધિકારીઓને બાવળીયાએ અભિનંદન આપ્યા હતા.

પ્રધાન કુંવરજી બાવળીયાએ બેઠક બાદ ભીસ્યા પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી હતી. આહવા નગરને પાણી પુરૂ પાડતી આ યોજનાનું નિરિક્ષણ કર્યા બાદ પાણી પુરવઠા અધિકારીઓને તાકીદ કરી હતી કે ગ્રામજનોને પાણી મળી રહે તે રીતે વાસ્તવિક પ્લાન જ કરવા. જેથી સરકાર દ્વારા અમલમાં મુકાતી યોજના સફળ બની રહે અને લોકોને પાણીનો કોઇ પ્રશ્ન ન રહે.

આ તકે મુખ્ય ઈજનેર બી.બી.પટેલે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારના લોકોને પીવાના પાણીની ફરિયાદ અંગે સરકાર દ્વારા ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર 1916 શરૂ કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો પીવાના પાણીને લગતી ફરિયાદો જેમ કે હેન્ડપંપ રીપેરીંગ, મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરિયાદ નોંધાવી શકશે તથા પાઇપલાઇનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ ફરિયાદ નોંધાવી શકાશે.

કાર્યપાલક ઈજનેર ડી.બી.પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં કુવાઓ દ્વારા પણ પાણી મળી રહે છે, પરંતુ ઉનાળાની સિઝનમાં પાણીના સ્તર નીચા જવાના કારણે તે માત્ર 60 ટકા જેટલુ રહે છે. ઉપરાંત વાસ્મોના યુનિટ મેનેજર એચ.બી.ઢીમ્મરે જણાવ્યું હતું કે કુલ 52 હજાર પરિવારો પૈકી 38 હજાર પરિવારોને ધરે ધરે કનેકશનથી પાણી પુરૂ પાડવામાં આવે છે.

આ તકે નાયબ પોલીસ અધિક્ષક જે.આઇ.વસાવા, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, મામલતદાર ધવલ સંગાડા, નાયબ કાર્યપાલક ઈજનેર દિપ્તીબેન વસાવા સહિત પાણી પુરવઠા કચેરી સ્ટાફ અને સમિતિ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસ દરમિયાન પ્રધાને નડગખાદી ગામની મુલાકાત લઇ પાણીની સવલતો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.