ગિરિમથક સાપુતારા ખાતે રચાયો પ્રકૃતિ અને પ્રગતિનો સંગમ

author img

By

Published : Jul 31, 2022, 2:14 PM IST

Updated : Aug 10, 2022, 5:49 PM IST

Megh Malhar Parv 2022 :ગિરિમથક સાપુતારા ખાતે રચાયો પ્રકૃતિ અને પ્રગતિનો સંગમ

ડાંગના સાપુતારા ખાતે મેઘ મલ્હાર પર્વ 2022નો (Megh Malhar Parv 2022) પ્રારંભ થયો છે. 30 જુલાઈથી શરૂ થયેલો મહોત્સવ 30 ઓગસ્ટ સુધી ચાલશે. સતત એક માસ સુધી ચાલનારા મેઘ મલ્હાર પર્વ દરમિયાન પર્યટકોને અનેકવિધ મનોરંજક પ્રવૃત્તિઓ માણવા મળશે.

ડાંગ: ખુબસુરત સાપુતારાની ગોદમા આવતા સહેલાણીઓ માટે રાજ્ય સરકારે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ સ્થળને વધુ લોકભોગ્ય બનાવ્યુ છે. કોરોના બાદ નવા સાજ શણગાર સાથે સજ્જ ગિરિમથક સાપુતારા ખાતે મેઘ મલ્હાર પર્વનો (Megh Malhar Parv 2022) શાનદાર પ્રારંભ કરાયો છે. સતત એક માસ સુધી ચાલનારા 'મેઘ મલ્હાર પર્વ' દરમિયાન પર્યટકોને અનેકવિધ મનોરંજક પ્રવૃત્તિઓ માણવા મળશે.

મેઘ મલ્હાર પર્વ 2022 : ભીના ભીના વરસાદી વૈભવ વચ્ચે જ્યારે ગિરિમથક સાપુતારાનુ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે, સહ્યાદ્રિની આ ગિરિકન્દ્રાઓ કાશ્મીરની વાદીઓથી જરા પણ ઉતરતી ભાસતી નથી, તેમ સાપુતારાની સુંદરતાનુ વર્ણન કરતા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ પ્રધાન પૂરણેશ મોદીએ મેઘ મલ્હાર પર્વ 2022 ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યુ હતુ.

આ પણ વાંચો: હરિયાળી તીજ 2022: જાણો આ દિવસનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજનવિધિ વિશે...

મેઘ મલ્હાર પર્વ પર અનેક સ્પર્ધાઓ કરાયુ આયોજન : ચોમાસામા નવપલ્લવિત થઈ ઉઠતી ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકોને મેઘમલ્હાર પર્વ દરમિયાન સાપુતારાના મુખ્ય ડોમ ખાતે શનિ, રવિની રજાઓ સહિત જાહેર રજાઓના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળશે. જન્માષ્ટમી પર્વ પર દહીં હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ, તથા નેચર ટ્રેઝર હન્ટના વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ છે. તેમજ સમગ્ર પર્વ દરમિયાન આર્ટ ગેલેરી વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટટિંગ, વારલી પેઇન્ટિંગ, યોગા ક્લાસીસ, કવીઝ કોન્ટેસ્ટ, સેમિનાર, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, ફોટોગ્રાફી કોમ્પિટિશન, વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક પ્રવૃત્તિઓ વિગેરેમાં પણ પર્યટકોને ભાગ લેવાનો મોકો મળશે.

મેઘ મલ્હાર પર્વનુ સુભગ મિલન થતા સોનામા સુગંધ ભળી : પૂણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના ચોમાસાના માહોલને માણવા સાથે મેઘ મલ્હાર પર્વનુ સુભગ મિલન થતા અહીં સોનામા સુગંધ ભળી છે. તેમ જણાવતા પ્રધાને પ્રકૃતિ સાથે પ્રગતિનો સુમેળ સાધીને રાજય સરકારે સાપુતારા સહિત સહ્યાદ્રિની ગિરિમાળામા આવેલા દરેકે દરેક નૈસર્ગીક સ્થળોએ, પર્યટકોને માટે જરૂરી એવી સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, તેમના અહીંના પ્રવાસને જીવનભરનુ સંભારણુ બનાવવાની તક પુરી પાડી છે તેમ ઉમેર્યું હતુ.

દંડકારણ્યની પાવન ભૂમિ : જ્યા પ્રભુ શ્રી રામે ભ્રાતા લક્ષ્મણ સાથે વિચરણ કર્યું હોય, પાંડવોએ પણ અહીં આશ્રય લીધો હોય, અને માં શબરીએ પ્રભુ શ્રી રામની પ્રતિક્ષામા જ્યા આખુ આયુષ્ય પૂરુ કર્યું હોય, તેવી આ દંડકારણ્યની પાવન ભૂમિમા આજે આપણે, એક પૌરાણિક સંસ્કૃતિ, પ્રકૃતિ, અને પ્રગતિના ત્રિવેણી સંગમમા સ્નાન કરી રહ્યા છે. પ્રધાન પૂરણેશ મોદીએ દેશની અને રાજ્યની સરકારે આવા પાવન સ્થળોના વિકાસ માટે કમર કસી છે તેમ જણાવ્યુ હતુ.

