બનાસકાંઠા જિલ્લાના ત્રણ ગામોને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરાઇ

author img

By

Published : May 29, 2020, 4:27 PM IST

three villages of Banaskantha district as PM ideal villages

બનાસકાંઠા જિલ્લાના ત્રણ ગામોને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી કરવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિની 50 ટકાથી વધુ વસ્તી ધરાવતા વડગામ તાલુકાના બાદરપુરા, વાવ તાલુકાના જોરડીયાલી અને થરાદ તાલુકાના ચુડમેર ગામમાં વિશેષ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, આ ગામોને આદર્શ ગ્રામ તરીકે વિકસાવવાની કામગીરી જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠાઃ જિલ્લાના ત્રણ ગામોને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી કરવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિની 50 ટકાથી વધુ વસ્તી ધરાવતા વડગામ તાલુકાના બાદરપુરા, વાવ તાલુકાના જોરડીયાલી અને થરાદ તાલુકાના ચુડમેર ગામમાં વિશેષ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ ગામોને આદર્શ ગ્રામ તરીકે વિકસાવવાની કામગીરી જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પાલનપુરમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં આ ત્રણ ગામોમાં પીવાના પાણી અને સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, સામાજિક સુરક્ષા, ગ્રામીણ માર્ગો અને ગૃહ નિર્માણ, વીજળી અને સ્વચ્છ બળતણ, કૃષિ પધ્ધતિ વગેરે નાણાંકીય બાબતો, ડીઝીટાઇઝેશન તેમજ રોજગાર અને કુશળતા વિકાસ પર હાથ ધરાયેલા કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ જણાવ્યું કે, ચોમાસું નજીક છે એટલે સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત કામો પૂર્ણ કરીએ. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદ થયેલા ગામોમાં અનુસૂચિત જાતિનો વિસ્તાર માળખાકીય સુવિધાઓ તેમજ વિકાસના કામોથી વંચિત ન રહે તેની તકેદારી રાખી આ વિસ્તારના કામોને અગ્રીમતાના ધોરણે પુરા કરીએ. ગામના વિકાસ માટે ખુટતી કડીઓ પુરી કરવા તથા અનુસૂચિત જાતિના વિસ્તારમાં રહેતા લોકોને યોજનાનો મહત્તમ લાભ મળે તેની કાળજી રાખવા જણાવ્યું હતું. તેમણે ગામલોકોની જરૂરીયાત જાણવા દરેક પરિવારનો વ્યક્તિગત સંપર્ક કરી સર્વે કરવા અધિકારીઓને જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાના સભ્ય સચિવ અને અ. જા. કલ્યાણ ખાતાના નાયબ નિયામક એચ. આર. પરમારે યોજનાની માહિતી આપતાં જણાવ્યું કે, આ યોજના હેઠળ ગામના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરાયેલા ગામને ગામદીઠ રૂપિયા 21 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. જેમાંથી રૂપિયા 20 લાખ અધૂરા કામોના વિકાસ માટે અને 1 લાખની રકમ વહીવટી ખર્ચ માટે વાપરવામાં આવશે. તેમણે કહ્યું કે, જે ગામ દ્વારા સમયમર્યાદામાં કામ પુરૂ કરવામાં આવશે તેવા ગામોને બીજા તબક્કામાં 10 લાખ રૂપિયા વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે. તેમજ પરમારે વધુમાં કહ્યું કે, આ યોજના હેઠળ ઉત્તમ કામગીરી કરનારા ગામોને રાજય અને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ઉત્તમ કામગીરી કરનારા ત્રણ ગામોને દરેકને ૫ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે, જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામનારા ત્રણ ગામોને ૧૦ લાખ રૂપિયાનું ઇનામ એનાયત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ યોજનાના અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને સંબંધિત ખાતાના 17 જેટલાં અધિકારીઓ અને ગ્રામ્યકક્ષાએ સરપંચના અધ્યસ્થાને 9 જેટલાં કર્મચારીઓની સમિતિ બનાવવામાં આવી છે. જે આ કામગીરી કરી સમયાંતરે કામગીરીનો અહેવાલ સુપ્રત કરશે.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર એમ.એમ.ગુપ્તા, વાસ્મોના મેવાડા, નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી મુકેશ ચાવડા સહિત સંબંધિત કચેરીના અધિકારીઓ, સરપંચો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.