અરવલ્લીઃ જિલ્લામાં બાયડ સ્થિત જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બહેનોના આશ્રમમાં 181 મહિલા અભયમ દ્વારા બિનવારસી માનસિક વિકલાંગ બહેનોને આશ્રમ સુધી પહોંચાડવામાં આવે છે. જેના ભાગ રૂપે ઓડિશા રાજ્યના જયંતિ દેવીને 3/11/2019ના રોજ 181 મોડાસા દ્વારા બાયડ આશ્રમ લાવવામાં આવ્યા હતા.
10 મહિના પહેલા પરિવારથી વિખુટા પડેલા બહેનને આશ્રમમાં લાવવામાં આવ્યા, ત્યારે તેમની માનસિક સ્થિતિ સારી ન હતી. જો કે, આશ્રમમાં લાગણી, પોતાનાપણું, હૂંફ, બે ટાઈમ ભોજન અને માનસિક રોગની સારવાર મળતા ઘર પરિવારનું સરનામું બોલતા થયા હતા.
ત્યારબાદ આશ્રમના ટ્રસ્ટી પ્રદીપભાઈની ક્વોરીમાં ઠેકેદારી કરતા નિત્યાનંદને આશ્રમમાં બોલાવી જયંતિ દેવી સાથે મુલાકાત કરાવી હતી. નિત્યાનંદે જયંતિબેન સાથે વાત કરી તેમને ઓડિશા જવા માટે તેમના ભાઇ સાથે મોકલી આપ્યા હતા. નોંધનીય છે કે, આશ્રમ દ્વારા અત્યાર સુધી 117 બહેનોને પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી છે.