અમદાવાદ : હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતિના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાને કારણે વરસાદ અંગે કોઈ આગાહી નથી. પરંતુ હાલ ચોમાસાની સીઝન અંતર્ગત વરસાદી માહોલ રહી શકે છે. રાજ્યમાં આવનારા 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. આવતીકાલથી વરસાદની શક્યતા નહિવત્ છે, જોકે કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. હાલના મોસમ વિભાગના અંદાજ પ્રમાણે આવનારા 7 દિવસ સુધી રાજયમાં વરસાદની કોઈ સંભાવના નથી. પરંતુ જો કોઈ સિસ્ટમ સક્રિય થાય તો આગામી આગાહીમાં ફેરફાર શક્ય છે.
વરસાદે લિધો વિરામ : ચોમાસાને એક માસ પૂર્ણ થતાં છેલ્લા એક માસમાં મેઘરાજાની મહેર અને કહેર બંને એકસાથે જોવા મળી હતી. છેલ્લા એક માસમાં રાજ્યમાં ચાલુ સીઝનમાં 85 ટકા ઉપર વરસાદ પડી ચૂક્યો છે અને સૌરાષ્ટ્રમાં 100 ટકા ઉપર વરસાદ નોધાઇ ચૂક્યો છે. હાલ વરસાદી બ્રેક સાથે છેલ્લા કેટલાક દિવસથી વરસાદે ખમૈયા કરતા લોકોને હાશકારો થયો છે. છેલ્લા 1 માસથી ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ભાગ તેમજ સૌરાષ્ટ્રમાં તાંડવ મચાવનાર મેઘરાજાના વિરામ બાદ લોકો આફતમાંથી બહાર આવી રહ્યા છે. હવે સ્થાનિક હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે લોકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે, બીજી તરફ હવામાન વિભાગે દરિયાકિનારાના વિસ્તારો માટે ચેતવણી પણ આપી છે.
દરિયો ન ખેડવાની ચેતવણી : હાલ રાજ્યમાં છવાયેલા વાદળો અને છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન તેજ હવાને કારણે દરિયામાં કરંટ આવવાની શક્યતાઓને પગલે ચોમાસા દરમિયાન માછીમારોને દરિયામાં જવાની હવામાન વિભાગ દ્વારા મનાઈ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ફિશરમેનને દરિયો ન ખેડવાની ચેતવણી સાથે એલર્ટ આપ્યું છે.