ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023: રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, જગતના નાથના દર્શન કરીને ભક્તો થયા અભિભૂત

author img

By

Published : Jun 20, 2023, 9:52 PM IST

Updated : Jun 20, 2023, 10:34 PM IST

Ahmedabad Rath Yatra 2023
Ahmedabad Rath Yatra 2023Ahmedabad Rath Yatra 2023

અમદાવાદના જગન્નાથ મંદિરથી 146ની રથયાત્રા નીકળી હતી. જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા અને અમદાવાદના રાજમાર્ગો પર ફરી ભાવિક ભક્તોને દર્શન આપ્યા હતા. રંગેચંગે નીકળેલી રથયાત્રા અષાઢી બીજના પવિત્ર દિવસે આજે વરસાદના અમી છાંટણા વગર નિજ મંદિર પરત ફરી હતી.

જગન્નાથ મંદિરથી 146ની રથયાત્રા નિજ મંદિરે પરત ફરી

અમદાવાદ: પુરી બાદ દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળી હતી. જગતનો નાથ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ આજે અષાઢી બીજે રથમાં સવાર થઈને વર્ષમાં એક વાર નગરચર્યાએ નીકળે છે. અને ભક્તોને દર્શન આપવા સામે ચાલીને આવે છે. જમાલપુર સ્થિત આવેલ પૌરાણિક જગન્નાથ મંદિરથી 146મી રથયાત્રા હતી. આ જગન્નાથ મંદિર સાથે ભક્તોની ખૂબ આસ્થા જોડાયેલી છે.

ભાવિક ભક્તોને દર્શન આપ્યા
ભાવિક ભક્તોને દર્શન આપ્યા

નિજ મંદિરે પરત ફરી રથયાત્રા: દરિયાપુર, શાહપુર, મિરઝાપુર, ધીકાંટા થઈને માણેકચોક થઈને સાંજે 8.30 વાગ્યે ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા હતા. ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ હતી. ત્યારબાદ ત્રણેય રથ પરત ફરતા મંદિરના મહંત દિલીપદાસજીએ ભગવાનની આરતી ઉતારી હતી. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ રથમાં જ મંદિરની બહાર બિરાજમાન રહેશે. ભગવાન આખી રાત નિજ મંદિર બહાર રહેશે. આવતીકાલે સવારે ભગવાનને ગર્ભગૃહમાં પ્રવેશ કરવામાં આવશે.

અમિત શાહે મંગળા આરતી કરી
અમિત શાહે મંગળા આરતી કરી

અમિત શાહે મંગળા આરતી કરી: મંગળવારના શુભ દિવસે વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી યોજાઈ હતી. જે સમયે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અને મંગળા આરતી કરી હતી. તે સમય મંદિર ભક્તોથી ઉભરાઈ ગયું હતું. ચાર વાગ્યાની મંગળા આરતીમાં મંદિરની અંદર અને બહાર ભક્તોનું કિડિયારુ ઉભરાયું હોવ તેવું ભક્તિમય વાતાવરણ હતું. અતિભાવથી મંગળાઆરતી થઈ હતી.

ભગવાનને ખીચડાનો પ્રસાદ: મંગળા આરતી પછી ભગવાનના આંખો પર પાટો બાંધવામાં આવ્યો હતો, તેને ખોલવામાં આવ્યો હતો. જેને નેત્રોત્સિવ વિધિ કહેવાય છે. લોકવાયકા મુજબ ભગવાન જગન્નાથ જ્યારે મામાને ઘેર જાય છે, ત્યારે ત્યાં જાંબુ અને કેરી વધુ પ્રમાણમાં આરોગે છે, જેથી તેમને આંખો આવી જાય છે. અને આથી આંખો પર પટ્ટી બાંધવાનો ભાવ કરવામાં આવે છે. આંખો પરથી પટ્ટી ખોલ્યા પછી ભગવાનને સવારે રાજભોગમાં ટ્રાયફૂટ સાથેના ખીચડાનો પ્રસાદ ધરાવાય છે. ત્યાર બાદ ભક્તોને પ્રસાદ અપાય છે.

જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર:
જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર:

જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર: વહેલી સવારે 5.30 વાગ્યા પછી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામને તેમના ત્રણેય રથમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યારે જય રણછોડ માખણચોર અને મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે. તેવો નાદ ગુંજી ઉઠ્યો હતો. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને મહંત દિલીપદાસજીએ ખૂબ જ ભાવથી ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કર્યા હતા.

CMએ કરી પહિંદવિધિ
CMએ કરી પહિંદવિધિ

CMએ કરી પહિંદવિધિ: બરોબર 6.30 વાગ્યાના સમયે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર આવી પહોચ્યા હતા. રાજ્યના રાજા હોવાને નાતે તેમણે પહિન્દ વિધિ કરી હતી. સોનાની સાવરણીથી રથયાત્રાનો રસ્તો સાફ કર્યો હતો. અને ખલાસીભાઈ સાથે દોરડુ ખેંચીને સવારે 7 વાગ્યે રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. સવારે 7.30 વાગ્યે રથયાત્રાનો સમયસમ પ્રારંભ થયો હતો. રથયાત્રા અમદાવાદ શહેરના તેના નિર્ધારિત રૂટ પર ફરી હતી. દાણાપીઠામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી આવે છે, જેથી અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરોએ રથયાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું અને મંદિરના મહંત દિલીપદાસજી તેમજ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાનું હારફૂલથી સ્વાગત કર્યું હતું.