ડાંગ જિલ્લાને અનોખી ઓળખ આપતા ગીરા અને ગિરમાળ વોટરફોલ : ગિરિમથક સાપુતારા સહિત ડાંગ જિલ્લાને અનોખી ઓળખ આપતા ગીરા અને ગિરમાળ વોટરફોલ, પંપા સરોવર અને શબરી ધામ, કળમ્બડુંગર અને ડોન, અંજનકુંડ અને પાંડવ ગુફા, માયાદેવી અને તુલશિયાગઢ, મહાલ કિલાદ અને દેવીનામાળ જેવી ઇકો ટુરિઝમ કેમ્પ સાઈટ, બોટાનીકલ ગાર્ડન અને નેશનલ પાર્ક જેવા આકર્ષણો પ્રવાસીઓને ડાંગ તરફ આકર્ષી રહ્યા છે. ત્યારે અહીં પ્રવાસન પ્રવૃતિઓના વિકાસ સાથે, સ્થાનિક રોજગારી સર્જનને પણ રાજ્ય સરકારે નવી દિશા દેખાડી છે.

પ્રવાસીઓની સુખ સુવિધામા વધારો કરવામા આવ્યો : રાજ્ય સરકાર દ્વારા હમણા જ થોડા સમય અગાઉ ગવર્નર હિલના વિકાસની કામગીરી પાછળ રૂપિયા 6 કરોડ 19 લાખનો ખર્ચ કરાયો હતો. જ્યારે સાપુતારા લેકની આસપાસના વિકાસ કામો માટે કુલ રૂપિયા 24 કરોડનો ખર્ચ કરીને, પ્રવાસીઓની સુખ સુવિધામા વધારો કરવામા આવ્યો છે.

ટુરિસ્ટ સર્કિટ વિકસાવવમા આવશે : પૂરણેશ મોદીએ જણાવ્યું હતું કે, એટલુ જ નહીં, સાપુતારાના સર્વાંગી વિકાસને ધ્યાને લેતા અહીં એક ડાંગ ટુરિસ્ટ સર્કિટ વિકસાવવાનુ પણ વિચારાધીન છે. રાજ્યના સૌથી હરિયાળા પ્રદેશ એવા ડાંગ જિલ્લાના ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો ધરાવતા પ્રવાસન સ્થળોને સાંકળી લઈને આગામી ત્રણ વર્ષમાં આ ટુરિસ્ટ સર્કિટ વિકસાવવમા આવશે.

ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની નવી ઊંચાઈ સર કરી : છેલ્લા 20 વર્ષોમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની નવી ઊંચાઈ સર કરી છે. ગુજરાતમા પ્રવાસીઓને રણ, સમુદ્ર, વન, તેમજ હીલ સ્ટેશન જેવા પ્રવાસન આકર્ષણ સહિત પવિત્ર યાત્રાધામો પણ જોવા મળે છે. જેના લીધે દેશ-વિદેશથી ગુજરાતમા આવતા પ્રવાસીઓની સંખ્યામા ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. રાજ્ય સરકાર પ્રવાસન અને યાત્રાધામના વિકાસ માટે પ્રતિબધ્ધ છે. આ વર્ષના બજેટમા પ્રવાસન અને યાત્રાધામના વિકાસ માટે રૂપિયા ૪૬૫ કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરવામા આવી છે. આદિજાતી સમાજના નાગરિકો માટે માં શબરીની સ્મૃતિમા શ્રી રામ જન્મભૂમિ શબરી સ્મૃતિ યાત્રા માટે રૂપિયા એક કરોડની જોગવાઈ પણ કરી છે.

2015 મા પ્રથમવાર રજુ કરવામા આવી હતી ટુરિઝમ પોલીસી : રાજ્ય સરકારે પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપતા વિકાસનની નવી ઊંચાઈઓ સર કરી છે. છેલ્લા બે દાયકાથી રાજ્યમા પ્રવાસીઓની સંખ્યામા ઉત્તરોત્તર વધરો થતો રહ્યો છે. વર્ષ 2015 મા પ્રથમવાર ટુરિઝમ પોલીસી રજુ કરવામા આવી હતી. પરિણામે પ્રવાસન ક્ષેત્રે વિશાળ માત્રામા મૂડી રોકાણ પ્રાપ્ત થવાથી માળખાકીય સુવિધાઓનો સરળતાથી વિકાસ થયો છે. પ્રથમ પોલીસીની મુદત પૂર્ણ થતા, જાન્યુઆરી 2021મા નવી ટુરિઝમ પોલિસીની જાહેરાત પણ કરી દેવામા આવી છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધારવા માટે હોમસ્ટે યોજનામા પ્રસ્તાવિત સુધારાઓ પણ કર્યાં છે.

