બનાસકાંઠા : જિલ્લામાંથી મોટી સંખ્યામાં છાત્રો ચાઈના સહિતના દેશ તેમજ દેશના અન્ય રાજ્યોમાં અભ્યાસ અર્થે ગયા હતા. જો કે, કોરોના વાઈરસની મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવતાં મોટાભાગના છાત્રો જે તે સ્થળે ફસાઈ ગયા છે. તેમજ પોતાને વતનમાં પરત લાવવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે. જ્યાં કર્ણાટકમાં ફસાયેલા છાત્રોએ પણ પોતાને વતનમાં પરત લાવવા માટે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. આથી સાંસદે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાને પત્ર લખતાં તેમણે ત્વરિત વ્યવસ્થા કરી હતી.
બનાસકાંઠા તેમજ ગુજરાતના છાત્રોનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરી સોશ્યિલ ડિસ્ટન્સ સાથે ત્રણ બસોમાં તેમના વતનમાં મોકલ્યા હતા. જેના પગલે આ છાત્રોના પરિવાજનોમાં આનંદ પ્રસરી ગયો હતો. કર્ણાટકની મેડિકલ કોલેજમાં ગુજરાતના કુલ 52 છાત્રો અભ્યાસ કરે છે. જેમાં બનાસકાંઠાના 30 છાત્રો કોરોના વાઈરસના કારણે ફસાઈ જતાં બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલને ટેલિફોન ઉપર સંપર્ક કર્યો હતો. સાંસદે વજુભાઇ વાળાને પત્ર લખતાં તેમણે ત્વરિત વ્યવસ્થા કરી હતી. આ માટે છાત્રોએ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાનો આભાર માન્યો હતો.