ETV Bharat / state

Ahmedabad Municipal Corporation : વર્તમાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાપક્ષના પેનલમાંથી જનતાને શું મળ્યું ? જુઓ ETV BHARATનો વિશેષ અહેવાલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 10:37 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના અઢી વર્ષની એક ટર્મ પૂરી થવા જઈ રહી છે. આગામી 11 સપ્ટેમ્બરના રોજ નવા ટર્મની શરૂઆત થશે. આ અઢી વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરની જનતા માટે અટલ બ્રિજ, મલ્ટી લેવલ પાર્કિંગ, ટેક્સ રીબેટ યોજના, વાઈટ ટોપિંગ રોડ જેવી સુવિધા, ખારીકટ કેનાલની સમસ્યામાંથી મુક્તિ આપી છે.

વર્તમાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાપક્ષના પેનલમાંથી જનતાને શું મળ્યું ?

અમદાવાદ : રાજ્યની આઠ મહાનગરપાલિકા મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ કમિટીના ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થવા જઈ રહી છે. આ દિવસોમાં અલગ-અલગ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અનેક એવા કામો હતા કે જે વિવાદમાં જોવા મળી આવ્યા હતા. ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અનેક એવા વિકાસના કામોની મંજૂર તો આપવામાં આવી હતી. પરંતુ સામે અનેક એવા પણ કામ હતા કે જે મોટા વિવાદમાં પણ સંભળાયા હતા. આજે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એવા 6 પ્રોજેક્ટની જેનાથી અમદાવાદ શહેરની જનતાને ખૂબ જ મોટો ફાયદો થયો છે.

અટલ બ્રીજ
અટલ બ્રીજ

જનતાને શું મળ્યું ? અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે આ અંગે ETV BHARAT સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોના હિતમાં અને વિકાસના કાર્યોમાં જ કામ કરતી રહી છે. તે જ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ શહેરની જનતા માટે અનેક સુવિધાઓ આપવામાં આવે છે. લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક લાખથી પણ વધારે મકાન બનાવવામાં આવી રહ્યા છે. જેમાંથી LIG મકાન લોકાર્પણ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષમાં વધુ નવા LIG મકાન બનાવવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે.

  • અટલ બ્રીજ

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર દેશનો પહેલો નદી પરનો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. અંદાજિત 72 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બ્રિજમાં એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો પણ જોવા મળી આવ્યો હતો. બ્રિજની લંબાઈ 300 મીટર જ્યારે પહોળાઈ 14 મીટર છે. આ બ્રિજમાં કુલ 2600 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજ તૈયાર થતાં જ અમદાવાદ શહેરમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. આ બ્રિજ પતંગાકારનો તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ તૈયાર થતા જ અમદાવાદ રિવરફ્રન્ટ પર ફરવા લાયક એક નવું સ્થળ ઊભું થયું છે. આ બ્રિજ ઉપર સેલ્ફી પોઇન્ટ અને ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ બ્રિજની શરૂઆતના પહેલા દિવસે અંદાજે 5 લાખથી પણ વધુની આવક થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા ખૂબ જ એક સુંદર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.

  • વાઈટ ટોપિંગ રોડ

નવા શહેરમાં રોડ છૂટવાની સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2022માં ગુજરાતમાં પહેલી વખત વાઈટ ટોપિંગ રોડ બનાવવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો. મેમનગરના ગુરુકુળ રોડ પર અંદાજિત 9 કરોડના ખર્ચે 1.5 કિલોમીટર લાંબો વાઇટ ટોપિંગ રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. આ બાદ અમદાવાદ શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારનો રોડ તૈયાર કરવામાં આવ્યો છે. ડામરના રોડ કરતા વાઈટ ટોપિંગ રોડ વધારે મજબૂત હોય છે. એક વખત રોડ બનાવ્યા બાદ દસ વર્ષ સુધી આ રોડ તૂટતો નથી. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અમદાવાદ શહેરના દરેક ઝોનમાં આવા રોડ તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

  • ટેક્સ રીબેટ યોજના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરની જનતા વધુમાં વધુ ટેક્સ ભરે તે માટે રેબિટ યોજના લાગુ પાડવામાં આવી હતી. જેમાં એડવાન્સમાં ટેક્સ ભરનારને 11 ટકા સુધીનું રિબેટ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓનલાઈન ટેક્સ ભરનારને વધારાનું એક ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમૃત મહોત્સવના કારણે પણ ટેક્સ રીબેટ યોજના લાગુ પાડવામાં આવી હતી. જેનો ભરપૂર પ્રતિસાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રાપ્ત થયો હતો. જેમાં 1500 કરોડથી પણ વધારેની આવક કોર્પોરેશનને થઈ હતી. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લોકોએ ટેક્સ ભર્યો ન હતો, તેની ઉપર કોર્પોરેશન દ્વારા બોજો દાખલ કરીને મિલકતની હરાજી કરી ટેક્સ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ બાકી ટેક્ષના વ્યાજમાં 100 ટકા માફી પહેલી વખત આપવામાં આવી છે.