પર્વને માણવા દુનિયાના 29 દેશોનાં પર્યટકો પધાર્યા : ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ભારત-પાકિસ્તાન સરહદ સીમાદર્શન-નડાબેટ, જૂનાગઢ ઉપરકોટ, ડાઈનાસોર મ્યુઝિયમ-રૈયોલી, આંબરડી સફારી પાર્ક સાસણગીર પ્રોજેક્ટ, સાપુતારા પ્રોજેક્ટ, બૌદ્ધ સરકિટ સહિત વિવિધ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામા આવી રહ્યો છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન મેળાઓ અને ઉત્સવોનુ પણ ખુબ જ સુંદર આયોજન કરવામા આવે છે. જેમા દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામા પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. સાપુતારાના મેઘ મલ્હાર પર્વને માણવા પણ દુનિયાના 29 દેશોના પર્યટકો પધાર્યા છે.

પ્રવાસીઓની સંખ્યામા વધારો થવાથી ગ્રામીણ સ્તરે રોજગારીમાં વધારો થશે : પ્રવાસીઓની સંખ્યામા વધારો થવાને લીધે ગ્રામીણ સ્તરે રોજગારીમા પણ વધારો થયો છે. આદિવાસી સમાજના નાગરિકો અને મહિલાઓને રોજગારી પ્રાપ્ત થતા તેઓ આર્થિક રીતે પગભર બનતા, તેમના જીવનધોરણના સ્તરમા પણ સુધારો થયો છે. કોવિડ 19ને કારણે પ્રવાસન ઉદ્યોગ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યુ છે, પરંતુ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલાઓ લીધા છે. આપણા લોક લાડીલા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસન વિકાસના દ્રષ્ટિકોણને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ એટલા જ ઉત્સાહથી આગળ ધપાવી રહ્યા છે. વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ પ્રત્યેનો તેમનો સકારાત્મક અભિગમ અને વ્યક્તિગત રસ આ બાબતનુ પ્રમાણ છે. સુરક્ષિત અને સલામત યાત્રા ગુજરાતની વિશેષ ઓળખ છે. પ્રવાસીઓની સુરક્ષા, સુવિધા અને આનંદનુ ધ્યાન ગુજરાત રાખે છે, જેને કારણે પ્રવાસીઓની પહેલી પસંદ ગુજરાત બન્યુ છે. રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામે દેશ-વિદેશનના પ્રવાસીઓની પહેલી પસંદ ગુજરાત બન્યું છે. ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે અગ્ર હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મેઘ મલ્હાર પર્વ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો : સાપુતારા બોટિંગ કલબના પટાંગણમા યોજાયેલા મેઘ મલ્હાર પર્વ ઉદ્ઘાટન સમારોહમા ત્રણેય તાલુકા પંચાયતોના પ્રમુખઓ, ભાજપાના મહાપ્રધાનો, સહિત હોદ્દેદારો, કલેકટર ભાવિન પંડ્યા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, પ્રાયોજના વહીવટદાર કે.જે.ભગોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોશી, પ્રાંત અધિકારી આર.એમ.જાલંધરા સહિતના વહીવટી અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: કોળિયાકના દરિયે પાંચ પાંડવ સ્થાપિત નિષ્કલંક મહાદેવનો શું છે પ્રાચીન ઇતિહાસ

મેઘ મલ્હાર પર્વ 2022નો પ્રારંભ : મેઘ મલ્હાર પર્વ 2022ના પ્રારંભ સાથે સાપુતારા ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરાયેલા અંદાજીત રુપિયા ૨૪.૫૮ કરોડના વિવિધ પ્રકલ્પોનું પણ પ્રજાર્પણ કરાયુ છે. તે પૂર્વે રંગારંગ ઉદ્ઘાટન પરેડ પણ યોજાઇ હતી. મહાનુભાવો એ જે પ્રકલ્પનુ પ્રજાર્પણ કર્યું તેમા મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર, એડ્વેંચર પાર્ક, બોટિંગ જેટ્ટી એરિયા ડેવલપમેન્ટ, અને ફ્લોટિંગ જેટ્ટી હયાત લેકની ફરતે કેનોપીઝ, મોલ રોડના વિકાસની કામગીરી, મહાદેવ મંદિર પાસે પાર્કિંગ, માઇનોર બ્રીજ્સ, દુકાનો, ટીસીજીએલ શોપ્સનુ રિનોવેશન વિગેરેનો સમાવેશ થાય છે.

Last Updated :Aug 10, 2022, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.