ETV Bharat / state

અરવલ્લી: મોડાસાના શામપુરમાં ડુંગર પરની ક્વોરીથી ગામ લોકોનું જીવન બન્યું નર્કાગાર

author img

By

Published : Jun 24, 2021, 5:47 PM IST

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લાના શામપુર તથા દાવલી ગૃપ ગ્રામ પંચાયતની હદમાં ડુંગરની તળેટીમાં ક્વોરી બનાવવામાં આવી છે. જેમાંથી ખનીજ સંપત્તિનો નિકાસ કરવામાં આવી રહ્યો છે. ગામ લોકોનોઆક્ષેપ છે કે, પરવાનગી કરતા વધારે ખનન કરવામાં આવી રહ્યુ છે તેમજ રાત દિવસ ચાલતી ખનન અને વહન પ્રવૃતિથી શામપુર ગામજનોનું જીવન નર્કાગાર બની ગયુ છે. ક્વોરીમાંના પથ્થરો તોડવા અને બ્લાસ્ટ કરવાથી રાત દિવસ આજુબાજુના વિસ્તારમાં રહેતા રહેવાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

  • સતત બ્લાસ્ટથી ભૂગર્ભજળના સ્તર નીચા ઉતર્યા
  • ખેડુતોનો વિરોધ હોવા છતાં ખેતરોમાંથી રસ્તાઓ બનાવ્યા
  • જિલ્લા કલેકટર, ખાણ ખનીજ વિભાગ અરવલ્લી અને DSPને લેખીતમાં જાણ કરાઈ

અરવલ્લી: મોડાસા તાલુકાના શામપુર અને દાવલી ગ્રામ પંચાયતની હદમાં વર્ષો પહેલા પરવાનગી લઇ ક્વોરી બનાવામાં આવી હતી. જોકે કેટલાક વર્ષોથી આ ક્વોરીના મુળ ઇજારાદારે અન્ય કોઇ વ્યક્તિને પેટામાં આપી દીધી હોવાની માહિતી મળી છે. ગામ લોકોનો આક્ષેપ છે કે, પરવાનગીવાળા ક્ષેત્રફળ કરતા વધારે વિસ્તારમાં ખનીજ ખનન પ્રવૃતિ કરવામાં આવી રહી છે, તેમજ ખનીજ વહન કરી રહેલા વાહનોમાં રોયલ્ટી કરતા વધારે માલ ભરવામાં આવી રહ્યો છે. શામપુરમાંથી પસાર થતા રોજ 50થી 60 જેટલા ઓવર લોડ ડમ્પરોના કારણે સમગ્ર ગામના રસ્તા તુટી, ખાડા પડી ગયા હોવાથી ગામ લોકોને અવરજવરમાં પણ તકલીફ પડી રહી છે. દાવલી પંચાયત દ્રારા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં શામપુરમાંથી રાત દિવસ ભારે વાહનોની ધમધમાટ ચાલુ રહે છે. વાહનોની અવરજવરથી કાંકરા ઉડીને લોકોના ઘર સુધી આવે છે અને ગામ આખુ ધુળની ડમરીઓથી ઢંકાયેલું રહે છે.

ડુંગર પરની ક્વોરીથી શામપુરના લોકો પરેશાન

આ પણ વાંચો: પંચમહાલ: વલ્લવપુરમાં ચાલતી ગેરકાયદેસર માઇન્સથી ગ્રામજનો પરેશાન

દિવસ રાત બ્લાસ્ટ કરવા લોકોની ઉંધ હરામ

આ ઉપરાંત ક્વોરીમાં દિવસ રાત બ્લાસ્ટ કરવાથી લોકોની ઉંધ હરામ થઇ ગઇ છે. રાત્રી દરમ્યાન બ્લાસ્ટના કારણે બાળકો જાગી જાય છે અને વૃદ્વોની ઉંઘમાં પણ ખલેલ પહોંચે છે. સતત બ્લાસ્ટ થવાના પગલે શામપુર ગામના પાણીના સ્તર નીચા ઉતરી ગયા છે, જેથી ગામમાં આવેલા દસ જેટલા ખેતરોમાં હવે પાણીની સમસ્યા સર્જાઇ છે.

આ પણ વાંચો: આ ગામમાં રસ્તાના અભાવે ગ્રામજનો પરેશાન, પુનઃ આંદોલનની ઉચ્ચારી ચીમકી

લેન્ડ ગ્રેબીગ એક્ટ હેઠળ ફરીયાદ કરી

ક્વોરીના ઇજારેદારે ખનીજવહન કરવા માટે મળતી માહિતી અનુસાર ખેડુતોનો વિરોધ હોવા છતાં ખેતરોમાંથી બળજબરીથી રસ્તાઓ બનાવ્યા છે. જેના પરિણામે ખેતીને પણ નુકશાન થઇ રહ્યુ છે. જેના પ્રતિક વિરોધ રૂપે ગામ લોકોએ ખેતરોમાંથી પસાર થતા ડમ્પરોને રોકવા માટે આડસ પણ ઉભી કરી હતી. આ અંગે ખેડુતો દ્રારા લેન્ડ ગ્રેબીગ એક્ટ હેઠળ ફરીયાદ કરી હોવાની પણ માહિતી મળી છે. ગામના કેટલાક જાગૃત લોકોના જણાવ્યા અનુસાર કોઇ પણ ગામના 100 મીટરની ત્રિજ્યામાં ખનન પ્રવૃતિ માટે પરવાનગી આપવામાં આવતી નથી ત્યારે હવે ક્વોરીની પરવાનગી પર પણ પ્રશ્નો ઉભા થયા છે. ગામ લોકોએ આ અંગે નિષ્પક્ષ તપાસ થાય તે માટે જિલ્લા કલેકટર, ખાણ ખનીજ વિભાગ અરવલ્લી અને DSPને લેખીતમાં જાણ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.