  • મલ્ટી લેવલ પાર્કિંગ

અમદાવાદ શહેરની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તે માટે મલ્ટી લેવલ સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા ભાગના ઝોનની અંદર સ્માર્ટ મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી મોટું મલ્ટી લેવલ પાર્કિંગ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર છે. જે અંદાજે 60 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ આઠ માળના પાર્કિંગમાં 1000થી વધુ કાર તેમજ 2000 જેટલા બાઈક પાર્કિંગ કરી શકાય તેવી ક્ષમતા છે. આ મલ્ટી લેવલ પાર્કિંગની અંદર એલઇડી લાઇટ સાથે સેન્સર, કારનું લોકેશન તમામ વસ્તુઓ સરળતાથી જાણી શકાય છે. આ ઉપરાંત અમદાવાદના રાયપુર, નવરંગપુરા, રીલીફ રોડ, કાંકરિયા, સિંધુભવન જેવા અનેક વિસ્તારોની અંદર પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં બનાવેલા બ્રિજ નીચે પણ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

  • મહાકાય પાણીની પાઇપલાઇન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના લોકોને આગામી 40 વર્ષ સુધી પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. 120 કરોડના ખર્ચે કોતરપુર વોટર વર્કસથી મોટેરા સુધી હાથી જેવી મહાકાય પાણીની પાઇપલાઇન નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે 16.4 ફૂટ ઊંચી અને 19.7 ફૂટ પહોળી હશે. અમદાવાદના દરેક વિસ્તારમાં પાણી પહોંચાડવું ખૂબ જ અઘરું પડી રહ્યું હતું. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળાની સીઝનમાં પાણીની સમસ્યાના ન ઉદભવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કોતરપુરમાં આવેલ 250 MLD એક્સેસ છે. ત્યાંથી અમદાવાદ શહેરના મોટેરા, ચાંદખેડાને સપ્લાય આપી પાણીની બચત થશે. તે વિસ્તારની નર્મદાનું પાણી આગળ બોપલ અને ઘુમા સુધી પણ ડાયવર્ટ કરવામાં આવશે. જેથી કરીને અમદાવાદ શહેરના રિંગરોડ પર થતા નવા વિસ્તાર ડેવલપ થઈ રહ્યા છે. તેમને પણ નર્મદાનું પાણી મળી રહે તેવો પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.

  • ખારીકટ કેનાલ

અમદાવાદ શહેરમાં અંદાજે 142 વર્ષથી પણ વધારે જૂની તેમજ 12 કિમી લાંબી ખારીકટ કેનાલ છે. જે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર માટે ખૂબ જ મોટી સમસ્યા બની હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ખારીકટ કેનાલને 1200 કરોડના ખર્ચે ડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ખારીકટ કેનાલ ઉપર રોડ બનાવીને ઉપયોગ કરવામાં આવશે. કેનાલની આજુબાજુની સોસાયટી કેનાલથી નીચી હોવાને કારણે નીચાણવાળી સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીનો પણ ઝડપી નિકાલ કરી શકાશે. કેનાલમાં મોટી જગ્યાઓમાં લાઈન સ્ટ્રોંગ વોટર, રોડ નેટવર્ક નાખીને કેનાલની આજુબાજુના રહેણાંકના ઉભરાતા પાણી, કેનાલમાં થતી ગંદકી તેમજ વરસાદના પાણીનો નિકાલ પણ જલ્દી થઈ શકે તેવા પ્રયત્નો પણ કરવામાં આવશે. અલગ અલગ પાંચ તબક્કામાં કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખારીકટ કેનાલના ડેવલપ માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર તરફથી 600 કરોડ, જ્યારે વર્લ્ડ બેંક તરફથી 455 કરોડની લોન લેવામાં આવી છે.

  1. Ahmedabad News: શહેરમાં રોગચાળો વકર્યો, 15 દિવસોમાં કોલેરાના 20 અને મચ્છરજન્ય રોગના કુલ 534 કેસ નોંધાયા
  2. New AMTS Sarathi Bungalows Terminal : નવા સારથી બંગલોઝ ટર્મિનલનું ઉદ્ઘાટન, AMTS બે રૂટ પર મહિલા બસ ચલાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.