અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓએ અમદાવાદ શહેરમાં શાહીબાગ ખાતે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે સમસ્ત મોદી સમાજ રાષ્ટ્રીય મહાસંમેલનમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 9 વર્ષના શાસનમાં પછાત અને ગરીબ વર્ગ માટે અનેક યોજનાઓ લાગુ કરવા બદલ સમસ્ત મોદી સમાજ રાષ્ટ્રીય મહાસંમેલન થકી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
અનેક મહાનુભાવો હાજર: આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમભાઈ મોદી તેમજ ભાજપના પૂર્વ પ્રધાન પુર્ણેશ મોદી સહિત અનેક નેતાઓ અને મોદી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોદી સમાજ દ્વારા સમાજમાં ચાલી રહેલા કુરિવાજો તેમજ વિદ્યાર્થી શૈક્ષણિક રીતે કેવી રીતે મદદ મેળવી શકે તે માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 રાજ્યોમાંથી 150 જેટલા સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતના 16 જિલ્લા તેમજ 50 તાલુકા માંથી અલગ અલગ ઘટકોના જે તે સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
'નરેન્દ્ર મોદીએ ગામડે ગામડે ફરીને સંગઠન બનાવ્યું, એના આધારે શું પરિવર્તન થઈ શકે તે જોવા મળ્યું. કોંગ્રેસના શાસનમાં OCB સમાજને અપમાનિત કરવાનું કામ કર્યું છે. ભાજપનું શાસન આવતા OBC સમાજને સન્માન મળ્યું, OBC કમિશનરને સંવિધાનીક દરજ્જો આપવાનું નામ ભાજપે કર્યું. કેન્દ્રીય વિદ્યાલય, NEET ની પરીક્ષા અને તમામ બાબતોમાં OBC અનામત ભાજપ લાવી છે, મોદી સરકારે 9 વર્ષે OBC સમાજ માટે અનેક કામ કર્યા છે . 13 કરોડ લોકોના ઘરમાં સિલિન્ડર, 10 કરોડ ઘરમાં ટોયલેટ, 3 કરોડ લોકોના ઘરના ઘર, 80 કરોડ લોકોને અનાજ આપવાનું કામ કરાયું છે.' -અમિત શાહ, કેન્દ્રીય ગૃહપ્રધાન
પૂર્ણેશ મોદીના વખાણ: આ કાર્યક્રમમાં હાજર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોદી સમાજ વિશે અલગ અલગ બાબતોને લઈને સંબોધન કર્યું હતું. તેમને જણાવ્યું હતું કે પૂર્ણેશ મોદી દ્વારા મોદી સમાજ પર સવાલ ઉઠાવનાર વ્યક્તિ સામે વિરોધ કરીને લડત આપવામાં આવી છે અને તેમાં તેઓને જીત મળી છે સમસ્ત મોદી સમાજ અને અમે તેઓની સાથે છીએ.