ETV Bharat / state

Budget 2023: રાજ્યની ધરોહરની જાળવણી પર અપાશે વિશેષ ધ્યાન, વન સંરક્ષણ માટે 512 કરોડ ફાળવાયા

author img

By

Published : Feb 24, 2023, 3:40 PM IST

Budget 2023: રાજ્યની ધરોહરની જાળવણી પર અપાશે વિશેષ ધ્યાન, વન સંરક્ષણ માટે 512 કરોડ ફાળવાયા
Budget 2023: રાજ્યની ધરોહરની જાળવણી પર અપાશે વિશેષ ધ્યાન, વન સંરક્ષણ માટે 512 કરોડ ફાળવાયા

ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતા સમયે નાણા પ્રધાન કનુ દેસાઈએ વન અને પર્યાવરણ વિભાગ માટે મહત્વની જોગવાઈ કરી હતી. ત્યારે હવે સરકાર રાજ્યની ધરોહરની જાળવણી પર વિશેષ ધ્યાન આપશે. આ સાથે જ વન સંરક્ષણ માટે 512 કરોડ પણ ફાળવવામાં આવશે.

અમદાવાદઃ 15મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં નાણા પ્રધાન કનુ દેસાઈએ વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે આ બજેટમાં વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2,063 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે, વિકાસની સાથે પર્યાવરણના જતન માટે વનોનું રક્ષણ અને સંવર્ધન જરૂરી છે. વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને જતન માટે રાજયે નોંધપાત્ર કામગીરી કરી છે. છેલ્લી ગણતરી મુજબ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય તેમ જ બૃહદગીર વિસ્તારમાં એશિયાઈ સિંહની સંખ્યા 523થી વધીને 674 નોંધાઈ છે, જે વિશ્વ કક્ષાએ આરક્ષિત પ્રજાતિઓના સંરક્ષણ ક્ષેત્રે એક વિક્રમ સમાન છે.

આ પણ વાંચોઃ Budget 2023: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુટુંબ દીઠ વીમાની વાર્ષિક મર્યાદા 10 લાખ સુધી વધારાઈ

વન સંરક્ષણ માટે વિશેષ જોગવાઈઃ નાણા પ્રધાને ઉંમેર્યું હતું કે, વનોના વિકાસ, સંવર્ધન અને સંરક્ષણની કામગીરી માટે 512 કરોડની જોગવાઈ, વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણ માટે 353 કરોડની જોગવાઈ, વન્યપ્રાણી વ્યવસ્થા અને વિકાસ માટે 317 કરોડની જોગવાઈ, વળતર વનીકરણ તથા અન્ય વન વિકાસની કામગીરીઓ માટે 204 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વિવિધ પ્રોજેક્ટ પર કામઃ નાણા પ્રધાને જણાવ્યું હતું કે, હરિત વસુંધરા પ્રોજેકટ, પાવન વૃક્ષ વાટીકા અને વૃક્ષોનું આવરણ વધારવાની વિવિધ યોજનાઓ માટે 40 કરોડની જોગવાઈ, ગીર વિસ્તારના સંકલિત વિકાસના આયોજનના ભાગરૂપે ગીર અભયારણ્ય તેમ જ વધુ 2 લાયન સફારીનો વિકાસ કરવા 27 કરોડની જોગવાઈ, લોકોમાં વન અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમ જ લોકસમુદાયને તેમાં સક્રિય રીતે જોડવા માટે મિયાવાકી પદ્ધતિથી 75 અર્બન ફોરેસ્ટ (વન કવચ)ના નિર્માણ માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મિષ્ટી કાર્યક્રમ શરૂ કરાશેઃ દરિયાઈ સૃષ્ટિના સંવર્ધન, વાવાઝોડા સામે રક્ષણ અને દરિયાઈ કાંઠાના ધોવાણ અટકાવવા કેન્‍દ્ર સરકારે મિષ્ટી કાર્યક્રમ હાથ ધરવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત દરિયાકાઠાં પર ચેર વાવેતર અને પુનઃસ્‍થાપન માટે 11 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો ઘાસ સંગ્રહ વધારવા ઘાસ ગોડાઉન બાંધકામ યોજના હેઠળ 8 કરોડની જોગવાઈ, આદિજાતિ વિસ્તારોમાં લોકોની આવક વધારવા તેમ જ વનક્ષેત્રમાં વૃદ્ધિ કરવા એગ્રો ફોરેસ્ટ્રીને ખાસ ઉત્તેજન આપવા 8 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Education in Gujarat Budget 2023 : શિક્ષણ માટે 43651 કરોડ, 20000નું શાળા વાઉચર સહિત દરેક તબક્કે સગવડોનું સુદ્રઢીકરણ

પર્યાવરણ ક્ષેત્રે તાલીમ અપાશેઃ નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ‘Mission LiFE’ અંતર્ગત પર્યાવરણ ક્ષેત્રમાં તાલીમ અને માનવ સંસાધન વિકાસ હાથ ધરવા તેમ જ જનજાગૃતિ અભિયાન ચલાવવા 6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે અમૃત ધરોહરો–જળ પ્લાવિત વિસ્તારો ગુજરાતના પર્યાવરણમાં અનેરું સ્થાન ધરાવે છે. ગુજરાત વિશ્વકક્ષાએ સ્વીકૃતિ મેળવેલા 4 રામસર સ્થળો ધરાવે છે. આ ધરોહરની જાળવણી અને વિકાસ માટે 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.