બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ

author img

By

Published : Aug 26, 2021, 7:52 PM IST

Banaskantha News

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પણ વરસાદ ન થતા (Lack of rainfall in Banaskantha) ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખેતરોમાં કરેલું વાવેતર પણ હવે વરસાદ ન થતા ઉભો પાક બળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોએ લાખો રૂપિયાનું નુકસાન (Crop damage in Banaskantha) વેઠવાનો વારો આવ્યો છે.

  • બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા નુકસાન
  • નહિવત વરસાદને કારણે ચોમાસું પાકમાં મોટું નુકસાન
  • પાણી વગર ખેડૂતોના ખેતરો બન્યાં સૂકા

બનાસકાંઠા: જિલ્લાના ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી આપત્તિઓનો સામનો કરતો આવ્યો છે. અતિવૃષ્ટિ હોય કે પછી અનાવૃષ્ટિ, તીડ આક્રમણ હોય કે પછી ઈયળોનો ઉપદ્રવ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને તો નુકસાન વેઠવાનો જ વારો આવે છે. આ વર્ષે પણ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો માત્ર 25 ટકા જેટલો વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લામાં વરસાદ ઘટી રહ્યો છે. જેથી ભૂગર્ભજળ પણ ઊંડા થઈ ગયા છે. પાંચ વર્ષ પહેલા જ્યાં પાણી 500થી 700 ફૂટ એ મળતું હતું તે પાણી હવે 1200 ફૂટ સુધી પણ મળતું નથી. વળી છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ઘટવાના કારણે જિલ્લામાં બનાવેલા ત્રણ જળાશયો પણ અત્યારે ખાલીખમ થઈ ગયા છે અને આ વર્ષે પણ ચોમાસામાં નહિવત વરસાદ થતાં ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલો ભાગ પણ પાણીના અભાવે બળી રહ્યો છે. વરસાદના અભાવે બનાસકાંઠા જિલ્લામાં બાજરી, એરંડા અને મગફળી જેવા પાકને મહત્તમ નુકસાન (Crop damage in Banaskantha) થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસચારાની સર્જાઈ અછત

ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે બનાસકાંઠાને સહાય આપે તેવી માગ

વરસાદના અભાવે ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસુ વાવેતર પણ ઘટ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં 5.60 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું પરંતુ વરસાદ સમયસર ન થતાં મોટાભાગનો પાક બળવાની કગાર પર આવી ગયો છે. ખાસ કરીને ડીસા, લાખણી, વાવ, થરાદ, સુઈગામ અને દિયોદર પંથકમાં તો વરસાદ નામ પૂરતો જ થયો છે. તેવામાં મોટાભાગના ખેતરો લીલાછમ થવાને બદલે સૂકા ભટ્ટ બની ગયા છે. જોકે હવે વરસાદ આવે તો પણ બળી ગયેલો ભાગ પાછો ઊભો થઈ શકે તેમ નથી. જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. એક તરફ સરકાર 2022 માં ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહી છે ને બીજી તરફ બનાસકાંઠા ખેડૂતો અને ખેતરોની સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર બતાવે છે. જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલે પણ જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસામાં વરસાદ ન થતા પાકને મોટું નુકસાન થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ

આ પણ વાંચો: સાબરકાંઠા: મગફળીના વાવેતરમાં વરસાદ ખેંચાતા રોગચાળાની શરૂઆત

ગુજરાત સરકાર સામે આક્ષેપ

બનાસકાંઠા જિલ્લામાં હાલ વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. સતત વરસાદ ખેંચાતા (Lack of rainfall in Banaskantha) બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં હાલ પાક નિષ્ફળ થઇ રહ્યો છે. તેમ છતાં પણ હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતો નથી. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યું હતું કે ,સરકાર માત્ર વાતો જ કરે છે જિલ્લા માટે ગુજરાત સરકારે કશું જ વિચાર્યું નથી. જો વિચાર્યું હોત તો બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં નર્મદા નહેરમાં મારફતે પાણી નખાયું હોત પરંતુ સરકારે બનાસકાંઠા જિલ્લાવાસીઓ માટે કશું જ વિચાર કર્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.