ભાવનગરઃ એક તરફ દેશભરમાં લોકડાઉનના પગલે બધા ધંધા રોજગાર બંધ છે અને સાથે સાથે ખેતીના પાકનું પણ પૂરતું વેચાણ નથી થઈ રહ્યું. ખેડૂતોના ઘર અને ખેતરમાં તેના તૈયાર પાક પડ્યા છે. ત્યારે આજે સમી સાંજે સિહોર તાલુકાના કેટલાક ગામોમાં અચાનક પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે ખેડૂતોનો તૈયાર પાક વેંહચી શકતા નથી. કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને પાક પલળતા ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ભર ઉનાળે જાણે ઢળતી સાંજે અષાઢી માહોલ જામ્યો હોય તેવું વાતાવરણ સિહોરમાં જોવા મળી રહ્યું છે.
સમીસાંજે આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો. સિહોર તાલુકાના મઢડા, બુઢણા ટાણા ભોલાદ નેસડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. કમોસમી વરસાદને લઈને ખેડૂતના કેરી, બાજરી, જુવાર તલ જેવા ઉનાળુ પાકને મોટું નુકસાન થયું હતું. એક તરફ લોકડાઉનને લઈને ખેડૂતોના પાકનો પૂરતો ભાવ મળતો નથી. ત્યારે, બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતો પર મુશ્કેલીઓનો ભાર વધ્યો હતો. ઈશ્વર જાણે જગતના તાત પર રુઠયો હોય એવું લાગી રહ્યું છે.