આ ઈંટની ભઠ્ઠીના માલિકો અહીં ગેરકાયદેસર ઈંટનું ઉત્પાદન કરીને પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે. તો વળી ઘણા માથાભારે ભઠ્ઠીના માલિકો પોતાની ઉપર સુધીની લાગવગના કારણે સ્થાનિકનો બાનમાં લઈ રહ્યાં છે. અહીં ભઠ્ઠી માટે કોઈપણ પ્રકારની મંજુરી લીધા વિના કાયદેસરના ધારાધોરણનું ઉલ્લંઘન કરી ખેતીલાયક ફળદ્રુપ જમીનનું ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. છતાં પણ તંત્ર જાણે આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે.
આ ભઠ્ઠી માલિકો અહીંના સ્થાનિક ગરીબ આદિવાસી ખેડૂતોને નજીવું વળતર ચૂકવી ગેરકાયદેસર ઈંટનો વેપલો કરી રહ્યા છે. સરકારી બાબુઓની રહેમનજર અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓના અંગત સ્વાર્થ અને છુપા આશિર્વાદને કારણે લાંબા સમયથી ગેરકાયદેસર રીતે સરકારના તમામ નીતિનિયમો નેવે મુકી ઈંટની ભઠ્ઠીઓ ધમધમી રહી છે.ગેરકાયદેસર રીતે ચાલતી ઈંટની ભઠ્ઠીઓ સ્થાનિક લોકો, પ્રતિનિધિઓ, રાજકારણીઓ અને સરકારી અમલદારો માટે દુજાણી ગાય સમાન પુરવાર થાય છે. એટલે લોકોના આરોગ્ય અને પર્યાવરણને નુકસાન કરતા આ ભઠ્ઠી માલિકો સામે અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગેરકાયદેસર રીતે ધમધમતી ભઠ્ઠીઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રદુષણની સાથે-સાથે જમીનનો બગાડ કરવાની પ્રવૃત્તિ પણ ધમધમી રહી છે.
ભઠ્ઠી માલિકો પ્રદુષણ વિભાગની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે ઈંટની ભઠ્ઠી ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. એન્વાયરમેન્ટ ક્લીયરીંગ વિના ગેરકાયદેસર રીતે ધમધમતી ઈંટની ભઠ્ઠીના માલિકોએ કન્સલટન્ટ ટુ એસાઈન્ટમેન્ટ, સી.સી.ટી.ઈ. કન્સોલેટર કન્સેટીવ ઓથોરાઈઝેશનના નિયમોનો પણ ભંગ કરી રહ્યા છે. જ્યારે રાતે ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડા અને ધૂળની રજકણોને કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર પણ જોખમ ઉભું થઈ રહ્યું છે.
આ ઉપરાંત ભઠ્ઠીમાંથી 24 કલાક સતત આવતી દુર્ગંધથી પણ લોકો પરેશાન થઇ ચુક્યા છે. ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પણ લોકોની વાત એક કાને સાંભળીને બીજા કાને બહાર કાઢીને જતા રહે છે. દેવા પારડી વિસ્તારમાં ચાલતી આ ભઠ્ઠીની આસપાસ લગભગ 15થી 20 ઘરો આવેલા છે. અહીં ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા સરપંચ ચૂંટાઈ આવ્યા હતા. પણ કોઈ પણ મહિલા સરપંચ બને તો તેનો બધો કારભાર મહિલાનો પતિ સાંભળતો હોય અથવા તો તેનો પુત્ર કે બીજો કોઈ સગો સંબંધી સંભાળતો હોય છે. આ હિસાબે પરીયારીમાં પણ મહિલા સરપંચનો બધો કારભાર તેમનો પુત્ર સંભાળી રહ્યો છે. એટલે સ્થાનિક લોકો દ્વારા ભઠ્ઠીઓ બંધ કરવા બાબતે સરપંચના પુત્રને રજૂઆતો કરવામાં આવી હતી.
પરંતુ તેમની તમામ રજૂઆતો બાબતે આજ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે, આવા સંજોગોમાં પર્યાવરણને અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડતા આ ગેરકાયદેસર ઇંટની ભઠ્ઠીઓ સામે તાત્કાલિક ધોરણે પગલાં લઈને તેને બંધ કરવામાં આવશે કે નહિ તે તો હવે સમય જ બતાવશે.