જગતના નાથનું મામેરું: રથયાત્રા તેના નિર્ધારિત સમય પ્રમાણે બપોરે 12.15 વાગ્યે સરસપુર પહોંચી હતી. સરસપુરએ ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે. ત્યાં રથયાત્રાએ એક કલાકનો વિરામ લીધો હતો. તે દરમિયાન જગતના નાથનું મામેરું કરાયું હતું અને મોસાળમાં તમામ રથયાત્રિકોને ભોજન પિરસાયું હતું, લાખો ભક્તોએ પ્રસાદ આરોગ્યો હતો. સરસપુર વર્ષોથી તમામ લાખો ભક્તોને ભંડારો કરીને પ્રેમથી ભરપેટ જમાડે છે.

જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર
જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર

રથયાત્રાના રૂટ પર દુર્ઘટના: દરિયાપુરના કડિયાનાકા વિસ્તારમાં એક જર્જરિત મકાની બીજા માળની ગેલેરી તૂટી પડી હતી. તે દરમિયાન ત્યાંથી ટ્રક પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન જ ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં 31 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત નિપજયું હતું. ઈજાગ્રસ્તોને શાહીબાગની બીએપીએસ હોસ્પિટલમાં અને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

કોમી એકતાના દર્શન: દરિયાપુર વિસ્તારમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કોમી એકતા અને ભાઈ ચારાનો સંદેશ આપ્યો હતો. દરિયાપુરથી રથ જ્યારે પસાર થયા ત્યારે અનેક મુસ્લિમ આગેવાનોએ જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટીને હાર-ફૂલથી સ્વાગત કર્યું હતું. સફેદ કબુતર ઉડાડીને શાંતિ અને અમન જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી. જો કે કેટલાક વિસ્તારોમાં મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા ઠંડા પીવાના પાણીની સેવા પણ આપવામાં આવી હતી.

CMનું નિરીક્ષણ: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સીએમ ડેસબોર્ડથી રથયાત્રાનું લાઈવ કવરેજ નિહાળ્યું હતું. સુરક્ષા વ્યવસ્થાને લઈને જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ 3ડી મેપિંગ સિસ્ટમથી સુરક્ષા કવચ પુરુ પાડ્યું હતું. રથયાત્રાનું 360 ડિગ્રી ડ્રોન વિઝ્યુલ દ્વારા પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અભેદ્ય સુરક્ષા ઉભી કરાઈ હતી.

ભક્તોએ લીધા ઓવારણા: રથયાત્રાના રૂટ પર અમદાવાદના શહેરીજનોએ નવા રથ પર બિરાજેલા ભગવાનના દર્શન કરીને ઓવારણા લીધા હતા. અને જગતના નાથને કહ્યું હતું કે અમારી રક્ષા કરજો અને આવતા વર્ષે વહેલા આવજો. રથયાત્રા જોવા માટે અમદાવાદ બહારથી બીજા શહેર અને ગામડાના લોકો પણ ભગવાનના દર્શન કરવા અને રથયાત્રા જોવા ઉમટી પડે છે.

જગતના નાથનું મામેરું
જગતના નાથનું મામેરું

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: ભગવાન જગન્નાથની રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં શહેર પોલીસના 15,000 જેટલા જવાનો સહિત કુલ 26 હજાર પોલીસ બંદોબસ્તમાં જોડાયા હતા. રથયાત્રાના રૂટની વાત કરવામાં આવે તો સમગ્ર રૂટમાં 11 IG, 50 SP, 100 DYSP, 300 PI, 700 જેટલા PSI, 15000 જેટલા પોલીસ જવાનો અને 6000 જેટલા હોમગાર્ડના જવાનો અને SRP/CAPF ની 35 જેટલી કંપનીઓ ખડે પગે રહી હતી. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સુરક્ષા કવચ પુરુ પાડ્યું હતું. જો કે રાત્રે 8.30 વાગ્યે નિર્ધારિત કરેલ સમયે જ ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા પછી ગુજરાત પોલીસે રાહતના શ્વાસ લીધો હતો. નગરજનોએ અમદાવાદ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

  1. Ahmedabad Rath Yatra 2023: રથયાત્રામાં મુસ્લિમ ભાઈઓએ કબૂતર ઉડાવીને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપ્યો
  2. Patan Rath Yatra 2023 : પાટણ જગદીશ મંદિરની રથયાત્રા રંગેચંગે યોજાઇ, તલવારબાજીએ જમાવ્યું આકર્ષણ
Last Updated :Jun 20, 2023, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.